અજ્ઞાતવાસ લખતા પહેલા ,પછી અને લખતા લખતા
એક નદી પરથી નાવ વહેણની સાથે વહે ત્યારે લાંબી મુસાફરીમાં દ્રશ્યો એક પછી એક સડસડાટ કરતાં તમારાં દ્શ્યપટલ પરથી બદલાતાં જાય. વચ્ચે વચ્ચે નાના નાના ગામ ,કસ્બા અને ક્યારેક પહાડો આવતા જાય,તમે શાંતિથી સફર કરતાં હોવ તો એનો આનંદ તમે ઉઠાવતાં જાઓ.બસ આખી નવલકથામાંથી હું એવી જરીતે પસાર થઈ સડસડાટ. નકુલની સાથે એક એક સંવેદનાઓ અનુભવી,તેની સાથે રડી,આનંદિત થઈ અને પ્રેમમાં રોમાંચિત થઈ ટીનએજ અવસ્થામાંથી તેની સાથેજ પસાર થઈ પ્રેમનાં સ્પંદનો અનુભવ્યા.જીવનની ફિલસુફી જાણી સમજી અને જીવનનું સત્ય સમજવા કોશિશ કરી.નસીબ માણસને ક્યાંથી ક્યાં લઈ જઈ શકે ,માત્ર મહેનત અને હોંશિયારીથી જીવનનો જંગ જીતાતો નથી તે પણ ખરા અર્થમાં સમજાયું.નસીબ ખરાબ હોય તો તમે ગમે તેટલી મહેનત કરો પણ તમને સફળતા ન મળે એવું પણ બને! શું નસીબનું પણ જીવનમાં એટલું જ મહત્વ છે? તે પ્રશ્ન સતત ઉદ્દભવ્યો.
અજ્ઞાતવાસ સાથે દરેક માણસ એકલો કે બધાંની વચ્ચે રહીને,ક્યારેક દુ:ખમાં કે ક્યારેક સુખદ અનુભવ સાથે અનુભવી ભીતરની વ્યક્તિ સાથે વાત કરી જીવે છે.તેમજ ઘોડા જેવા પ્રાણીમાં પણ માનવ સહજ સંવેદનો -પ્રેમ,ગુસ્સો,હતાશા,આત્મવિશ્વાસ જેવી લાગણીઓ હૂબહૂ હોય છે તે દર્શાવવા કોશિશ કરી છે. બીજું, એક સત્ય મારી આસપાસ હું જોતી હતી ત્યારે કોઈ એવી લાગણી પણ હું અનુભવતી કે આગલા જન્મમાં નકુલ ઘોડાસાથે કોઈરીતે સંકળાએલ હોય ,કે તેના કર્મો તેની સાથે જોડાએલ હોય ,તે અધૂરી રહી ગયેલ ઈચ્છાઓ કે પોતે પણ ઘોડો હોઈ શકે, એટલે ઘોડા થકી એને પ્રેમ ઉપજતો હોય અને ઘોડો એને શાંતિ આપતો હોય.તે એકાંતમાં ઘોડાને મળી તેની ભાષા એટલે પણ સમજતો હોય!આવું કંઈક હું તમારા સમક્ષ પહોંચાડવાં માંગતી હતી. તમે કહો ત્યારે ખબર પડે કે તે પહોંચાડવાનાં હું કેટલી સક્ષમ નીવડી છું.
અજ્ઞાતવાસ મારી પહેલી નવલકથા ,હું લખવાની શરુ કરવાની હતી ત્યારે ઉત્સાહ લખવાનો ખૂબ હતો પણ આ પહેલા પ્રયાસ માટે -આ બરાબર લખાશે? અને જે થીમને લઈને હું લખવા જઈ રહી હતી તે યોગ્ય છે કે નહીં તેને માટે દ્વિધામાં જરુર હતી.કોઈપણ વાર્તા કે નવલકથાનું બીજ સત્યઘટના પર આધારિત હોય કે આપણી આસપાસ જોયેલ જાણેલ હોય તો તે વાર્તા મજબૂતાઇ સાથે રજૂ થાય છે. મારું નકુલનું પાત્ર પણ મારી આસપાસનું મારી સામે જીવાએલ પાત્ર તેમજ ઘણી ઘટનાઓનાં મૂળ સત્યઘટના પર આધારિત ખરાં પરતું તેનાં તાણાવાણાં ,ગૂંથણી તો મારી કલ્પના સાથે જોડાઈને જ નવલકથા બની.નવરસ ,દરેક સંવેદનો ,ઉત્કંઠા,રેસ અને જુગારનો નશો ,નકુલ સાથે રહી મેં તમને પીરસવા કોશિશ કરી.મુંબઈ નું બ્રીચકેન્ડી,રેસકોર્સ,હાજીઅલીનાં દરિયા પાસેની જગ્યા અને બધીજ હોટલોની કરેલ સફરને જ વર્ણવી તેથી તાદ્રશ્યતા આવી શકે. તેમજ વિદ્યાનગર,અમદાવાદથી લઈ સ્વિત્ઝરલેન્ડ,અલાસ્કા,સિંગાપુર,કેનેડા-મેક્સિકોની બોર્ડર અને ન્યુયોર્ક,શિકાગો અને લોસએંન્જલસ બધીજ જગ્યાઓની કરેલી સફરને વાગોળી એટલે તે તે જગ્યાઓને સારી રીતે વર્ણવી શકું અને નકુલ સાથે તે જગ્યાઓની સફર મેં પણ કરી.
પ્રજ્ઞાબહેને ,મેં એમને કહ્યું કે મારે નવલકથા લખવી છે તો એકપણ સવાલ પૂછ્યા વગર ‘ તું કરી જ શકીશ’ નો આત્મવિશ્વાસ અને પ્રેરણા પૂરી પાડી તેમજ જહેમત સાથે તેમણે યુટ્યુબ બનાવી.જયશ્રીબહેન મર્ચન્ટને પણ મેં જ્યારે કોઈપણ સવાલ નવલકથા લખવા અંગે કર્યા ત્યારે મારી મોટીબહેનની જેમ સલાહસૂચનો અને પ્રોત્સાહન પૂરું પાડ્યું. તરુલત્તાબહેને પણ લખવા માટે પ્રોત્સાહન અને જરુરી સૂચનો આપ્યા.મારી વ્હાલી સખી રાજુલ કૌશિકે વિવેચક બની હંમેશા કોમેન્ટ કરી જેની પ્રેરણા મારે હંમેશા જરુરી હોય છે.મારા સૌ વાચકો,સ્નેહીઓ ,ભાઈબહેનો,કુટુંબીઓનો અને મિત્રોએ પર્સનલ પ્રોત્સાહન અને પ્રેરણા આપી નવાજી તેથી મારો ઉત્સાહ છેક સુધી જળવાઈ રહ્યો.
આવી જ પ્રેરણા અને પ્રોત્સાહન હંમેશા આપ સૌ તરફથી મળતા રહે તે જ આશા…
જિગીષા દિલીપ