મિત્રો,
આપણાં વેદો,ઉપનિષદો,પુરાણો તેમજ મહાભારત,રામાયણ જેવા મહાકાવ્યોમાં આપણા સંસ્કાર અને સંસ્કૃતિનો વારસો ઠસોઠસ ભરેલો છે.આપણે તેને પૂરેપૂરી રીતે અભ્યાસ કરી સમજીએ તો તેમાંથી આપણે ,ખરેખર આપણી સંસ્કૃતિની અદ્ભૂત વાતો જાણી શકીએ.ધ્રુવદાદાએ ‘પ્રતિશ્રુતિ’ નવલકથામાં મહાભારતનાં ઊંડાં અભ્યાસ સાથે મહાભારતનાં જાણીતા પાત્ર ભીષ્મપિતામહને રજૂ કરતી સુંદર નવલકથા લખી છે. ભીષ્મપિતામહ અંગેની સામાન્ય વાતો સૌ કોઈ જાણે છે.ભીષ્મપિતામહે પ્રતિજ્ઞા કરી હતી કે તે આખું જીવન કુંવારા રહેશે અને હસ્તીનાપુર અને તેની પ્રજાનું રક્ષણ કરશે.ભીષ્મપિતામહે પોતાના પિતાનાં લગ્ન સત્યવતી સાથે કરાવવા સત્યવતીનાં પિતાની ઈચ્છા મુજબ,સત્યવતીનો પુત્ર જ ભવિષ્યમાં હસ્તિનાપુરનો રાજગાદીનો વારસ બને તે શરત મંજૂર રાખી હતી. આ શરતનું પાલન કરવા તેઓ આજીવન કુંવારા રહ્યા અને આવી પ્રતિજ્ઞા પિતા માટે લેનાર દેવવ્રતમાંથી ભીષ્મ કહેવાયા. આ વાત તો સૌ કોઈ જાણે છે.
પરતું દેવવ્રતે ખરેખર આ પ્રતિજ્ઞા કેમ લીધી હતી ? તે કારણ તો કોઈ જાણતું નથી.આપણે સૌ ,આપણા શાસ્ત્રો,ગ્રંથો ,પુરાણો કે ઉપનિષદોની કહી સુની વાતો સાંભળીને આગળ વધી જઈએ છીએ. તેનો અભ્યાસ કે તે ઓરીજીનલ ગ્રંથને વાંચવાં કે સમજવા ક્યારેય કોશિશ કરતાં નથી. ધ્રુવદાદાએ પ્રતિશ્રુતિ નવલકથાની શરુઆતમાં જ .ભીષ્મ કોણ હતાં? તેમણે આ ભીષ્મ પ્રતિજ્ઞા કેમ લીધી ? તેનાં સૌ પૌરાણિક પરીમાણોની વાત કરી છે ,તે ખૂબ રસપ્રદ છે.
વસિષ્ઠ મુનિની પ્રિય કામધેનુ ગાય નંદિનીની ચોરી કરવા ઈન્દ્રનાં સાત વસુઓ જાય છે. અને દેવોના વસુ હોવા છતાં મનુષ્ય જેવું ચોરીનું કર્મ કરતા ,વસુઓને વસિષ્ઠ મુનિના શ્રાપના ભોગ બનવું પડે છે.તેમને પૃથ્વી પર મનુષ્ય યોનીમાં અવતરવું પડશે તેવો શ્રાપ મુનિ આપે છે..આ વસુઓને પૃથ્વી પર અવતરી મનુષ્યના કર્મો કરવા નહોતા ,તેથી તેઓ ત્રિપથગામિની ગંગા પાસે જાય છે. ગંગાને વિનંતી કરે છે કે ,”મા તું ,કોઈ રસ્તો બતાવ કે અમારે મનુષ્ય અવતાર લઈ પૃથ્વી પર જન્મ ન લેવો પડે.” ગંગાને વસુઓ કહે છે કે ‘અમે તારા પુત્ર થઈ જન્મ લઈએ અને તું જન્મતાની સાથે જ તારા પ્રવાહમાં અમને વહાવી દે.’ગંગા કહે છે ‘શ્રાપ વસિષ્ઠ મુનિએ આપ્યો છે ,તેનું નિવારણ હું ન કરી શકુ. ‘છેવટે વસુઓ કહે છે ,અમારા દરેકનો એક અંશ લઈને એક આઠમો વસુ આપનો પુત્ર બની જન્મ લેશે અને તે પૃથ્વી પર મનુષ્ય અવતારમાં જીવન જીવશે. અમારા સૌનો એકએક અંશ હોવાથી બધાંને લાગેલો શ્રાપ તે અંશ પણ ભોગવશે એટલે ઋષિ વસિષ્ઠ નો શ્રાપ પણ ભોગવ્યો ગણાય.
આ સાત વસુઓનાં અંશ સાથેનો ગંગાનો પુત્ર તે દેવવ્રત – ભીષ્મ. તેમણે આજીવન કુંવારા રહેવાની પ્રતિજ્ઞા કરી કારણ તેમને વંશવેલો વધારી પૃથ્વી પર મનુષ્ય અવતારે ફરી અવતરવું નહતું.
નવલકથાની શરુઆતમાં જ દાદાએ ભીષ્મ જન્મની રહસ્યમય વાત ગંગા અને વસુઓના સંવાદમાં વણી લીધી છે.ગંગા અને વસુઓના સંવાદમાં “વત્સ,પ્રકૃતિનું સર્જન જીવન કાજે કરાયું છે,મૃત્યુ તો નવસર્જન અર્થે પ્રકૃતિએ મૂકવું પડ્યું છે”જેવા અનેક સુંદર સંવાદો રચી ,દાદાએ જીવનરહસ્યો ઉકેલ્યા છે તે સંવાદો વાંચવા અને પૌરાણિક માહિતી વિગતે જાણવા આ નવલકથા જ વાંચવી પડે.
આવા જ માણસોનાં રહસ્યો ઉકેલતું સુંદર ધ્રુવગીત લઈને પણ આવી છું.ચાલો સાંભળીએ.
માણસને જરા ખોતરો,ને ખજાનો નીકળે
સાચવીને સંઘરેલો એક જમાનો નીકળે
જાણે કશે આખી જિંદગી જીવતી દટાએલી
થાય બેઠી,બસ એક જણ પોતાનો નીકળે
જરૂરી નથી કે સીધા દેખાતાં જ સારા હોય
કદી કોઈ અડીયલ પણ મજાનો નીકળે
ઘા બધે જ મળે છે ચાહે ગમે તેને ખોતરો
કદી બહાર કદી અંદર ,નિશાનો નીકળે
કંઈ જ નક્કી નહીં આ તો માણસ કહેવાય
I બહારથી પોતાનો ,અંદરથી બીજાનો નીકળે
એક સીધા સાદા ગીતમાં દાદાએ મનુષ્યનાં સ્વભાવની સચ્ચાઈ રજૂ કરી દીધી છે. કોઈપણ માણસ સાથે તમે જરા હમદર્દી સાથે જીવનની ચર્ચા શરુ કરો કે તે તમને તેની આખી જીવન કથની સંભળાવી દેશે.તેના જીવનનાં કેટલાય દટાયેલ રહસ્યો સહેજ પ્રેમ કે સહાનુભૂતિ બતાવતાં જ છલકી જાય છે. તેને બસ ! પોતાનાપણાનો અનુભવ થવો જોઈએ.આગળ દાદા ખૂબ સરસ વાત કરે છે કેબધાં બહારથી સારા દેખાતા લોકો અંદરથી પણ સારા હોય તેવું હંમેશા નથી થતું.કોઈવાર બહારથી અડીયલ દેખાતો માણસ પણ ક્યારેક મજાનો નીકળતો હોય છે.અને છેલ્લે દાદા કહે છે માણસને ખોતરીએ ત્યારે ક્યાંક ઘાનાં ઉઝરડા બહાર ન દેખાતા હોય પણઅંદરથી ઘવાયેલો હોય!અને માણસનાં રહસ્યમય સ્વાર્થી સ્વભાવને વર્ણવતા દાદા કહે છે કે બહારથી તમને પોતાનો લાગતો માણસ ક્યારેક અંદરથી બીજાનો પણ નીકળે! આમ માણસના રહસ્યમય સ્વભાવ પર સરસ કટાક્ષ કરતું ગીત રમતું મૂક્યું છે.
જિગીષા દિલીપ
૧૫મી જૂન ૨૦૨૨