ખુલ્લી બારીએથી-ગોવર્ધનરામ ત્રિપાઠી -વાચક -જયવંતીબેન પટેલ

સમાજ સુધારક ગોવર્ધન માધવરામ ત્રિપાઠી
 
પહેલી વખત જયારે “સરસ્વતીચંદ્ર ” વાંચી ત્યારથી ગોવેર્ધનરામ  ત્રિપાઠી પ્રત્યે મારું માન ખૂબ જ વધી ગયું હતું. જે વ્યક્તિ ગમે તેમના વિષે જાણવાની ઉત્સુકતા વધે અને મેં પણ એમના વિષે વધુ વાંચવાની કોશિશ કરી.
તેમનો જન્મ નડિયાદની નાગર જ્ઞાતિમાં થયો હતો. 1883 માં એલ એલ બીની પરીક્ષા પાસ કરી એમણે મુંબઈમાં વકીલાત શરૂ કરી. અભ્યાસમાં તેમનો પહેલો-બીજો નંબર આવતો નહી, કારણ કે તેમનું ધ્યાન પાઠ્યપુસ્તકો કરતાં બહારના સામાન્ય પુસ્તકો વાંચવામાં વિશેષ પ્રવૃત્ત  હતું. કૉલેજકાળ દરમિયાન તેમણે સાહિત્ય તથા કવિતાનો આમૂલ અભ્યાસ આદર્યો.ગોવર્ધનરામ ત્રિપાઠી ચાળીસ વર્ષના થયા. પોતે કરેલા સંકલ્પ મુજબ વકીલાતનો અત્યંત ધીકતો ધંધો સમેટી લીધો ૪૦ વર્ષની વયે નિવૃત્ત થયા બાદ બાકીના જીવનમાં શું વાંચવું , શું લખવું , શાનો અભ્યાસ કરવો, વિવિધ પ્રવૃત્તિઓને કેટલું સ્થાન આપવું છે તેનો વિચાર તેમણે ઈ.સ. ૧૮૮૫ સુધીમાં કરી લીધો હતો. તે જ વર્ષથી તેમણે નિયમિત પોતાની રોજનીશી લખવા માંડી હતી.ગોવર્ધનરામનું વાંચન વિશાળ હતું. તેમણે અંગ્રેજી સાહિત્યનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો.
એમણે ધંધામાંથી નિવૃત થઇ એમણે સાહિત્ય અને સમાજસેવામાં મન પરોવ્યું. સૌથી મહત્વ પ્રવૃત્તિ કહીએ  તો તે ‘સરસ્વતી ચંદ્ર’ના પહેલા ભાગના આરંભને કહી શકાય. ઈ.સ.૧૮૮૫ માં તે પૂરો લખાઈ ગયો ને ઈ.સ.૧૮૮૭ માં પ્રગટ કર્યો.પોતાના વિચારો પ્રજાના બહોળા વર્ગ સુધી પહોંચી શકે એ હેતુથી પોતે નિબંધને બદલે નવલકથાનો આશ્રય લીધો એવું લેખકે સ્પષ્ટ સ્વીકાર્યું. સરસ્વતીચંદ્ર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની બૃહત્કાય નવલકથા છે. આશરે અઢારસો પૃષ્ઠમાં વિસ્તરેલી આ કથાને ‘પુરાણ’, ‘પંડિતયુગનું મહાકાવ્ય’, ‘મહાનવલ’ વગેરે રૂપે ઓળખાવવામાં આવી છે.
“સરસ્વતીચંદ્ર”ને નવલકથા કરતાં કુટુંબકથા, રાજ્યકથા અને જ્ઞાનકથા તરીકે વધુ જોવામાં આવે છે. “સરસ્વતીચંદ્ર” એ આ લેખકનું મહાન પ્રદર્શન છે. એમની મહત્તાનું માપ આ પુસ્તકો વાંચીને માપી શકાય છે. “સરસ્વતીચંદ્ર” એ ગુજરાતી સાહિત્યમાં અનન્ય ગ્રંથ છે. એમનું પાત્રાલેખન વાસ્તવિક અને વિવિધતાભર્યું છે. એમની સુંદર , સાદી અને અલંકારિક ભાષાએ ગુજરાતી ગદ્યસાહિત્યને નવું બળ આપ્યું છે. “સરસ્વતીચંદ્ર” ગુજરાતી ગ્રહજીવનનું પુરાણ લેખાય છે. ગુજરાતી આચારવિચારને ભાવિ પ્રજા સમક્ષ સુંદર રીતે રજૂ કર્યો છે. આજ તો એમનો ઉદેશ હતો.ગોવેર્ધનરામે સરસ્વતીચંદ્ર દ્વારા એ વખતનાં ચાલતાં ચુસ્ત રૂઢિઓ અને રિવાજોને પડકાર્યા છે. એમનાં અનેક પુસ્તકો દ્વારા સમાજસુધારણાની પ્રવૃત્તિને બળ મળ્યું . એમની નવલકથા બોધપ્રધાન, સામાજિક નવલકથા ઉપરાંત ગુજરાતી સાહિત્યમાં એક અગત્યનું અંગ બની અને આ નવલકથાને ખૂબ વેગ મળ્યો,ઘણી ઘણી સુંદર નવલકથાઓને બાજુએ રાખી “સરસ્વતીચંદ્ર” ઘણાં પગથિયાં ઉપર ચડી ગઈ તેમની આ કૃતિમાં કવિતા ભરપૂર છે. ખૂબ જ સરળતાથી વિચારો, ભાવમય રીતે તેમના કાવ્ય દ્વારા પ્રદર્શિત કર્યા છે.તેમની કવિતાઓ મૃદુ છતાં વીજળીના ચમકારા લેતી, રસવૃષ્ટિ છે. એમ પણ કહી શકાય કે આ સારો ગ્રંથ રસગ્રંથ છે. તેને મહાભારત કે રામાયણ સમો કહી શકાય. સરસ્વતીચંદ્ર એટલે મહાકાવ્યોનો ગદ્યાવતાર. કુમુદનાં પાત્રમાં સીતાજીની આછી – પાતળી છાયા પણ મને દેખાય છે. તો બીજી તરફ કુમુ -ચંદ્રની પ્રબળ વેગવંતી સ્નેહકથા આપણું દિલ જીતી લે છે અને બાણભટ્ટનાં જેવી ગાજંતી તેમની વર્ણન માળા – મનને પ્રફુલ્લિત કરી દે તેવી છે એટલું જ નહિ -વિપુલ પાત્રો આ નવલકથાની બીજી વિશેષતા છે. સરસ્વતીચંદ્રના દરેક પાત્રને તેમનાં ગુણ પ્રમાણે નામો આપી લેખકે અનોખી શૈલીની ઓળખ આપી છે.
ગોવેર્ધનરામ એક વિદ્વાન લેખક થઇ ગયા.એમણે વાંચનથી શબ્દને ઉછેરી પોંખી પોખીને વાપર્યા છે. “એમ કહેવાય છે સત્યનો ચહેરો જોવો હોય તો ગાંધી પાસે જાવ,સૌન્દર્યનો ચહેરો જોવો હોય તો ટાગોર પાસે જાવ મૌન અને શાંતિનો ચહેરો જોવો હોય તો બુદ્ધ પાસે જાવ,” પણ મેં આ બધાનો સુમેળ માત્ર એક નવલકથામાં જોયો છે.એમના પાત્રો અને કથાવસ્તુ એમની વ્યાપક વિષયોને ઊંડાણમાં લેવાની મનોવૃત્તિના સૂચક છે. સંસારત્યાગમાં નહીં, સંસારસેવા અર્થે જીવન સમર્પિત કરવું એ જ સાચો સંન્યાસ એવી પ્રવૃત્તિમય સંન્યાસની ભાવના એમણે આ કથામાં રજૂ કરી છે. પિતાની ધર્મનિષ્ઠા અને માતાની વ્યવહારુતા – બંને ગોવર્ધનરામ વારસામાં મળ્યા હતા જેના પડઘા મેં નવલકથામાં જોયા છે.
સરસ્વતીચંદ્ર “માત્ર પ્રણયકથા નથી;લાગણીનો માત્ર સૂક્ષ્મ સંઘર્ષ નથી પણ પ્રણયકથા નિમિત્તે એ સંસ્કૃતિકથા છે. સમકાલીન ઘટનાઓ વિશે ચિંંતન-મનન કરાવતી આ કથાનું નાટ્યરૂપાંતર પણ થયું છે અને હિન્દીમાં ફિલ્મ પણ ઉતારી છે. ઇતિહાસ કહે છે કે જયારે “સરસ્વતીચંદ્ર ” છપાયો ત્યારે એટલે કે એ તિથિએ અર્વાચીન ગુજરાતી સાહિત્યે જગતસાહિત્યમાં પગ મુક્યો. ગોવર્ધનરામ ત્રિપાઠી પંડિત યુગના પ્રથમ સાહિત્યકાર ગણાય છે.
ગોવર્ધનરામનાં બીજાં સર્જનોમાં નવલરામની જીવનકથા તથા પિતૃઅંજલિ-રૂપ લખેલું : ‘માધવરામ-સ્મારિકા’. આ ઉપરાંત ધર્મ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર આદિ અનેક વિષયો પર તેમનાં ભાષણો તેમ જ અંગ્રેજી અને ગુજરાતી સામયિકો માં તેમણે લખેલા કેટલાક લેખો પણ ઉચ્ચ કોટિના હતા. પણ મારા માટે તો “સરસ્વતીચંદ્ર” અને “ગૌવર્ધનરામ ત્રિપાઠી” એક શ્રેષ્ઠ સર્જક અને કથા એક શ્રેષ્ઠ સર્જનાત્મક ગ્રંથની છાપ સાથે હજી પણ અકબંધ છે.
જયવંતી પટેલ

સંકલન વિશેષ :અભ્યાસકાળ દરમિયાન એમણે જીવન જીવવા માટે ત્રણ સંકલ્પ કર્યા,
૧. એલ.એલ.બી. થઈ મુંબઈમાં વકીલાત કરવી,
૨. ક્યારેય નોકરી કરવી નહિ,
૩. ચાળીસમે વર્ષે નિવૃત્તિ લઈને શેષજીવન સાહિત્ય અને સમાજની સેવામાં સમર્પિત કરવું.
‘સરસ્વતીચંદ્ર’ : ભા.૧ (૧૮૮૭) નવલકથા એમની ગ્રંથરૂપે પ્રગટ થયેલી પહેલી કૃતિ છે. પછી ક્રમશઃ બીજા ભાગો ચૌદ વર્ષ દરમિયાન પ્રગટ થયા.સરસ્વતીચંદ્ર –ભા. ૧,૨,૩,૪ (૧૮૮૭, ૧૮૯૨, ૧૮૯૮, ૧૯૦૧) : ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની બૃહત્કાય નવલકથા. આશરે અઢારસો પૃષ્ઠમાં વિસ્તરેલી આ કથાને ‘પુરાણ’, ‘પંડિતયુગનું મહાકાવ્ય’, ‘મહાનવલ’ વગેરે રૂપે ઓળખાવવામાં આવી છે. આ બૃહત્ નવલકથામાં ઓગણીસમી સદીના અંતભાગમાં જીવનને આટલા વ્યાપક સંદર્ભમાં જોવા-મૂલવવાનો અને તેને કળારૂપ આપવાનો જે પુરુષાર્થ એના સર્જકે કર્યો છે તે ઘટના ગુજરાતી સાહિત્યમાં જ નહીં, બલકે સમગ્ર ભારતીય સાહિત્યમાં અજોડ છે.-જયંત ગાડીત.

૨૭ એપ્રિલ ૨૦૧૬ના રોજ ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગોવર્ધનરામ ત્રિપાઠીના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગાંધીનગર ખાતે આ ટિકિટનું વિમોચન કર્યું હતું

પૂર્વ આફ્રિકાનો મારો પ્રવાસ-જયવંતી પટેલ

સમય સદા  ગતિમાન હોય  પકડાતો નથી અને તેથી તેની સાથે દોડતાં રહેવું પડે છે.  પણ ક્યારેક સમય ખૂબ આગળ નીકળી જાય છે.  મારી સાથે પણ કાંઈક આવું જ બન્યું.  1960 ના જુલાઈ મહિનામાં દારેસલામ, ટાન્ઝાનિયાથી મારી પાંચ મહિનાની દીકરીને લઇ અમે લંડન આવ્યાં હતા.   2019 ના જુલાઈ મહિનામાં જયારે પૂર્વ આફ્રિકા જવાનું ગોઠવાયું ત્યારે અમૂક અંશે ખુશી હતી કે જ્યાં મેં બાળપણ વિતાવ્યું હતું એ જગ્યા મને વર્ષો પછી નિહાળવા મળશે.  સાઈઠ વર્ષ એ લાંબો ગાળો હતો એટલે બદલાવ તો થયો જ હશે એ ચોક્કસ હતું.  પણ થોડી ચિંતા હતી કે ન ધારેલા બદલાવ મનને નિરાશ ન કરી દે !

 

સેનફ્રાન્સિસ્કોથી ઈસ્તાનબુલ 13 કલાકનો પ્રવાસ અને ઈસ્તાનબુલથી દારેસલામ 7 કલાક થાય.  એસએફથી અમે ત્રણ, હું, મારો દીકરો, અને તેની મિત્ર તેર કલાકનાં પ્રવાસ પછી ઈસ્તાનબુલ પહોંચ્યા.   લંડનથી મારી દીકરી, તેના બે દીકરાઓ અને તેની મિત્ર એમ ચાર જણા આવ્યાં અને એલ એ થી મોટી બહેન આવ્યા.  કુલ આઠ ભેગા થયા.  ઈસ્તાનબુલથી દારેસલામ સાત કલાકનો પ્રવાસ સાથે કર્યો.  વહેલી સવારે દારેસલામ  એરપોર્ટ પહોંચ્યા.  કસ્ટમ અને ઇમિગ્રેશન પસાર કર્યું.  કસ્ટમમાં ધારવા કરતાં વધારે સમય ગયો.  સવારે 5.30 કલાકે અમો અમારી મોટેલ ઉપર પહોંચ્યા.  ચારેક કલાક નો આરામ પછી તૈયાર થઇ ગામમાં ફરવાં ગયા.  સાઈઠ વર્ષમાં ઘણો ફેરફાર થયો હતો.  નાના ઘરો તોડીને મોટા મોટા બિલ્ડીંગો બંધાય ગયાં હતા.  પણ રસ્તા અને ટ્રાફિક એવાજ સાંકડા અને ભરચક.  મારી આંખો અમે રહેતાં હતા તે જગ્યા શોધી રહી હતી.  એ બાળપણની યાદો જાણે ક્યાંક દેખાઈ જાય!  પણ એવું કશું જ મળ્યું નહિ.  1961 માં  ઉહુરુ (સ્વતંત્રતા )  મળ્યા પછી ટાન્ઝાનિયાનો પ્રેસિડન્ટ બદલાય ગયો.  તે પહેલાં જુલિયસ ન્યેરેરે હતો.  2015 થી જ્હોન માગુફૂલી પ્રેસિડન્ટ છે. વચલા ગાળામાં અલી હસન મવિન્યી હતો.  પ્રેસિડન્ટ બદલાવાની સાથે કાયદા કાનૂન માં ઘણો ફેરફાર આવ્યો.  ટાન્ઝાનિયામાં ઘણી ઇસ્લામિક અસર જોવા મળી.  સરકાર ગમે તે વખતે ગમે તે કરી શકે.

 

થોડો વખત ગામમાં ફરી સીધા અમે જેને  નાનો દરિયો કહેતાં તે તરફ ગયા.  એજ રળિયામણો સમુદ્ર, પવનની લહરીઓ અને આવતી જતી બોટ ફેરી, નાના હોડકાંઓ વિગેરે.  નાના હતાં ત્યારે કેટલીયે વાર અહીં આવી કિનારે બેસતાં અને નિર્દોષ આનંદ લેતા.  એ બધું સ્મૃતિપટ પર આવ્યું !  છોકરાંઓને અને બાકી સર્વેને સકોની (માર્કેટ) ગામ અને મ્યુઝમ જોવું હતું એટલે ચાલીને ગામમાં ફર્યા , માર્કેટમાં ગયા અને છેલ્લે પૂર્વ આફ્રિકાનો ઇતિહાસ કહેતું મ્યુઝમ જોયું.  1973 સુધી દારેસલામ, ટાન્ઝાનિયાનું રાજધાની હતું.  તે પછી ડોડોમાં થયું.  ડોડોમાં કર્યું તેનું મુખ્ય કારણ એનું ભૌગોલિક સ્થાન.  ડોડોમાં જે જગ્યાએ છે તે મધ્યમાં આવેલું હોય આજુબાજુનાં પ્રાંતોને રાજધાનીની કાર્યવાહી માટે સગવડિયું અને ફાયદાકારક પડે છે.  દારેસલામ હજુ પણ વેપારધંધા માટે મહત્વનો ભાગ ભજવે છે.  અને સાગરને કિનારે હોવાથી સમુદ્ર માર્ગ પણ ઉપલબ્ધ છે.  પહેલાં મોટે ભાગે દેશમાં અને અન્ય પ્રદેશોની મુસાફરી જહાજો દ્વારા થતી.  ધીમે ધીમે હવાઈજહાજ વધારે ઉપયોગી થતાં ગયા.  છતાં લોકો સ્ટીમરોનો હજુપણ ઉપયોગ કરે છે.  વિષુવૃત આફિકામાંથી પસાર થતો હોય દારેસલામમાં પુષ્કળ ગરમી પડે છે.  જેને આપણે ( ટ્રોપિકલ કન્ટ્રી) ઊષ્ણ કટિબંધ પ્રાદેશિક વિભાગ કહીએ છીએ તેમાં તેની ગણતરી થાય છે.  બીજે દિવસે ઓસ્ટર બે (ઊપસાગર )ગયા અને ત્યાંની ખુશનુમા હવા અને દરિયાની મોજ માણી.

 

પુષ્કળ ગરમી પડતી હોય અહીં આપણા દેશની જેમ નાળિયેર, જાંબુ, જમરૂખ, સીતાફળ, પપૈયા, કેરી, શેરડી, મોગો, મકાઈ, શીંગદાણા, અનાનાસ, તરબૂચ વિગેરે ફળો પુષ્કળ જોવા અને ખાવા મળે છે.  ત્યાંનો મૂળ ખોરાક મકાઈ.  મકાઈના લોટને બાફીને (જેને ઉગારી કહે છે ), તેનાં નાના મુઠયા વાળી કોઈપણ ઢીલુ રસાવાળું કઠોળ સાથે ખાય , જેવાકે રાજમા, ચણા, દાળ વિગેરે.  માછલીનો વેપાર પણ ઘણો.

હવે ઇસ્લામિક અસર વધારે પ્રમાણમાં જોવા મળે છે.  પહેલાં સ્ત્રીઓ હિજાબ ન્હોતી પહેરતી પણ હવે ઘણું ખરું એ પહેરવેશ જોવા મળે છે.  પ્રજા ગરીબ છે.  પહેલાં કરતાં એડજયુકેશનમાં સુધારો થયો છે પણ હજુ ઘણી પ્રગતિની જરૂર છે.  ત્યાંની સરકાર માટે કહેવાય છે કે લોકો પાસે જોરજુલમથી પૈસા ઊઘરાવે છે.  એશિયનો ઘણા ખરા દેશ છોડી નીકળી ગયા છે.  જે થોડાઘણા રહ્યા છે તેઓ ને હવે દેશ બદલવો નથી એટલે ત્યાંના કાયદા કાનૂન પ્રમાણે સમજીને અનુકુળ  થઇ રહે છે.

 

ત્યાંની ભાષા સ્વાહીલી છે.  એક વખત સમજણ પડે તો શીખવાની અઘરી નથી.  સાઈઠ વર્ષ પહેલાં ઘરમાં નોકર સાથે બોલતાં પછી તો તદ્દન ભુલાય ગઈ.  ત્યાં ગયા અને લોકોને બોલતાં સાંભળ્યા તો બધું તાજુ થયું અને યાદ પણ આવવા લાગ્યું.  જેવા તમે કોઈને મળો એટલે આપણે જેમ નમસ્તે! કેમ છો ?  મજામાં છોને ? બોલીએ એ રીતે આ વાક્યો તેમની ભાષામાં બોલાય છે: જામ્બો. જામ્બો બાના , હબારી ગાની ?  મજૂરી સાના.  મને તો એ સાંભળીને એટલો આનંદ થતો હતો.

 

ત્રણ દિવસ દારેસલામમાં રહ્યા પછી અમે અરુશા પ્લેનમાં ગયા.  એક કલાકની મુસાફરી હતી.  સવારે સાડા  દસ વાગ્યે પહોંચી ગયા.  અમારી સફારી માટેનો મેનેજર હાજર હતો.  બે જીપ, બે તાલીમબદ્ધ ડ્રાઈવર સાથે અમોને ફેરવવા તૈયાર ઊભા હતા.  શરૂઆતની ઓળખાણ થયા પછી અમારી ટ્રીપ (સફર )શરૂ થઇ.  મનીયારા પાર્ક, ન્ગોરો ન્ગોરો ક્રેટર ,અને છેલ્લે સેરેંગટી સફારી પાર્ક.

આખું અઠવાડીયું જેમ જેમ આગળ વધતાં ગયા તેમ તેમ કુદરતની અજાયબી નિહાળતાં પ્રાણીઓ, પક્ષીઓ, જોયા.  દરરોજ સવારે 7.30 વાગ્યે તૈયાર થઇ જીપમાં બેસી જવાનું.  તો  જ રોજનીશી પ્રમાણે ફરી શકાય.  અનેક પ્રાણીઓ જેવા કે જિરાફ, હાથી, સિંહ, ઝેબ્રા, ચિત્તા, ગેઝલ્સ (હરણાં જેવા પ્રાણીઓ ) અનેક પક્ષીઓ જોયા.  જીપમાં પોતાનાનો સંગાથ અને બહારે કુદરત સાથેનો વિહાર ,ખૂબ આનંદ આપતો હતો.

 

ભરચક ઝાડી, પછી માઈલોના માઈલો વેરાન ભાસતું જંગલ, ખળ ખળ વહેતા ઝરણાં, અને કાંઠા ઊછળતી નદીઓ, પર્વતોની હારમાળા અને વાદળોનાં ઝૂમખાં, આવા છલોછલ કુદરતી સૌન્દર્ય ને વાગોળતા આઠ દિવસ ક્યાં પસાર થઇ ગયા તે ખબર ન પડી.  તે દરમિયાન બે વખત સ્થળાતંર (માયગ્રેસન )કરતા હજારો જંગલી પ્રાણીઓ જોયા.  જે જૂજ જોવા મળે છે.  તે દરમિયાન બે રાત્રી કેમ્પમાં રહ્યા, બે રાત્રી લોજમાં રહ્યા, એક દિવસ રિટ્રીટ (અલગ સ્થળ ) માં રહ્યા અને બાકીનાં દિવસો મોટેલમાં રહ્યા.  છેલ્લા ચાર દિવસ ઝાંઝીબાર માં રહ્યા.  પહેલા બે દિવસ ગામ વચમાં મોટેલમાં રહ્યા જેથી ચાલીને ગામ જોઇ શકાય.  છેલ્લા બે દિવસ દરિયા કિનારાની બીચ મોટેલમાં રહ્યા જયાંથી સમુંદ્ર ખૂબ નજીકથી સવાર સાંજ જોવા મળ્યો.  ઉગતાં સૂર્યનાં કિરણો, સાથે ઘુઘવતો સાગર,

ખૂબ રમણીય અને કર્ણપ્રીય હતો.  સાંજના આથમતો સૂર્ય પણ એટલો જ રળિયામણો લાગતો.  બંને દિવસ સાગરનાં પાણીમાં ન્હાવાનો અનેરો આનંદ આવ્યો.  ઘણાં વર્ષો પછી જાણે ઘરે આવ્યા હોય એવું અંતરમાં થતું હતું.

 

ઝાંઝીબારમાં ગામમાં ફરી લીધા પછી મસાલાના ખેતરો જોયા.  તજ, લવીંગ, મરી, જાયફળ, અને એલચી આ બધા મસાલાની શરૂઆત આપણા હિન્દુ ભાઈઓએ કરેલી અને આજે એનો સારો વેપાર થાય છે.  અમે પણ દરેક વસ્તુ થોડી થોડી ઘરને માટે અને આપવા માટે બંધાવી.  તે ઉપરાંત ત્યાંના લોકોની હાથની બનાવટની વસ્તુઓ જેવી કે નાના હાથીઓ, જિરાફ, મસાઇના પૂતળાંઓ, શિંગડામાંથી બનાવેલ વિવિધ એરિંગ્સ, હાર, લુઝ, વિગેરે પુષ્કળ ચીજો દુકાનમાં જોવા મળી.  દરેકે પોતાની પસંદગીની વસ્તુઓ બંધાવી.

 

ચાર દિવસ ક્યાં પસાર થઇ ગયા તેની ખબર ન પડી.  શ્રુષ્ટિનું આ અનેરું સૌન્દર્ય, તેની માદક્તાને અનુભવતાં તેમાં રસતરબોળ બની આનંદ લઇ રહ્યા હતા.  છેલ્લે પાછા જવાનો દિવસ આવી ગયો.  સાંજે 5.30 વાગે અમારી ટેક્ક્ષીવાન આવી અને અમો સહુ સામાન સહીત એમાં ગોઠવાયા અને એરપોર્ટ તરફ પ્રયાણ કર્યું.  આવ્યા ત્યારે કિલિમાન્જારો એરપોર્ટ પરથી ઝાંઝીબાર આવ્યા હતા.  હવે જતી વખતે ઝાંઝીબાર એરપોર્ટથી દારેસલામ પહોંચવાનું હતું.  રાત્રે સાડા નવે પહોંચ્યા.  આઠ કલાક પછી અમારી ફ્લાઇટ હતી.  સવારે પાંચ વાગ્યે ઉપાડ્યા અને ઈસ્તાનબુલ આવ્યા

અહીં બધા છૂટા પડ્યા.  ચાર જણા લંડન ગયા, મોટી બહેન એલ એ ગયા અને અમે ત્રણ એસ એફ આવ્યા.  13 કલાકની મુસાફરી પછી સેન્ફ્રાન્સિસ્કો એરપોર્ટ ઉતર્યા અને ટેક્સી કરી ઘરે આવ્યા

આમ અમારો પૂર્વ આફ્રિકાનો પ્રવાસ ખૂબ સફળ રહ્યો.  મનમાં હંમેશ થતું કે એકવાર મારે આફ્રિકા જવું છે અને એ ઇચ્છા પૂરી થઇ.  આટલા વર્ષો પછી શું બદલાઈ ગયું હશે એવું મનમાં થતું.  ત્યાં જઈ જોયું તો મોટા મોટા બિલ્ડીંગો સિવાય કશું જ બદલાયું ન્હોતું.  એજ સાલસતા ત્યાંના લોકોમાં હજુપણ જોવા મળી.  મસાઇને જુઓ તો તેમનામાં જરાપણ ડર નહીં.  પોતાના કામમાં મશગુલ.

અમારાં જેવા મુસાફરો ને જુએ ત્યારે કુતુહલ પૂર્વક જોઈ રહે.  હસે અને આવકારે.  કોઈ જાતનો આડંબર નહિ.  ખોરાક સાદો, પહેરવેશ પણ સાદો અને ગાયોને ચરાવવાનું તેમનું કામ.  ત્યાંની સરકારે તેમની પાસેથી ઘણી જમીન લઇ લીધા પછી હવે ખાસ એક જગ્યા મુકરર કરી તેમને આપી છે, જ્યાં તેઓની વસ્તી રહે છે.

 

ટાન્ઝાનિયાનું રાષ્ટ્રિય ચિન્હ જિરાફ (Twiga) છે.   તેનાં પ્રતીકમાં યોદ્ધાની ઢાલ છે જેમાં ઉપરનો ભાગ સોનાનો હોય ત્યાંના ખનીજની જાણકારી આપે છે.  પછી ત્યાંના ફ્લેગ યાને કે ઝંડાને હાથીદાંતથી બંને તરફથી ટેકો આપી તેનું મહત્વ દર્શાવ્યું છે.  નીચેનાં ભાગમાં માઉન્ટ કિલિમાન્જારો બતાવ્યો છે.  હાથીદાંતને ટેકો આપી એક સ્ત્રી અને એક પુરુષ બંને તરફ ઉભા છે..પુરુષનાં પગ પાસે લવીંગનો છોડ અને સ્ત્રીનાં પગ પાસે રૂ નો છોડ રાખેલ છે.  ઢાલમાં એક સળગતી મશાલ ની જ્વાળા જોવા મળે છે.  તેની સાથે ખેતીનાં સાધનો જેવા કે કોદાળી, હળ વિગેરે કે જે ત્યાંના વાતાવરણ અને માનવતાની પહેચાન આપે છે.

 

ટાન્ઝાનિયા તેનાં હીરા માટે ખૂબ જાણીતું છે.  ત્યાંના ખાસ નીલા રંગના હીરાને ટાન્ઝાનાઇટ કહેવામાં આવે છે.  અને તે ખૂબ સુંદર હોય છે.  આફ્રિકાની નાની કળાઓને વિકસાવી દેશને ઉંચો લાવવા પ્રયત્ન થઇ રહ્યો છે.  તે ઉપરાંત ટુરિઝમ ને પણ ખૂબ બઢાવો આપી રહ્યા છે.  તેમાં કુદરતનાં કરિશ્મા રૂપ માઉન્ટ કિલીમાંઝારો, મનીયારા પાર્ક, ન્ગોરો ન્ગોરો ક્રેટર, સેરેંગાટી સફારી પાર્ક જેવા સ્થળો ખૂબ પ્રચલિત છે.  આ સર્વેને બહારની ઘણી મદદ મળી રહે છે.  ટુરિઝમને ઊંચો લાવવા સારી સારી મોટેલો અને ખાવાનાં સ્થળો પણ બંધાયા છે.  પહેલેથી ગોઠવેલી સફરો હવે સહેલાઈથી ઓન લાઈન મેળવી શકાય છે.  બહારથી બે કે ત્રણ અઠવાડિયા માટે જતા પ્રવાસીને માટે આરામદાયક હોય છે.  સમયની પાબંધી ન હોય તો પોતાની રીતે કાર કે જીપમાં ફરી શકાય.

પણ કોઇ ભોમિયો સાથે રાખવા જરૂરી ખરો.  વીસા અને કસ્ટમનાં પેપરો તૈયાર રાખવા.  દારેસલામ યાનેકે ટાન્ઝાનિયાના અમારાં પ્રવાસને સફળતા પ્રાપ્ત થવાનાં મુખ્ય કારણો હતા। …..મનગમતો સંગાથ – અઢળક કુદરતી સૌન્દર્ય, મનની ઉત્સુકતા અને થોડી કુતુહલતા ……….!!!!!!!

 

 

જયવંતી પટેલ

1-મને જીવવુ ગમે છે-જયવંતિ પટેલ 

આ મહિનાનો વિષય છે -‘જીવન મને ગમે છે’. 

વાત જીવનની છે. જીવન  એટલે પ્રાણતત્ત્વ, ચૈતન્ય…મૃત્યુ નિશ્ચિત્ત છે, માટે જીવન ગમે છે.બસ આવી જ કોઈ વાત અને વિચાર તમારે વાર્તા કે નિબંધ  ગમે તે સ્વરૂપે રજુ કરવાની છે. કલમને કસવાની છે.વિચારોને વિકસાવવાના છે.આપ સૌએ લખ્યો હોય તો please  મોકલશો ​

આજે જયવંતીબેનનો લેખ વાંચી આંનદ  માણો 

જયારે મન કહે કે મને જીવવુ ગમે છે ત્યારે મનનાં ઊંડાણમાંથી પ્રશ્ર્ન જરૂર થાય શા માટે તને “જીવન  ગમે છે”?
જીવનનાં બે પાસા હોય છે.  શારિરીક અને માનસિક.  જો શારિરીક તંદુરસ્તી બેકરાર હશે તો માનસિક આનંદ આપોઆપ આવશે .   શરીર સાજુ સમુ રહે એ જરૂરી આવશ્યકતા છે.ભગવાને આપણને કેટલી બધી સુવિધા આપી છે.  દ્રષ્ટિ માટે નેત્રો,  સાંભળવા માટે કાન,  સુંઘવા માટે નાક,  બોલવા માટે જીભ, ચાલવા માટે પગ,  કામ કરવા બે હાથ ,  શ્વાસોશ્વાસ લેવા ફેફસાં,  ચાવવા માટે દાંત ,  પચાવવા માટે પેટ,  બનેલ લોહીને શરીરનાં અન્ય ભાગોમાં લઇ જવા માટે આંતરડા અને રગો, કચરો બહાર ફેંકવા નિકાસ દ્વાર,  વિચારવા માટે મગજ અને સૌથી નાજુક પણ મજબુત મન, હૈયું આપ્યું છે.  કેટલી કૃપા કરી છે.  કેવી અદ્ભૂત સર્જનતા.
હવે માનસિક તંદુરસ્તીની વાત કરીએ તો મન આનંદમાં રહે,  ક્યાંય વિખવાદ ન હોય, અનેક મિત્રો હોય, જીવનસાથી હોય, ઘરમાં બાળકો કિલ્લોલ કરતાં હોય,  માથાપર છત હોય, અને
ઘરમાં અનાજ હોય તો બીજુ શું જોઈએ ?  મન સન્તુષ્ટ હોય તો નાની વાત પણ આનંદ આપે અને જીવવાનું મન થાય.
ક્યારેય વિચાર્યું છે કે આ બધું ના હોય તો જીવન કેટલું પાંગળુ બની જાય?  કોઈ માણસ એક પગ ગુમાવે કે એક હાથ ,  તો કેટલું કઠીન બની જાય છે જીવવાનું ?  એક પગે ચાલી
જુઓ તો ખબર પડે! અને દરેક કામ એક જ  હાથે કરી જુઓ.  તેવી જ રીતે ચક્ષુ ન હોય કે બોલી ના શકાતુ હોય, તો જીવન કેવું અલગ બની જાય.  વિકલાંગ બાળકો અને મનુષ્યોની હાડમારી એટલી ઊત્કર્ષ હોય છે કે સામાન્ય માણસને તેનો ખ્યાલ આવવો અઘરો છે.  ઘરનાં એકાદ સભ્યને આવી ઉણપ હોય તો જ સાચો ખ્યાલ આવે.  તો પણ મારે કહેવું પડે કે આજકાલ વિકલાંગ બાળકો જે પ્રગતિ કરે છે તે દાદ માંગી લ્યે છે.  શિક્ષણ ક્ષેત્રમાં કે રમતગમતનાં ક્ષેત્રમાં, ભાષણ આપવામાં કે મ્યુઝિક વગાડવામાં, ગાવામાં કે નૃત્યમાં વિકલાંગ
બાળકો અને યુવાનોએ ખૂબ પ્રગતિ કરી છે.  એક બાળાએ એક પગ કપાઈ ગયા છતાં હિમાલય ચઢી રેકોર્ડ તોડયો છે.  જીવવાની ખૂમારી હોય તો જ આ સફળતાનાં શિખરે પહોંચાય અને મોટે ભાગે આપણા સર્વેમાં આ ખૂમારીનો અંશ જરૂર હોય છે.
જીવન કેવી રીતે જીવવુ એ પણ એક કળા છે.  અઢળક સંપત્તિની વચમાં પણ તમે સાદુ જીવન જીવી શકો છો.  શારિરીક વિકાસ બાળપણથી વીસ વર્ષની ઉંમર સુધી થાય છે પણ માનસિક વિકાસ તો કોઈપણ ઉંમરે કરી શકાય છે.  એ વિકાસ માટે મનના દ્વાર હરદમ ખુલ્લા રાખવા જરૂરી છે.  મનની મોકળાશ રાખશો તો ઘણું બધું શીખવા મળશે.  મનના ચક્ષુ ખુલ્લા રાખી જોશો તો અનેક વાતો જે બીજાને ના સમજાય તે તમોને સમજાશે.  તેમાં આત્માનો અવાજ પુરશો તો પછી જુઓ ક્યાંય અડચણ નહીં વરતાય.  સામી વ્યક્તિને સમજવામાં કે કોઈ જટીલ કોયડો ઉકેલવામાં જરાયે મુશ્કેલી નહીં આવે.  આપોઆપ સમજાવા લાગશે.  સાદુ જીવન એનો અર્થ એ નથી કે મળતી બધી સુવિધાનો ત્યાગ કરી તપસ્વી જીવન જીવવું  –  મનની સાદાઈ,  નિરર્થક વમળોમાં નહીં અટવાવા દયે.  કોઈપણ જાતની અપેક્ષા વગરનું જીવન,  જે મળે તેનાથી ચાલશે, ફાવશે, ગમશે!  આને તમે સાદાઇ કહી શકો.
જીવવું કોને નથી ગમતું ?  ચોથા સ્ટેજનું કેન્સર કહ્યા પછી પણ જુવાન હોય તો જીવવાની અને જીવાડવાની એટલી અભિલાષા હોય કે ગમે તે કરવા તૈયાર થઇ જાય.  અમારાં જ ઓળખાણમાં એક દંપતિનો જુવાન બાળક,  બાર વર્ષની ઉંમરનાને લોહીનું કેન્સર કહ્યું.  માં-બાપે કાંઈજ કરવામાં બાકી ના રાખ્યું.  જેણે જે કહ્યું તે કર્યુ.  મેકક્ષિકોમાં ખાસ ટ્રીટમેન્ટ આપે છે એ જાણ્યું એટલે ત્યાં લઇ ગયા પણ ત્રણ વર્ષને અંતે એ છોકરાને પ્રભુએ પોતાની પાસે બોલાવી લીધો.  જીવવાનું કોને નથી ગમતું ?  નાના પંખી કે પતંગિયું , ચણ ચણતી ચકલી કે કબુતર ,  ગીતો ગાતી કોયલ કે કાગડો, દૂધ દેતી ગાય કે બળદ , કિલકિલાટ કરતું બાળક કે ઘરડુ માણસ,  દરેકને જીવવુ ગમે છે.
જીવન જીવવા માટે કોઇ ધ્યેય હોવો જરૂરી છે.  જીવન દરમિયાન બને તેટલી સેવા કરવી, દરેકને મદદરૂપ બનવું , સદમાર્ગે વિચરવું અને શારીરિક અને માનસિક તંદુરસ્તી સાચવવી.
મોટા મોટા સાહિત્યકારો, કવિઓ , ગઝલકારો, તેમજ સંગીતકારો ભાષા અને સંસ્કૃતિને સાચવવા ઘણું યોગદાન આપતા હોય છે.  આપણાથી વધારે નહીં તો ઘરમાં બાળકો સાથે અને પવઉતરો, પવત્રીઓ સાથે આપણી ભાષામાં બોલતાં રહેવું.  લાંબે સમયે તેનું પરિણામ જરૂર દેખાશે.  ભલે થોડું, પણ તમારી સંસ્કૃતિ અને ભાષાને માટે એ તમારું યોગદાન રહેશે.
સાચી ભાવના હૃદયે રાખતાં ઘણાં વડીલો નિવૃત્તિ પછી મોટા મોટા કામ કરી જાય છે.  દા. ત.  સિનિયરોને નિવૃત થયા પછી પડતી દરેક મુશ્કેલીમાં માર્ગદર્શન કરવું અને બને તેટલી મદદ કરવી.  મજમુદાર સાહેબ જેને સૌ દાદા કહેતા, તેઓએ નિવૃત્ત જીવનમાં જ ખૂબ સેવા આપી છે. જેને બીજાઓ માટે કશું કરી છૂટવું છે તેઓને જીવવું ખૂબ ગમે છે.  અંતસમયે પણ એવું લાગે કે મારું આ કામ રહી ગયું.  હજુ આટલું વધારે કરી શકી હોત તો કેટલું સારું.  જીવન ખાલી જીવવા માટે નથી જીવવાનુ .  એ જીવનને સેવામય રાખી સમૃધ્ધ કરવાનું છે.  હંમેશા પાણી જેવા બનો, પથ્થર જેવા નહિ.  પાણી પોતાનો માર્ગ જાતે બનાવે છે અને પથ્થર બીજાનાં માર્ગમાં અડચણ પેદા કરે છે.
કર્મ વિવેક અને સત્ય વિવેક જીવનને પાટા ઉપર ચાલતા રાખશે.  ઊદાહરણ તરીકે ગાંધીજીનો દાખલો લઈએ તો ગાંધીજી સત્ય , પ્રેમ અને અહિંસાનો ત્રિવેણી સંગમ હતા.  આવા સૂત્રોને જીવન સાથે સંકળાવીયે ત્યારે જીવન જીવવાનો મર્મ સમજાય છે- અને તેથી જ ભીતરથી ઘ્વાની સંભળાય છે…………આહા…….મને જીવવું ગમે છે! જીવન મને ગમે છે.
જયવંતિ પટેલ

૧૭-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-જયવંતી પટેલ

જીવન અને સંગીત 
શ્રુતિ , તું સાચે જ મને અને આ ઘરને છોડી ને જતી રહેવાની છો ?  પછી હું શું કરીશ ?”
 ” એ તો તું જાણે !  –  તારા જીવનમાં મારૂં કોઈ સ્થાન નથી.  દરેક વસ્તુ તારી ઇચ્છા પ્રમાણે થવી જોઈએ.  તને અમેરિકા આવવું હતું તો મારે મારુ ભણવાનું છોડવું પડ્યું !  તને એવો કોઈ દિવસ વિચાર આવ્યો કે શ્રુતિને પણ મહત્વાકાંક્ષા હશે !!  મારે શા માટે ગીવ ઈન કરવું , દરેક વાતમાં ?  હું કંટાળી ગઈ છું.  તું તારે તારા મનસ્વીપણે રહેજે.”
 
એટલું કહેતાં તો શ્રુતિને કપાળે પરસેવાનાં બિંદુ આવી ગયા.  શ્રવણનાં માં – બાપ નો ટેકો ના મળ્યો હોત તો શ્રુતિએ કદાચ હિંમત ન કરી હોત પણ તેઓએ કહ્યું કે અમે તારી સાથે છીએ.  શ્રવણને પીવાની બૂરી લત પડી ગઈ હતી.  એને આ લતમાંથી છોડાવવા તેઓએ પણ શ્રુતિને સાથ આપ્યો.  વાત જાણે આમ બની.
 
પંદર વર્ષ પહેલા શ્રુતિ જયારે શ્રવણને પહેલીવાર મળી ત્યારે બંન્નેને એકબીજા પ્રત્યે ચુંબક આકર્ષણ થયું હતું.  બન્ને એકબીજામાં મુગ્ધ હતા.  શ્રુતિ સ્લીમ , દેખાવડી, નજરને ગમી જાય તેવી અને શ્રવણ પણ જુવાનીને આંગણે પહોંચેલ ફૂટડો જુવાન.  શ્રવણે શ્રુતિને કોફી પીવા આમંત્રણ આપ્યું અને શ્રુતિ માની ગઈ.  કોફી પીતા એકબીજાંને મુગ્ધતાથી જોતા રહ્યા.
શ્રુતિ આર્ટ્સમાં હતી અને શ્રવણ નું કોમર્સમાં છેલ્લું વર્ષ હતું.  શ્રુતિને હજુ બે વર્ષ બાકી હતા.  ત્યારે શ્રવણે અમેરિકા જવાનો વિચાર દર્શાવ્યો .   તેને અમેરિકન વિઝા મળેલ હોય ત્યાં જઈ સેટલ થવા વિચારે છે.  શ્રુતિ અવાક બની સાંભળી રહી.  છેલ્લે શ્રવણ જીતી ગયો.  શ્રુતિએ સંગીત જતુ કર્યું અને શ્રવણ સાથે લગ્ન કરી અમેરિકા પહોંચી ગઈ.  વર્ષો વિતતા વાર ન લાગી
શ્રુતિ  બે બાળકોની માતા બની.  પોતાનાં કુટુંબ સાથે શ્રુતિ ખૂબ વ્યસ્ત રહેતી.  બન્ને બાળકોને મોટા કરવામાં પાંચ વર્ષ ક્યાં નીકળી ગયા એ ખબર ન પડી.  શ્રવણની એકની કમાણી
પર ઘરસંસાર ચલાવવો મુશ્કેલ બનતો જતો હતો.  શ્રુતિ બહાર કામ શોધવા લાગી.  અને તેને કામ મળી ગયું.
 
બન્ને ભુલકાઓને તૈયાર કરી ઠંડીમાં એ બહાર નીકળતી.  મોટા નીલને શાળામાં મુક્તી અને નાની નેહાને કિન્ડર ગાર્ડન માં મુક્તી .  ત્યાંથી ડ્રાઈવ કરી કામે પહોંચતી. કોઈક વખત સમયસર કામે ન પહોંચાય તો લંચ જતુ કરવું પડતું.  ત્રણ વાગે ઓફિસેથી નીકળી પહેલાં નીલને લેતી અને પછી નેહાને લઇ ઘરે આવતી.  ઘરે આવતાં ચાર, સાડા ચાર થઇ જતા.
છોકરાંઓ બિમાર હોય ત્યારે મુશ્કેલી પડતી.  દિવસ ભાંગવો પડતો.  અને પગાર કપાઈ જતો.  શ્રવણ સવારે સાત વાગ્યે ઘરેથી નીકળતો અને સાંજના છ વાગ્યે ઘરે આવતો.
 
શ્રુતિ ઘરે આવી બન્ને બાળકોને ખવડાવતી, સંભાળ લેતી અને રસોઈ બનાવતી.  તેમાં શ્રાવણના માં – બાપ દેશથી ફરવાં આવ્યા ત્યારે તો હદ જ થઇ ગઈ.  બધી જવાબદારી શ્રુતિ ઉપર આવી જતી.  ગમે તેટલું કરે પણ જાણે તે પહોંચી ન્હોતી વળતી.  તેને લાગતું કે તેની કોઈ કિંમત નથી કરતુ.  શ્રવણ તો જાણે બદલાઈ જ ગયો હતો.  પ્રણયની પૂંજી તો સાવ ખાલીખમ દેખાતી.  તે રોટલી બનાવતી ત્યારે પોતાની જાતને રોટલીનાં લોટ સાથે સરખાવતી થઇ ગઈ.  પીસાવાનું , ખેંચાવાનું, શેકાવાનું અને સર્વેને રાજી રાખવાનું.  શ્રુતિનું મન ખૂબ આરૂ બની ગયું.  એવા નિરાશામય વાદળોમાં એક આશાનું કિરણ દેખાયું.  ઘણાં વર્ષો પછી તેની કોલેજની સખી સાધના તેને અચાનક મળી.  બન્ને એકબીજાને જોઈ ભેટી પડ્યા અને ખૂબ ખૂશ થયા.  જીવન કેમ ચાલે છે તેની એકબીજાને માહિતી આપી અને પાછા ક્યારે મળશું તે નક્કી કર્યું !  સાધનાએ પોતાનાં ઘરે વીકેન્ડમાં એક પ્રોગ્રામ રાખ્યો હતો અને તેમાં શ્રુતિ અને શ્રવણને આમંત્રિત કર્યા.  શ્રુતિએ શ્રવણને વાત કરી અને એ માની ગયો.  બન્ને બાળકોને લઇ સાધનાને ત્યાં ગયા.  ગાવાના પ્રોગ્રામમાં શ્રુતિએ એક કળી ગાયને ભાગ લીધો.  હાજર રહેલાં સર્વેને ખૂબ ગમ્યું અને તેને આવકારી.  પછી તો ખૂબ પ્રોત્સાહન મળ્યુ .  નાના નાના પ્રસંગોમાં ભાગ લેવાનું અને સાથ આપવાનું.  શ્રુતિને ગાવાનું ગમતું.  તેને
થયું હું શા માટે થોડી ટ્રેઇનિંગ ન લઉં અને મારી જાતને કેળવું ?  તેણે આજુબાજુમાં તપાસ કરી મ્યુઝીક ક્લાસીસ શોધી કાઢ્યા અને ભરતી કરી.  તેની ધગશ જોઈ મ્યુઝીક ટીચરે તેને વીકેન્ડ ના પ્રોગ્રામમાં ભાગ લેવા કહયું.  તેમાં સાધનાએ પણ સાથ આપ્યો.  શ્રવણને વાત કરી, તેણે વાંધો ન લીધો.
 
સાધનાની મદદથી એક લગ્ન પ્રસંગે શ્રુતિને ગાવાનો મોકો મળ્યો .  શ્રુતિએ મન દઈ લગ્નનાં દરેક પ્રસંગને અનુરૂપ ગીતો  ગાયા.   તેનાં ગીતો સૂરમાં અને સુંદર હતા,  સર્વેને આનંદ થયો.  તે પ્રસંગના તેને $1500 ડોલર મળ્યા.  શ્રુતિ ખૂબ રાજી થઇ ગઈ.  તેણે ચાલુ કામ છોડી આ રીતે મળતા ગાવાનાં પ્રોગ્રામમાં વધુ ધ્યાન આપવા લાગી.  વીકેન્ડ ના પ્રોગ્રામથી એને સારી કમાણી થવા લાગી.  લોકો તેની પ્રશંસા કરતા.  તેના ફોટા ન્યુઝપેપરમાં આવવા લાગ્યા  નીલ અને નેહા નાના હતા પણ બન્નેને સંગીત ગમતું.  તેમની મમ્મી સાથે થોડું થોડું ગાતા.  પણ આ બધી હલચલમાં શ્રવણ તદન અતડો થઈ ગયો.  શ્રુતિને બધા માન અને અગત્યતા આપતાં તે તેના સંકુચિત માનસને અનુકુળ ન આવ્યું.  તેનો ઈગો યાને કે
અહમને ભારે ઝટકો લાગ્યો.  અત્યાર સુધી શ્રુતિ એનું કહ્યું કરતી અને ઘરમાં જ રહેતી.  હવે તે બહારની દુનિયા સાથે હળીમળી પોતાનું એક આગવું સ્થાન મેળવી રહી હતી.  શ્રવણને માટે આ અશોચનીય હતું.  તે શ્રુતિથી અળગો થતો ગયો.  ક્યારે પીવાની લત ચાલુ કરી તે શ્રુતિને જાણ ન હતી.  પણ દરરોજ મોડો આવતો થયો.  આવે ત્યારે તેના શરીરમાંથી દારૂની વાસ આવતી.  છોકરાઓ સાથે પણ પ્રેમથી જે પહેલાં સમય વિતાવતો તે હવે ટાળતો.  શ્રુતિ ભાંગી પડી.  તેણે સાધનાને ફોન જોડ્યો।
“સાધના,  મને એ સમજાતુ નથી કે હું થોડું વધારે કમાઈને લાવું કે લોકો મને થોડી વધારે અગત્યતા આપે તો શ્રવણ એ કેમ અપનાવી નથી શકતો?  શું બધા પુરુષોને આ ઈગો યાને કે અહમ નડતો હશે?  ખૂબ પ્રેમ સભર સબંધ પણ પોતાના અહમને પોષવા ન્યોછાવર કરવા તૈયાર થઇ જાય છે.  અમે કેવા એકબીજામાં ઓતપ્રોત જીવતા હતા.  હું કેવી રીતે શ્રવણને સમજાવું કે એક બીજાના પૂરક બની રહેશું તો આ જીવનનું રગશિયું ગાડુ તેના નિશ્ચિત સ્થાને પહોંચશે નહીં તો વચમાં જ ભાંગી પડશે !!  ભગવાને સૃષ્ટિની રચના કરી ત્યારે સ્ત્રી અને પુરુષ બન્નેને સર્જ્યા .  કારણકે એ બન્ને વિના તો નવ સર્જન શક્ય નથી.  તેમાં પ્રેમ, લાગણી, સ્નેહ, ઈર્ષા, અહમ અને વિનાશ આ સઘળા તત્વો મૂક્યા છે અને મને એમ લાગે છે કે અહમનો સારો ભાગ પુરુષોમાં જ જવા દીધો છે.  તું મારી સાથે સહમત થાય છે સાધના?  તું કેમ કાંઈ બોલતી નથી?”
 
સાધનાએ હા પાડી પણ બીજુ કશુ બોલી નહી.  શ્રુતિ એ કહ્યું ,”  સાધના,  હું મારો સંસાર વેરવિખેર કરવા તૈયાર નથી.  મેં આ ગાવાનો પ્રોગ્રામ છોડી દેવા નિર્ણય કર્યો છે.  તને ખરાબ લાગશે પણ મારી પાસે બીજો કોઈ માર્ગ નથી.”  સાધના અવાચક બની સાંભળી રહી.  તેને  દુઃખ થયું.  શ્રુતિનું  ગાવાનું બંધ થશે એટલે આવક પણ બંધ થઇ જશે.
 
સાધના વિચારતી રહી.  કેવી રીતે શ્રુતિના જીવનમાં આવી પડેલ મુશ્કેલી અને સમશ્યાને નિપટુ ?  તેને થયું શ્રવણ પહેલા તો આવો નહોતો.  શું સાચે જ શ્રુતિને મળતી પ્રસિદ્ધિ તેને માનસિકતાની કસોટી પર લાવી મૂકી દીધો છે?  કદાચ તેને અંદરથી તેનું મન કોરી ખાતું હશે પણ તેનો ઇગો તેની સમજદારીને પાસે નહી આવવા દેતો હોય!  હું શું કરું ?  તેણે દેશમાં ફોન જોડ્યો અને શ્રવણનાં મમ્મી, પપ્પા સાથે વાત કરી.  તેઓને શ્રવણ અને  શ્રુતિના વર્તમાન પરિસ્થિતિમાં ચાલતા સંઘર્ષનો ખ્યાલ આપ્યો.  એમનું લગ્ન જીવન બચાવી લેવા તેઓ શું કરી શકે એમ છે?  એ પૂછ્યું!”
 
બન્નેનો પ્રતિભાવ ખૂબ હકારાત્મક આવ્યો.  તેઓએ કહ્યું ,” શ્રુતિને કહે, જો શ્રવણ ન માને, ન સુધરે તો બન્ને બાળકોને લઇ એને છોડી દે.  અમે તારી સાથે છીએ ! અમે અમેરિકા આવીએ છીએ.  શ્રુતિને અમારો પૂરેપૂરો સાથ છે.  શ્રવણને કોઈપણ હિસાબે સુધારવો જ રહયો .  એને ઝાટકો લાગશે તો જ એ સુધરશે  અને અમોને ખાત્રી છે કે એકવાર એ લતમાંથી બહાર આવશે તો શ્રુતિ એને સંભાળી લેશે.”
 
સાધના મનોમન વિચારી રહી- આવું જ કંઈક કરીએ.  શ્રવણને “શોક ” ટ્રીટમેન્ટ ની જરૂર છે .  એણે કદી સ્વપ્નમાં પણ નહી વિચાર્યું હોય કે શ્રુતિ એને છોડીને જવાની વાત કરશે.
તરત તેનો અમલ કરવા તેના માં – બાપ અમેરિકા આવી ગયા અને શ્રુતિએ શ્રવણને કહી નાખ્યું ,”  શ્રવણ!  જો તું નહીં સુધરે તો હું આ બન્ને બાળકોને લઇ તારા ઘરમાંથી નીકળી જઈશ .  હવે નિર્ણય તારે લેવાનો છે.”
 
શ્રાવણના માં-બાપે પણ કહ્યું કે અમે શ્રુતિની સાથે જશું .  તારી સાથે નહી રહીએ.  શ્રવણથી આ સહન ન થયું.  એણે જીવનમાં જે મેળવ્યું હતું તે સરી જતી રેતી સમાન સરી જતું લાગ્યું.  એકાએક તે રડી પડ્યો.  માં-બાપની માફી માંગી .  શ્રુતિનો હાથ પકડી તેને અટકાવી અને વચન આપ્યું કે હવે પછી તે દારૂને હાથ નહી લગાવે અને શ્રુતિનાં દરેક કાર્ય અને સફળતામાં એ પૂરો સાથ આપશે !!
 
શ્રુતિ આનંદથી ઝુમી ઊઠી.  વીકેન્ડનો ગાવાનો પ્રોગ્રામ પાછો ગોઠવાય ગયો!!!!!!
જયવંતી પટેલ

આનંદ , આનંદ , પરમાનંદ -જયવંતી પટેલ

આનંદ , આનંદ , પરમાનંદ

જીવનનો ધ્યેય સદા આનંદમાં રહેવાનો હોવો જોઈએ.  આનંદ તમારું સઘળું અસ્તિત્વ બદલી નાખે છે.  શરીરનાં દરેક અંગ સ્ફૂર્તિમય અને પ્રેરણામય બને છે.  આનંદી માણસ સર્વેને પ્રિય હોય છે.

આનંદના અનેક પ્રકાર હોય છે.  સાત્વિક આનંદ,  ભૌતિક આનંદ,  નિર્દોષ આનંદ,  સંતોષી આનંદ,  દિવ્ય આનંદ.

દિવ્ય આનંદની અનુભૂતિ ક્યારે થાય ?  જયારે પરમાત્મા સાથે સાચો સબંધ બંધાય,….અનંતની સાથે એકમય થવું.  ન તારું – ન મારુ , સઘળુ આપણું , એકતાનો અનુભવ.  અંતરની દ્વેષ ભાવના, અદેખાઈ, અહમ, સ્વાર્થ વિગેરે જયારે જતું કરીએ ત્યારે મન ચોખ્ખું બની જાય.  બધો ભાર હલકો થઇ જાય.  મન હલકુ થાય એટલે શરીર હલકુ ફૂલ બની જાય અને સ્ફૂર્તિનો સંચાર થાય,  માનસિક તણાવની જગ્યાએ મન પ્રફુલ્લિત રહેવા લાગે.

જેને આત્મજ્ઞાન થાય તેને સંસારમાંથી રસ ઉડી જાય છે.  પરમાત્મા સાથે સાંકળ બંધાય જાય છે.  પછી દુન્યવી કોઈ વસ્તુમાં રસ નથી રહેતો.  આત્મા નિજાનંદ સ્વરૂપમાં આનંદ અનુભવે છે.  આનંદ એ તો અંતરનો પડઘો છે.  જીવ અંદરથી જયારે આનંદનો અનુભવ કરે ત્યારે એમ જરૂર માનવું કે જીવ અને શિવ મળી ગયા છે.  આનંદ અકલ્પનિય સ્થાનથી ઉદ્ભવે છે.  આનંદ બ્રહ્મ છે તે આનંદસભર છે.

બાલ્યકાળ દરમિયાન – માં ના ખોળામાં રમતું બાળક નિર્દોષ આનંદ અનુભવે છે.  માનો પાલવ ઓઢી સ્તનપાન કરતુ બાળકનાં મુખપર અદભુત આનંદ છવાયેલો હોય છે.

યુવાન વયે – હજુ શાળામાં જતાં હોઈએ – માથાપર જરાપણ જવાબદારી ન હોય- ત્યારે મુક્ત આનંદ થતો હોય છે.

સાચા અર્થમાં કોઈને મદદ કરી શકીએ એનો આનંદ કઈ અનોખો હોય છે.  મન સંતુષ્ટ બને છે.  પછી ભલે તે નાની સરખી વાત કેમ ન હોય !!મોટી મોટી દુકાનોમાં ખરીદી કરતી વખતે શોપિંગ ટ્રોલી લેવાની હોય છે.  ખૂબ ઠંડો પવન હોય, વરસાદની ઝડી વરસતી હોય અને ટ્રોલી લેવા જરા દૂર જવું પડતું હોય અને તે વખતે તમારી ટ્રોલી તમે કોઈ ઘરડા માણસને કે કોઈ ચાલી ન શકતા હોય તેમને આપો ત્યારે તેનાં મુખ ઉપરના ભાવો જોઈ કંઈક અનેરો આનંદ થશે .  મનમાં સંતોષનો આનંદ છવાય જશે.

ખૂબ મહેનત કરી હોય અને પછી એ વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે એનો આનંદ કઈ ઓછો નથી હોતો.  પરીક્ષા વખતે આખું વર્ષ મહેનત કરી પરીક્ષામાં પાસ થઈએ ત્યારે સફળ થયા નો આનંદ કઈ ઓર જ હોય છે.

મારી એક સખી મને હંમેશા કહે કે તે જયારે જયારે બીજાને (તેમની જરૂરિયાત પ્રમાણે )  મદદ કરે છે ત્યારે તેને ખૂબ આનંદ થાય છે.  કંઈજ પકડી નહીં રાખવાનું – અર્પણ કરવાનું – જતું કરવાનું – કેવી સુંદર ભાવના !!

મદદ કરવી એનો અર્થ એવો નથી કે આર્થિક રીતે જ મદદ કરવી.  તમે કોઈની વાત શાંતિથી સાંભળશો તો તે પણ પેલા માણસને મદદ કરેલી કહેવાશે.  તેવી જ રીતે દા. ત.  એક બાળકનું શરીર વધી ગયું છે.  તેને ઘટાડવાની સખત જરૂરિયાત છે.  માં બાળકને તેમજ બાકી સર્વેને હંમેશા અન્ન આપતી હોય છે – માટે અન્નપૂર્ણા કહેવાય છે.  પણ બાળકના હિત ખાતર તેને ખાવાની ના પાડે તો તે ઇનકાર નથી કરતી બલકે એ એને આપે છે. એ એનું સ્વાસ્થ્ય આપી રહેલ છે.  માતા નકાર ભણીને પણ અર્પણ કરે છે.  તે અંતરથી આનંદીત છે કે તે બાળકનું ભલું ઈચ્છે છે.   કદાચ બાળકને તે સમયે એ ન પણ સમજાય.

માં નવ મહિના બાળકને પેટમાં ધારણ કરે છે.  પ્રસવ સમયે તેને ખૂબ પીડા સહન કરવી પડે છે.  પણ જેવું એ બાળકનું મુખ નિહાળે કે એ એનું સર્વે દુઃખ ભૂલી જાય છે.  એક અદ્ભૂત આનંદ એનાં થાકેલા શરીરમાં અને આખોમાં નિહાળવા મળે છે.  એ અનુભૂતિ કંઈક અલગ જ હોય છે.

આનંદ આપવો કે લેવો એ તમારા ચરિત્ર ઉપર આધાર રાખે છે.  તમારી મનોવૃત્તિ જડ હશે તો આ બન્ને કાર્ય તમારે માટે મુશ્કેલ બની જશે.   જડ વિચારો અવરોધક પ્રેરણા આપે છે.  તેને પ્રવાહી બનાવો તો એજ વિચારો પરિવર્તનમાં ફેરવાશે અને પ્રગતિ તરફ તમને વાળશે.  પરિવર્તન વિના પ્રગતિ સંભવિત નથી.

આપણા ઋષિ મુનિઓ ખૂબ તપ,  વૃત કરતા.  તેમની મનોસ્થિતિને ઉચ્ચ સ્થાને કેન્દ્રિત કરી તપષ્યાના બળથી મન અને મગજને કાબુ કરતા.  વેદ, ઉપનિષદો તેમને હૈયે રહેતા.  જ્ઞાન ઉત્પન થવાથી ઈન્દ્રીઓ શિથિલ થઈને વિષયો તરફ જવાનું છોડી દે છે.  સ્વસ્થ મન અનેરો આનંદ અનુભવે છે.

સંતોષ લોભને શોષી લ્યે છે.  અને નદીઓ અને ઝરણાંઓના નિર્મળ જળ સમાન બનાવે છે.  જેમ મદ અને મોહથી રહિત સંતોનું હૃદય !!  જ્ઞાની (વિવેકી)  માનવો મમત્વનો ત્યાગ કરે છે.  સમય આવ્યે સુંદર સુકૃત આવી જાય છે અને પુણ્ય પ્રગટે છે.  વિદ્યા પામીને વિદ્વાન નમ્ર થઇ જાય છે અને નમ્રતામાંથી વિવેક પ્રગટે છે.  વિવેક આનંદ અને ઊર્મિને સથવારે જ આવે છે.

જુદા જુદા દેશોમાં અનેક જુદી માન્યતાઓ હોય છે.  દરેક એકજ વસ્તુને જુદી જુદી દ્રષ્ટિથી જુવે છે.  માન્યતાઓ હકારાત્મક હોવી જોઈએ,
અવરોધકારક નહીં.  જો તે અવરોધ ઉભો કરે તો માનવ ગુંગળામણ અનુભવે અને આવા સંજોગોમાં તેમાંથી નાસી છૂટવા પ્રયત્ન કરશે.  માનવ પ્રકૃતિ પરમાત્માએ એવી બનાવી છે કે કપરામાં કપરા સંજોગોમાં તે તેનો રસ્તો બનાવી લ્યે છે અને તેમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરે છે.

જીવનમાં બે અણમોલ ભેટ આપણને મળી છે.  હાસ્ય અને રુદન.  બહુ જ દુઃખ પડે,  સહન ન થાય એવું કંઈક ઘટે,  પોતાનું આપ્તજન ગુમાવીએ,
કે ધન દોલતથી લૂંટાઈ જઈએ – રુદન એ ભારને હલકો કરવામાં મદદ કરે છે.  ઘણાં સંજોગોમાં ડોકટરો પણ દરદીને રડી લેવાની સલાહ આપતા હોય છે.  તેનાથી તેનો હૈયાનો ભાર ઓછો થઈ જાય છે અને જેને ફૂસ્ટ્રેશન કહે છે (તણાવ ) તે બહાર નીકળી જાય છે.

તેથી ઊલટું હાસ્ય !  હાસ્ય એ આનંદ સાથે સંકળાયેલી કળી છે.  તમે હસો ત્યારે તમારા દરેક અવયવો કામ કરતા હોય છે.  માનસિક અને શારીરિક .  જેમ સાબુ ચોળી નાહવાથી શરીરનો મેલ નીકળે છે તેમ હસવાથી માનસિક મેલ નીકળી જાય છે.  માણસો જીમમાં કસરત કરવા જાય છે
પણ હસવાથી તમને દરેક જાતની કસરત મળી જતી હોય છે.  લોહીનું ભ્રમણ સારી રીતે થાય છે,  બ્લડ પ્રેસર ઓછુ થાય છે,  સ્ટ્રેસ (તણાવ ) ઓછુ થાય છે,  ઇમ્યુન સિસ્ટમમાં સુધારો થાય છે.  હસવાથી એન્ડોમાર્ફિન્સ નામનો કેમિકલ પેદા થાય છે જે ગંભીર બિમારીઓ સામે લડવામાં ખૂબ મદદ કરે છે.  એન્ડોમર્ફીન્સ તમારું આત્મબળ વધારે છે.  હસવાથી આપણે ખૂબ ઊંડા શ્વાસોશ્વાશ લઈએ છીએ જેને કારણે ફેફસામાં સ્થૂળ થઈ ગયેલી હવાનો નિકાસ થાય છે અને વધારે માત્રામાં પ્રાણવાયુ મળે છે.  હસવાથી નસો ખૂલી જાય છે અને લોહીનું ભ્રમણ વધે છે જેને કારણે હૃદયનો હુમલો યાને કે હાર્ટ એટેક અને સ્ટ્રોક માં ખૂબ ઘટાડો થાય છે.  હસવાનું એ ચેપી છે.  એક જણ હસતું હોય તો કારણ જાણ્યા વિના તમને પણ હસવાનું ગમશે.  તમારો મૂડ બદલાય જશે.

માટે હાસ્યનું સેવન કરો,  મુક્તપણે હસવાથી સ્વાસ્થ્યમય જીવન જીવી શકાય છે.  હાસ્ય એ જીવન જીવવાની જડી બુટ્ટી છે.  જીવનયુદ્ધમાં લડવા માટેનું વિજય મેળવવા માટેનું અમોધ શાસ્ત્ર છે.  હાસ્યવૃત્તિ ઈશ્વરે મનુષ્યને આપેલું અવલોકિક વરદાન છે.

આનંદી સ્વભાવ સર્વેને ગમે છે.  હસતું મુખારવિંદ તમને ઘણાં મિત્રો બનાવવામાં મદદરૂપ થશે.  તમને કોઈની સાથે ન બનતું હોય તો હસીને વાત કરશો તો એ તંગદિલી નાશ પામશે અને તમે મિત્રો બની જશો.  તમારા સબંધો સુધારવામાં તમને મદદ કરશે અને તમને આનંદ થશે એ નફામાં !!!

જયવંતિ પટેલ 

અગ્નિ પુરાણ-જયવંતીબેન પટેલ

મિત્રો

આપણા બ્લોગના નવા પરિવર્તને લેખકોને લખવા પ્રેરણા આપે છે.આજે કલ્પનાબેનની શબ્દ યાત્રા -શબ્દના  સથવારે જયવંતીબેનને પ્રરણા આપી છે. એના માટે કલ્પનાબેનને અભિનંદન જયવંતીબેને આજે  અગ્નિ શબ્દની અનેક પરિભાષા આપી આજે અગ્નિ ના વલણો સમજવાનો પ્રયત્ન કરીએ  તો જયવંતીબેનના આ પ્રયત્નને આવકારશો . સવાલ અહી વાંચન સાથે સર્જન કર્યાનો છે. ‘બેઠક’ એટલે ભાષાને ગતિમય રાખવાનો એક નમ્ર પ્રયત્ન પ્રયત્ન. ..એક  પણ લેખક લખે તો પૂર્ણ  થયાનો અહેસાસ આજે થાય છે અને મારા બ્લોગ બનાવ્યાની સાર્થકતા અનુભવું છું. માટે મિત્રો આપણા બ્લોગના કોઈ પણ લેખક કે લેખ તમને પ્રેરણા આપે તો જરૂરથી લખી મોકલશો.જેટલું વેચશું એટલું પામશું.હા ૧૫૦ બ્લોગ કદાચ આ લેખ ન વાંચેતો પણ તમારા મનને આનંદ પમાડે તે લખજો.હા બ્લોગ પ્રસિદ્ધી માટે નહિ સ્વના વિકાસ અર્થે છે.

અગ્નિ

હું અગ્નિની સાક્ષીએ ….વચન આપું છું….કે …

પ્રભુતામાં પગલા માંડતા લેવાયેલ વચન ,લગ્ન જીવનનાં પવિત્ર મંત્રોચ્ચાર,  વિધિ વિધાન બધું જ અગ્નિ ની સાક્ષીએ…

અગ્નિ એક સામન્ય અને જાણીતો શબ્દ,પણ અનેક પ્રયોગ અને અર્થ આપણા જીવન સાથે સંકળાયેલા છે.

હા આમ જોવા જઈએ તો અગ્નિ એટલે સળગતો સળગાવતો પદાર્થ, દેવતા, દેતવા, આગ. દક્ષિણ અને પૂર્વ વચ્ચેનો ખૂણો.એક શબ્દાર્થ -અગ્નિ એટલે પ્રકાશ અને ઉષ્ણતાનો કે અગ્નિખૂણાનો અધિષ્ઠાતા દેવ.પરંતુ એથી પણ વિશેષ પાંચ મહાભૂતોમાંનું એક તેજસ્તત્ત્વ.

તેજસ્તત્ત્વનો અધિષ્ઠાતા દેવ એટલે અગ્નિ 

પુરાણ કાળમાં યજ્ઞ ખૂબ જ પ્રચલિત હતા.  સાધુ સંતો પૂરી શ્રધ્ધાપૂર્વક યજ્ઞ કરતા.  આજે પહેલાં જેટલાં યજ્ઞ નથી થતાં પણ તેનું મહત્વ તો હજુ જળવાય રહયું છે.  અગ્નિની સાક્ષીએ લેવાયેલા વચનો પવિત્ર તેમજ સુરક્ષિત રહે છે.  અગ્નિનું મહત્વ ખાલી હિંદુઓ માટે જ એવું નથી.   દુનિયાની વિભિન્ન જાતિઓ અગ્નિને ખૂબ જ માન આપે છે.  જેમને પોતાની સંસ્કૃતિ છે તેઓ અગ્નિનું મહત્વ જાણે  છે.
અગ્નિ એક દેવતા છે.  શુભ કાર્યમાં અગ્નિને આહવાન કરી આમંત્રિત કરાય છે.  દ્રૌપદી અગ્નિમાંથી જન્મેલી સંપૂર્ણપણે વિકસિત નારી હતી.  એ અગ્નિમાંથી પ્રગટી હોવાથી એનાં પ્રશ્નો પણ અગ્નિની જેમ દઝાડતા હતા.  એની બુધ્ધિ અગ્નિ જેવી દાહક, શસ્ત્રની ધાર જેવી ઘાતક અને તેજથી સામેની વ્યક્તિને આંજી નાખતી બુધ્ધિ હતી.  એ સતત પ્રજ્વલ્લિત રહેતી હતી.  પણ એ અગ્નિ જેટલી જ પાવક હતી.

પ્રકાશ અને ઉષ્ણતા,હૂફ એટલે અગ્નિ 

આપણે દીવડા પ્રગટાવીએ છીએ,  એ અગ્નિનો એક પ્રકાર છે.  દીવાની જ્યોત નજીકથી દઝાડે છે.  પણ એજ જ્યોત અંધકારનો નાશ કરી સમગ્ર વિશ્વમાં પ્રકાશ પાથરે છે.  દિપાવલીનું શુભ પર્વ હજારો દીવડા પ્રગટાવી મનાવાય છે.  અજ્ઞાનનો નાશ કરી જ્ઞાન નો પ્રકાશ પાથરો એ સંદેશ વહેતો મૂકે છે.  શ્રી રામ ચૌદ વર્ષ વનવાસ ખેડી પાછા અયોધ્યા માં પ્રવેશે ત્યારે આખી અયોધ્યા દીવડાઓથી સજી,  જ્ઞાન અને પ્રેમનો સંદેશ પ્રજાએ જાળવી રાખ્યો.  આજે પણ લોકો એ જ ભાવનાથી દીવા પ્રગટાવે છે.

જંગલમાં રહેતો માનવી, કડકડતી ઠંડીમાં તાપણું કરી, તે અગ્નિની હૂંફથી જીવે છે. ગરીબો માટે તાપણું આવશ્યક જીવન ઊપયોગી પ્રક્રિયા છે. એવી જ હૂફ બાળક જન્મે ત્યારે માના પેટમાં બાળક અનુભવે છે.માના શરીરમાં પ્રજવલતો અગ્નિ બાળકને જીવન પ્રદાન કરે છે…

તો હોળી વખતે પ્રગટાવેલી હોળી જનજીવનને માટે જીવવાનું પરિબળ બને છે.  હોળીના અગ્નિમાં વેરઝેર, કાપ – ક્લેશ, માન -અપમાન હોમી નવજીવનનનો પ્રારંભ કરો એવું શીખવે છે.  નવરાત્રિના નવ દિવસ પછી દશેરાને દિવસે દશાનનનું પૂતળું બનાવી સળગાવી દેવામાં આવે છે.  અને એવો સંદેશ આપે છે કે દશ ઇન્દ્રિઓને કાબૂમાં રાખો.  જો બેકાબુ બની જશે તો તમારો જ સર્વનાશ નોતરશે.

ભારેલો અગ્નિ …અગ્નિદેવ રૂઠે ત્યારે…

વર્ષો પહેલા લાકડાં અને કોલસા બાળી અગ્નિ પ્રગટાવતા.  આજે ગેસ અને વીજળીનો  ઊપયોગ વધુ ઊપલબ્ધ છે.  કે જે આપણે દરરોજની રસોઈ માટે વાપરીએ છીએ.  છતાં પણ અણસમજ, સ્વાર્થી લોકો જંગલમાંથી ઝાડો કાપી ,  લાકડાનો ઊપયોગ અનેક રીતે કરે છે.અને પર્યાવરણને મદદ નથી કરતા.
વૃક્ષો ને સાચવવા એ પર્યાવરણને  માટે ખૂબ જરૂરી છે.  વૃક્ષો રોપવા અને બાળકો પાસે પણ રોપાવવા એ આપણી સર્વેની ફરજ બની જાય છે.  દિલ્હીમાં ધુમ્મસ વાળી હવા પર્યાવરણનાં પ્રદુષિત થવાથી જ થાય છે.  ખેતરોને સળગાવવાથી જે ધૂમાડો થાય છે તે પ્રદુષણમાં વધારો કરે છે.

હમણાં જ, ગયા ઓક્ટોબર મહિનામાં ઉત્તર કેલિફોર્નિયામાં નાપા અને સોનોમા કાઉન્ટીમાં ભયંકર આગ લાગી હતી.  હજારો એકર જમીનમાં જે ઘરો, શોપિંગ મોલ્સ, હોસ્પિટલો, નિશાળો , પ્રાર્થના ઘરો વિગેરે હતાં તે ભારે અગ્નિથી બળીને ભસ્મ થઇ ગયા.  કેટલાયે લોકોનાં જાન ગયા.  ખૂબ સગવડવાળો દેશ છતાં આગને બુઝાવી ન શક્યા.  અગ્નિદેવ રૂઠે ત્યારે કોઇનું ચાલતું નથી.  તેમાં વાયુદેવે પણ અગ્નિદેવને પૂરો સાથ આપ્યો હતો.  દ્રાક્ષ, મોસંબી , સફરજન , બદામ , અખરોટ વિગેરે કિંમતી પાકને પૂષ્કળ નૂકશાન પહોંચ્યું હતું.
અગ્નિ લાંબા સમય માટે ધરતીનાં પેટાળમાં ઢબરાયેલો રહે છે.  જયારે પૃથ્વી એટલે કે પ્રકૃતિ એ ભાર સહન ન કરી શકે ત્યારે જ્વાળામુખીનાં સ્વરૂપમાં બહાર આવે છે.  હમણાં જ બાલીના અગંગ પર્વત ઉપર જ્વાળામુખી ફાટ્યો હતો અને ભારેલો અગ્નિ  – લાવા રસ થઇ બહાર ફેંકાયો જે મોટા ભાગનો સમુદ્રમાં પડ્યો હતો.  આ લાવા રસ એટલો ઊષ્ણ અને પ્રજ્વલ્લિત હોય છે કે એનાં માર્ગમાં આવતી દરેક વસ્તુ બળીને ભસ્મ થઇ જાય છે.

પાચક્તત્વ -પ્રાણીમાત્રના જઠરનો અગ્નિ.જઠરાગ્નિ;

શ્રીકૃષ્ણ કહે છે કે હું જઠરાગ્નિ થઈ મનુષ્યના દેહની અંદરનાં ચતુર્વિધ અન્ન પચાવું છું.આપણું શરીર પણ એક ટચૂકડા બ્રહ્માંડ જેવું છે.ખાધેલું પચાવતી પેટની ગરમી કે અગ્નિ ની જરૂર છે. શરીર ચલાવવા માટે ખાધેલી ચીજોને પચાવવા માટે જઠરમાં યોગ્ય માત્રામાં અગ્નિ, ગરમી કે પાચકરસ પેદા થયેલો હોવો જરૂરી છે.જઠર બૉડીનો સ્ટવ છે એમ કહી શકાય. શરીર ચલાવવા માટે ખાધેલી ચીજોને પચાવવા માટે જઠરમાં યોગ્ય માત્રામાં અગ્નિ, ગરમી કે પાચકરસ પેદા થયેલો હોવો જરૂરી છે. . મૉડર્ન મેડિસિન એને ફાઇવ એલિમેન્ટ્સ કહે છે. હંમેશાં પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આાકાશ એ પંચમહાભૂતો સંતુલનમાં રહે એ જરૂરી છે.

સત્ય ની અગ્નિ પરીક્ષા.

સ્ત્રીની કસોટી દરેક યુગમાં થઇ છે.  ચાહે એ ત્રેતા યુગ હોય, સતયુગ હોય કે પછી કળિયુગ હોય.  શ્રી રામ આદર્શ પુરુષ જરૂર હતા, પણ એમના અમુક આદર્શો ઘણા લોકો માટે બોજારૂપ બની ગયા … એમણે કરેલી સીતાજીની અવગણના આજે પણ ભારતીય નારીઓ ને સતત દુઃખ આપે છે.સીતાજીને પણ પ્રજાજન માટે અગ્નિ પરીક્ષા આપવી પડી હતી.  અને કંચનની ભાતિ તેમાંથી બહાર આવ્યાં હતા.  અગ્નિએ કેટકેટલાંની પરિક્ષા લીધી છે અને હજુ લેતો રહેશે . અગ્નિની અવગણના  ન કરતાં તેને પવિત્ર સમજી તેની સાવધાની પૂર્વક આદર આપતા શીખો તો અગ્નિ દેવ તમારો સહાયક રહેશે.

ઈચ્છા એટલે ભારેલો અગ્નિ ..

તો આધ્યાત્મ શું કહે છે   – મનુષ્ય ની વ્યાખ્યા આપતા કહ્યું છે કે “ઉષ્યતિ મનઃ યસ્ય સઃ” (ઉષ=બળવું) અર્થાત જેનું મન વાસનાની અર્થાત ઈચ્છાની આગમાં બળે તે છે મનુષ્ય. આ ઈચ્છા એટલે અંતઃકરણમાં ભારેલો અગ્નિ છે.આ વાત સમજવા અહીં અંતઃકારણનો સાચો અર્થ સમજવાની જરુર છે. સ્થૂળ દેહ એટલે શરીર, અને સુક્ષ્મ દેહ એટલે અતઃકરણ અને   દેહ અર્થાત જીવાત્મા. જ્યારે મનુષ્ય મૃત્યુ પામે છે ત્યારે અગ્નિ દાહ આપતા સ્થુળ દેહનો નાશ થાય છે.આધ્યાત્મ શું કહે છે ?..સરળ ભાષામાં ચિત્ત સંપૂર્ણ રીતે વૃત્તિ વિહીન ન થાય ત્યાં સુધી મન મરતું નથી.

કોઈએ કહ્યું છે ..

બૂઝ્યો અગ્નિ શમી ચીતા કરી આ દેહને ભુક્ત

બળ્યોના અગ્નિ વાસના કેરો થયો ના આત્મા મુક્ત

જો અગ્નિ વાસના કેરો ન પૂરો બળી જાય

તો બળેલ એ રાખમાંથી પણ દેહ નવો ઊભો થાય.

 જયવંતીબેન પટેલ

હજી મને યાદ છે-૪ -ઋણ – જયવંતી પટેલ

સાન હોઝે એરપોર્ટની બહારે નીકળી હું મારાં દીકરાની રાહ જોતી ,  બેગેજ કલેઇમની સાઇન પાસે ઊભી રહી હતી.  ત્યાં એક બુઝર્ગ કાકા, તેમની બેગ લઈને ધીમે ધીમે આવ્યા અને મારી નજીક ઊભા રહ્યા.   તેમણે માથે ગરમ ટોપી,  ગળામાં ગલેપટો અને હાથમાં મોજા પહેર્યા હતા.  મેં જોયું કે તેમનાથી ફોન બરાબર ન્હોતો થતો.  એમણે આવીને મને પુછ્યું ,”  બેન, મને જરા મદદ કરશો ? ”  મારાથી ફોન નથી થતો.  મેં હા કહી તેમનો ફોન જોડ્યો.  મેં નામ પુછ્યું  ને એમણે કહ્યું,”  નાથુભાઈ વિઠ્ઠલ. ”  મને નામ કંઈક જાણીતું લાગ્યું.  થોડી વાર એમની સામું જોતી રહી.  થયું,  આમને મેં ક્યાંક જોયા છે.  પણ જલદી યાદ ન આવ્યું.  મેં તેમનાં દીકરા ઠાકોર સાથે વાત કરી.  તેમનાં દીકરાએ કહ્યું, ” બેન , બે મોટાં અકસ્માત હાઇવે 880 ઊપર થયા છે  કોઈ હિસાબે હું વખતસર ત્યાં નહીં આવી શકુ.  તેમને પાછા એરપોર્ટ માં બેસાડો.  મેં પેલા કાકા સામે જોયું તો ખૂબ થાકેલા હતા અને નિરાશ થઈ ગયા હતા.  મને થયું મારું ઘર નજીક છે  – એમને મારાં ઘરે લઈ જાઉં અને આ ઠંડીમાંથી બચાવું ,  કંઈક ગરમ પીવાનું અને ખાવાનું આપું તો એ મને આશીર્વાદ આપશે!  એટલે તરત તેમના દીકરાને કહ્યું ,”  આ મારુ એડ્રેસ અને ટેલિફોન નંબર છે,  અમે તમારા પિતાજીને અમારે ઘરે લઈ જઈએ છીએ.  તમે અમારે ત્યાં એમને લેવા આવજો.”

ઘરે ગયા પછી અમો તેમની સાથે વાત કરતાં ગયા એમાં  માલુમ પડ્યું કે એ આફ્રિકામાં, દારેસલામમાં હતા.  એટલે તરત આગળ વાત કરી.  તો વર્ષો પહેલાં જે કાકાએ અમોને (મને અને મારી બહેનને )  ભારે વરસાદ અને વાવાઝોડામાં રાઈડ આપી હતી તે જ એ કાકા હતા.  શું હિંમતથી અમોને સહીસલામત ઘરે પહોંચાડ્યા હતા.  આજે સાવ ઢીલા થઈ ગયા હતા.

લગભગ પચાસ  વર્ષ પહેલાંની આ વાત છે……..તે દિવસે પટેલ ગ્રાઉંડ પર જમવાનું હતું.  ઊમંગે ઊમંગે સારા સારા કપડાં પહેરી ત્યાં પહોંચી ગયા.   બા -બાપુજી રસોડામાં ખૂબ બીઝી હતા.  અમે બાળકો સહુ એકઠાં થઇ કંઈ રમત શોધી આનંદથી સમય પસાર કરી રહ્યા હતા.  આ વાત છે આફ્રિકાની  –  1946 ની સાલની.  ભારતને હજુ આઝાદી મળી ન્હોતી.  પણ ગાંધી બાપુની અંગ્રેજો સાથેની લડાઈમાં દૂર દૂર દેશોનાં ભારતીયો પણ મનોમન સાથ પૂરાવતા .  વહેલી સવારે પ્રભાતફેરી નીકળતી.  એમાં અમારાંથી થોડાં મોટા  છોકરાંઓ ભાગ લેતા.  ગોઠવ્યા મુજબ સરઘસ કાઢતાં.  તેમાં બધાથી જવાતું.  અને એને લગતાં કાર્યક્રમો ગોઠવાતા.  એનાજ અનુસંધાનમાં અમારે સૌ એ જવાનું હતું.  પટેલ ગ્રાઉન્ડ પર જવાનું જરાં દૂર હતું છતાં  બાળકો હસતાં, વાતો કરતાં

રસ્તાની દૂરીનો ખ્યાલ આવે તે પહેલાં પહોંચી જતા.  જમવાનો હોલ ખૂબ મોટો હતો એટલે લાઈનસર બધાને બેસાડી દીધા અને અમે જમી લીધું.  એ પછી બીજી ઓક્ટોબર, ગાંધી જયંતીની તૈયારી કરવાની હતી.  બહાર તે દરમિયાન ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો અને વીજળીઓ થતી હતી.  ગગનમાં તાંડવ નૃત્ય થતું હોય એવું લાગતું હતુ.  ગાજવીજ સાથે મુશળધાર પડતો હતો.  પવન જોરથી ફૂંકાતો હતો.  ઘરે જવાનું કેમ શક્ય બનશે એ વિચારમાં બા – બાપુજી પણ મુંઝવણ અનુભવતા હતા.

ત્યાં તો એક કાકા (સગા નહીં પણ ઓળખાણવાળા ) નાથુભાઈએ એમની ગાડીમાં લઇ જવાની ઓફર આપી.  એમની ગાડી જૂની હતી.  અમને આઠેક છોકરાંઓને ઉપરાછાપરી બેસાડ્યા.  ખૂબ સંકડાઈને બેઠા.    ગાડી ધીમે ધીમે ચાલતી હતી.  સાઈડ પરથી વાછટો ખૂબ આવતી હતી.  છતાં ખૂશી હતી કે ગાડીમાં જવા મળ્યું છે.  ચાલવું નથી પડતું.  લગભગ ત્રણેક માઈલ ગયા હશું ને એન્જીન બંધ થઈ ગયું.

આટલા વરસાદમાં સમારકામ પણ કેવી રીતે થાય ?  થોડી વાર ઊભા રહ્યાં.  સાંજના પાંચ વાગી ગયા હતા.  વર્ષા ઋતુને કારણે સંધ્યાએ પણ આવવાની ઊતાવળ કરી.  હવે શું કરવું તે પ્રશ્ન સૌ ને મુંઝવતો હતો.

કાકાએ નક્કી કર્યું કે કોઈ મદદ મળે એવું લાગતું નથી.  જેથી બધાએ ચાલીને જ પોતપોતાના ઘરે પહોંચવું પડશે.  જેનું ઘર આવતું જાય એમ છૂટા પડતાં જશું.  બધાએ એકબીજાનાં હાથ પકડી લીધા.  મેં આવું કદી અનુભવ્યું ન્હોતું.  ભારે વર્ષાને કારણે રસ્તાઓ ખૂબ ખાડા ખબચાં વાળા હતા.  કારમાંથી બહાર નીકળતાં જ અમો પલળી ગયા હતા.  ઠંડી પણ લાગતી હતી.  અંધારું થઇ જવાથી જોવામાં પણ મુશ્કેલી પડતી હતી.  છતાં હિંમત રાખી બધા ચાલતાં હતા.  હજુ ત્રણેક માઈલ રસ્તો કાપવાનો હતો.  કોઈકે તો રડવા માંડ્યું.  પેલા કાકાએ ખૂબ સરસ રીતે બાજી સંભાળી લીધી.  એક છોકરાને કેપ્ટ્ન બનાવ્યો અને તેને કહ્યું કે હિંમતથી આગળ ચાલ – અને બોલ : ” હૈ ઇન્દ્રદેવ,  રક્ષા કરો રક્ષા કરો,  હમ બાલકોકી રક્ષા કરો.”

તે સમયે ટેલિફોન હતા પણ જૂજ.  સેલફોનનો જમાનો નહતો .  સહીસલામત ઘરે પહોચશું કે કેમ એ પ્રશ્ન હતો.  પણ એ કાકાની સમય સૂચકતા અને હિંમતે અમને સૌને સહીસલામત ઘરે પહોંચાડ્યા.  એક બીજાનાં હાથ પકડી રાખી ચાલતાં શીખવાડ્યું.  વધારામાં દરેકે થોડું ગાવાનું.  કોઈ કાર પસાર થાય તો મદદ માટે બૂમો પાડવાની.  મેં કવિતા બોલવા માંડી .  “આવરે વરસાદ, ઢેબરિયો પરસાદ,  ઊની ઊની રોટલી ને કારેલાનું શાક.”  પણ પછી થયું આ બરાબર નથી.  મારે તો વરસાદને આવવાની ના પાડવાની છે એટલે ફેરવીને ગાયું ,”  વીજળી ચમકે ને મેહૂલીયો ગાજે ,  સાથે મારુ હૈયું ધડકે

 ઘડીક ઊભો રેને મેહુલિયા,

જોને મારી ઓઢણી ભીંજાઈ,

મને ટાઢ ચઢી જાય

થંભી જાને મેહુલિયા, થંભે તો તું મારો દોસ્ત બની જાય ”

ત્યાં તો એક બીજા છોકરાએ ગાવાનું શરૂ કર્યું.  એમ કરતાં કરતાં ગામની સાવ નજીક આવી પહોંચ્યા.  થોડી લાઈટ દેખાવા માંડી ને ઘરો પણ દેખાયા .  એક છોકરાનું ઘર સાવ નજીકમાં હતું.  તેનાં માં-બાપે ટોવેલ આપ્યા અને ગરમ પીણું પીવડાવ્યું .  ત્યાંથી નીકળી બાકીના છોકરાં છોકરીઓને એક એક કરતાં તેઓનાં ઘરે પહોંચાડ્યા .  મારાં માં-બાપ અમને બંને બહેનોને જોઈ બાઝી પડ્યા અને પેલા કાકાનો ખૂબ ઊપકાર માન્યો.  જમવાનું કહ્યું પણ તે ભાઈ રોકાયા નહી .  એક કપ ગરમ ચાય માંગી અને તે પીઈને તેમણે પ્રયાણ કર્યું.

આ વાતને વર્ષો વિતિ ગયા પણ જયારે જયારે મેહુલિયો ગાજે ને વીજળી ચમકે , ને વર્ષા નું આગમન થાય ત્યારે મને એ અંઘારી રાત, મુશળધાર વરસાદ અને પેલા કાકાની ઓથ જરાયે ભુલાતી નથી.  ખૂબ દયાળુ અને હિંમતવાળા કાકા હતા.  આટલા બાળકોને સંભાળીને આવી પરિસ્થિતિમાંથી બહાર કાઢવા ને સહીસલામત તેમને ઘરે પહોંચાડવા એ મહાન કાર્ય હતું અને તેઓએ એ જવાબદારી પૂર્વક પાર પાડ્યું.  દરેકનાં માં-બાપ તેમનાં ઋણી રહયા .  માનવ કેટલો સમૃધ્ધ છે તે તેની દર્શાવેલી માનવતા પરથી કળી શકાય છે.”……

ચાર-પાંચ કલાકે તેમનાં દીકરાએ બેલ મારી.  ત્યાં સુધીમાં કાકાએ જમી કરી એક સારી ઊંઘ ખેંચી લીધી હતી.  મને કહે ,” બેટા,  તેં તો મને ઋણી બનાવી દીધો.  ત્યારે મેં એમને કહ્યું ,”  ના,  કાકા,  મેં તો તમારું ઋણ ઊતારવા પ્રયત્ન કર્યો છે.  કોઈ કોઈ નું ઋણી નથી .  સમય સમયનું કામ કરે છે.  વર્ષો પહેલાં તમે અમોને ભારે વરસાદમાં સહીસલામત ઘરે પહોંચાડ્યા હતા.  એ દિવસ હજુ ભુલાતો નથી.  ભગવાને મને તમારું ઋણ વાળવાનો અવસર આપ્યો – તમારું નામ સાંભળ્યું ત્યારે જ થયું હતું કે આ નામ જાણીતું છે.  એટલેજ તમને ઘરે લઈ આવી .”   તેઓએ કહ્યું ,”  શું તને હજુ યાદ છે?”  ત્યારે મેં કહ્યું ,” હા ,  કાકા,  જરાયે ભુલાયું નથી.  એકે એક ક્ષણ યાદ છે.  અમારાં હાથ જોરથી પકડી રાખી અમને એ તાંડવમાંથી બહાર કાઢી લાવ્યા .  એ કેવી રીતે

ભુલાય ?   મને ખૂબ આનંદ છે કે હું તમારે માટે કશુંક કરી શકી .  કુદરતની ગતિ કોઈ કળી નથી શકતું !

જયવંતી પટેલ 

તરુલતા વાર્તા સ્પર્ધા-(14) સમયની સાંકળ- જયવંતીબેન પટેલ

તરૂલતા વાર્તા સ્પર્ધા  – આધુનિક ટેક્નોલોજીની પારિવારિક સબંધો પર અસર ( ફોન, આઇપેડ , કોમ્પ્યુટર , અન્ય સૌ ઘરમાં વપરાતાં સાધનો )

સરોજ અને સૂર્યકાન્તે  સ્કાઇપ ચાલુ કર્યું અને તરત તેની ઊપર સૃષ્ટિ દેખાણી.  હસતાં હસતાં  કહે , ” મોમ,  હવે રડ નહીં.  એમ માન કે એક ઘાત જાણે જતી રહી.  ત્યાં તો દાદા – દાદી પણ નીચે આવ્યા અને સ્કાઇપ પર સૃષ્ટિ સાથે વાત કરવા લાગ્યા,”  બેટા , તું સહીસલામત છે એ જાણીને જીવ હેઠો બેઠો.  આ તને  જોઈ એટલે શાંતિ થઇ.   ” દાદીમા,  મને તમારે માટે ગર્વ છે.  તમને મેં વોટ્સ એપ વાપરતાં શીખવાડ્યું તે તમે બહુ જલદી શીખી લીધું.  તેથી જ મારા મોકલાવેલા બધાજ મેસેજ તમે જોઈને બધાને કહ્યા.  વેલ ડન દાદીમા..”

સરોજ અને સૂર્યકાન્ત ઉનાળામાં હેલ્થ કેમ્પ શરુ થાય ત્યારે ખૂબ બીઝી થઇ જતાં.  સૃષ્ટિ નાની ન્હોતી તો પણ ઘરે દાદા – દાદી હતાં એટલે એ બંન્નેને એક જાતની નિરાંત રહેતી.  સૃષ્ટિ અઢાર વર્ષની થઇ.  આગળ શું ભણવું એ નક્કી ન્હોતી કરી શકતી.  છતાં વિષયો બધા સાયન્સના જ લીધા.   છેવટે એણે  નક્કી કર્યું કે એ એરોનૉટિક ઇંજિનિયર બનશે.  પાંચ વર્ષ ડીગ્રી લેવામાં થઇ ગયા.  નાસામાં  (નેશનલ એરોનોટિક્સ સ્પેસ એડમિનિસ્ટ્રેશન )  અરજી કરેલી અને ત્યાંથી જવાબ હામાં  આવ્યો .  ટ્રેનિંગ માટે વ્યુહસ્ટન સ્પેસ પ્રોગ્રામમાં જવાનું હતુ.

 

નાની હતી ત્યારથી સૃષ્ટિ દાદા – દાદીના સહેવાસમાં ઊછરી.  એટલે બન્નેની ખૂબ માયા હતી.  દાદીમાને તો મોબાઈલ ફોન ગમે તેમ કરીને વાપરતા પણ
શીખવી દીધુ હતું.  અને હવે દરરોજ વોટ્સ એપ ઉપર કેમ ટેક્સ કરવો એ શીખવાડતી હતી.  ધીરે ધીરે દાદીમાને આવડી ગયું.  કોલેજથી મોડી થવાની હોય તો દાદીમાને વોટ્સએપથી જણાવી દયે.  સરોજબેનને ચિંતા ન રહેતી.  છતાં કોઇ કોઇ વખત ગુસ્સે થઇ જતાં.  સૃષ્ટિ કોલજથી આવે પછી એનાં મિત્ર મંડળના ફોન અને મેસેજ એટલા આવે કે તેને ઊંચું જોવાનો વખત જ ન મળે.  હવે બીજા બે વર્ષ યુહસ્ટન  નાસામાં કાઢવાનાં હતા.  બધું પેકીંગ થઇ ગયું.  સૃષ્ટિ હજુ ફોન પર જ હતી.  કેટલાયે મિત્રોના ફોન આવતા હતા.  દાદીમા એનાં કપડાં ગળી કરતાં હતા.  નીચેથી એની મમ્મી  સરોજબેને બૂમ પાડી સૃષ્ટિને ફોન બંધ કરવાનું કહ્યું અને જમવા આવવાનું ફરમાન કર્યુ.  સાથે થોડો ગુસ્સો કરી બોલી પણ ખરી કે ,”  આ ફોન કોલ્સ અને વોટ્સ એપ ઉપર આખો દિવસ લાગેલી હોય છે.  આપણે માટે સમય ક્યાંથી રહે ?  હું તો કંટાળી ગઈ છું.  કાલે જવાની છે અને અમારી સાથે બેસી  શાંતિથી વાતચીત પણ નથી કરતી.   ત્યાં તો  ભેખડ પરથી મોટી શીલા નીચે પડે એવો અવાજ થયો.   એકદમ ચમકીને બધાએ ઉપર દ્રષ્ટિ કરી.  સૃષ્ટિએ એની બેકપેક નીચે ફેંકી હતી.

સરોજબેન બોલ્યા,” સૃષ્ટિ, તેં આ બેગ નીચે કેમ ફગાવી ?  અંદરની વસ્તુઓને નુકશાન ન પહોંચે?  તને કેમ સમજણ નથી પડતી?”

 

“ડોન્ટ વરી મોમ ”  –  ” તેમાં કંઈજ  તૂટી કે બગડી જાય એવું નથિ.  મારાં ગળી કરેલાં કપડાં જ છે પણ જો ઊપરથી કેવી રીતે આવી ?  તેં જોયું ?  વજન
હતું એટલે જલદી આવી અને કેવો અવાજ પણ થયો!!  પણ આજ બેગ ખાલી કરી નાખું ને પછી ફગાવું તો આટલી જલદી નહીં આવે.”
દાદા, દાદી, સરોજ અને સૂર્યકાન્ત અચંબાથી એકબીજાની સામું જોતાં રહ્યાં.
” આને કહેવાય લો ઓફ ગ્રેવીટી.  ગુરુત્વાઆકર્ષણ :”
“અને જો આ ફુગ્ગાને ઊપરથી મોકલું છું તો પાછું ઊપર જ આવે છે તે કેમ ?  બોલો જોઈએ ?  હવામાનને કારણે.  ફુગ્ગા કરતાં હવામાન ભારે છે એટલે

ફુગ્ગાને ઊપર મોકલી દે   –  છે ને મજા પડે એવી વાત.  મારે આવું ઘણું બધું ભણવું પડશે અને શોધખોળ પણ કરવી પડશે.”  હું હવે નાસા ની યુનિવર્સિટીમાં જવાની છું તો આજથી જ આ બધાં પ્રયોગો શા માટે ન કરું ?”

 

સરોજબેન માથા ઉપર હાથ મૂકી બોલ્યા,”  આ છોકરીને કેવી રીતે સમજાવુ કે સ્પેસમાં જવાનું કઇ સહેલું નથિ.  તેને માટે બે વર્ષની પ્રેક્ટિકલ ટ્રેનિંગ લેવાની રહેશે . ”   ત્યાં તો સુર્યકાંતે શરત મૂકી.  બે વર્ષ પછી લગ્ન કરવાનાં અને પછી આગળ જવાનું ”   સૃષ્ટિ તો આંખો પહોળી કરી જોઈ જ રહી.
” ડેડી , એ કેવી રીતે બને ?”
“હા , સૃષ્ટિ , તું હા પાડે તો જ તને વ્યુહસ્ટન જવા દઈએ નહીં તો આખો પ્રોગ્રામ રદ.”   સૃષ્ટિ વિચારતી હતી કાલે શું થવાનું છે તે કોઈને ખબર નથી તો

બે વર્ષ પછી શું થવાનું છે કોને ખબર ?  હમણાં હા પાડવા દે.  તેણે હા પાડી દીધી.

 

બીજે દિવસે સૃષ્ટિને મૂકવા બધા એરપોર્ટ ગયા.  સૃષ્ટિએ દાદીને કહ્યું ,”  દાદી , તમે વોટ્સ એપ જોતા રહેજો.  હું અવારનવાર તમને સમાચાર મોકલતી રહીશ.”  દાદીએ હા પાડી.  સૃષ્ટિ પ્લેનમાં બેસી ગઈ.  બધાં ઘરે આવ્યા.  બે કલાક પછી દાદીને થયું ચાલ વોટ્સ એપ જોઉં.  હજુ તો સૃષ્ટિ પહોંચી નહીં હોય પણ જોઈ લઉં.  દાદીએ ફોન ખોલ્યો ને જોયું તો પાંચ મીસ કોલ હતા.  સૃષ્ટિએ એક વખત દાદીને કહેલું કે કોઈ મોટી તકલીફમાં હોય તો મીસ કોલ આપે.
આપણે સમજી જવાનું કે ખરેખર ભયંકર પરિસ્થિતિ ઊભી થઇ છે.  દાદીએ નીચે આવી બધાને વાત કરી.  સુર્યકાંતે ટી. વી  ચાલુ કર્યું.  જોયું તો વ્યુહસ્ટન જતી સૃષ્ટિની ફ્લાઇટ હાઇજેક થઇ છે અને બે મુસાફરોને ઇજા પહોચી છે.  એવા સમાચાર હમણાં જ આવવા શરૂ થયા.  સર્વેને ચિંતા ઘેરી વળી.   શું થશે ?

અમારી સૃષ્ટિ તો સહીસલામત હશેને ?  હે ભગવાન, તું દયાળુ છે.  દયા કર.  અમે સૃષ્ટિ વિના કેમ જીવીશું ?  સરોજબેનના આંસુનો પ્રવાહ અટકતો નહોતો.

 

પ્લેનમાં બધાની પાસે ઈન્ટરનેટ સુવિધા ન્હોતી પણ જે કરી શકતા હતા તેઓએ ટવીટર, ફેસબૂક , વોટ્સએપ અને ગુગલ નો ઊપયોગ કરી પ્લેન હાઇજેક થવાનાં સમાચાર ગમે તેમ કરી લીક કર્યા.   યુએસની ગવેર્નમેન્ટ અને નાસા એજન્સી બંન્ને મળીને શોધ્યું કે પ્લેન કોણે હાઇજેક કર્યું છે અને ખરો ઉદેશ શું છે?  ખબર પડી કે એ લોકોની માંગણી હતી કે પ્લેન વ્યુહસ્ટનને બદલે ન્યુયોર્ક લઇ જાય અને ત્યાંથી બધાં મુસાફરોને ખાલી કરી પ્લેનમાં રાહત માટે કપડાં,

પાણી, ખોરાક અને રાયફલો લઇ જાય.  એજન્સીએ તરત હા ભણી અને પ્લેન ન્યુયોર્ક ઉતાર્યું.  મુસાફરોને સાચવીને બહાર કાઢી લીધા,  ઘાયલ થયેલાઓને  તાત્કાલિક સારવાર આપી અને તેમની માંગણી પ્રમાણે દરેક વસ્તુ તૈયાર રાખી આપી દીધી.  પ્લેને સિરિયા તરફ પ્રયાણ કર્યું.

 

જ્યાં સુધી બધાં મુસાફરો સલામત રીતે બહાર ન આવી જાય ત્યાં સુધી આ સમાચાર ગુપ્ત રાખ્યા હતા. ટી. વી. વાળાને પણ કોઈ જાતની જાણકારી નહોતી.

સૃષ્ટિએ દાદીમાને લખી દીધું  ,” આઈ એમ ઓ કે.”   સર્વેના શ્વાસ નીચે બેઠા.  થોડી વારમાં ટી.  વી.  પર પણ સમાચાર આવવા માંડ્યા કે બધા મુસાફરો સુરક્ષિત છે.

 

સૂર્યકાન્ત અને સરોજને ખરેખર ખ્યાલ આવ્યો કે આજનાં આધુનિક ઉપકરણો કેટલા ફાયદાકારક છે.  પ્લેન હાઇજેક થવાનાં સમાચાર બહારે ન પડ્યા હોત તો સરકાર કરાર કરી મુસાફરોને બચાવી ન શક્યા હોત.  તેમની સૃષ્ટિ આજે જીવિત છે એ નાનીસૂની વાત ઓછી છે !!
દાદીમાએ કહ્યું ,”  હું મોબાઇલ ફોન વાપરતા શીખી ગઈ એ આપણે માટે આશીર્વાદરૂપ બની ગયુ નહીં તો આપણને મોડી મોડી ખબર પડત કે ઊપર ગગનમાં શું ચાલી રહ્યું છે !!  ”    નાસાએ ચારેય વિધાર્થીઓ જે ન્યુયોર્કમાં હતા તેમને તાત્કાલિક બોલાવી લીધા  –  દરેક માં-બાપ અને બાકીનાં મુસાફરોના સગા વ્હાલાના જીવ હેઠા બેઠાં.   સરોજની મોબાઈલ ફોન ઊપર ચીટકી રહેવાની ફરિયાદ કાયમ માટે અદ્રષ્ય થઇ ગઈ.  મોબાઈલ ફોન સમયની સાંકળ બની ગયો.

આભાર – અહેસાસ કે ભાર ? (7)જયવંતિ પટેલ

મન એ એક દર્પણ છે.  મનનો અહેસાસ આવશ્યક તેમજ ઉચ્ચ છે.  મનુષ્યને એક બીજા સાથે સીધો અથવા આડકતરો સબંધ રાખવો જરૂરી હોય છે.  અને આ સબંધ તમારાં સંસ્કાર , નીતિ , અને કેળવણી ઉપર ખૂબ આધાર રાખે છે.  કોઈની પણ સાથે દલીલબાજી પર ઊતરી પડવું જરૂરી નથી હોતું , અને છતાં એવા ઘણાં દાખલાઓ બને છે કે જેમાં બિનજરૂરી દલીલબાજી કરવી પડે છે.  અથવા દલીલબાજી પર ઊતરી જવાય છે.  આ સિક્કાની એક બાજુ થઇ.  હવે બીજી સાઈડ જોઈએ.

જીવનમાં અચાનક એવા મિત્રો કે માનવને મળવાનું થાય કે જેમને મળવાથી એમ લાગે કે આપણે તેને વર્ષોથી ઓળખીએ છીએ.  નજરથી નજર મળે, ધીમું સ્મિત મુખ પર લાવી,  આપણો આભાર માને ત્યારે તો એમજ થાય કે આનું નામ શિસ્ત.  શું નમ્રતા છે!  શું વિવેક છે !  આભાર માન્યો તે પણ કેટલા વિવેકથી.

જાણે એ ક્ષણને વાગોળ્યા રાખવાનું મન થાય. બસ, આજ કહેવા માંગુ છું.  કોઈનો આભાર માનીએ તે પણ એટલી નિખાલસતાથી અને વિવેકથી કે સામી  વ્યક્તિને લાગે જ નહીં કે તેમનો આભાર માન્યો અને છતાં કૃતજ્ઞતાની ભાવના છવાયેલી રહે.

આપણી સંસ્કૃતિમાં બોલીને આભાર નથી માનતા.  કૃતજ્ઞતા નજરથી વર્તાય છે, વર્તનથી વર્તાય છે.   એક બીજા સાથે મીઠો સબંધ કેળવી તેને ટકાવી રાખવો એ એક આભાર માનવાની રીત છે.  આમ કરવામાં ઘણી વખત કડવો ઘૂંટડો ગળી જવો પડે છે.  અને વર્ષો વિતિ જાય છે તેને ઓળખવામાં અને સમજવામાં.  સહનશીલતાની કસોટી થાય છે.  એમાં છીછરાપણું બિલકુલ નથી હોતુ,  એને  જ કદાચ સમર્પણ કહેતા હશે.  નાના હતાં ત્યારથી ઘરમાં એક બીજાનું કામ આટોપી લેતા આવ્યા છે.  પણ થેંક્યુ કે સોરી શબ્દ વાપર્યો નથી.  પણ હવે નવા જમાનાને અનુકુળ વારે વારે આભાર વ્યક્ત કરવો પડે છે.  તેમાં કાંઈ ખોટુ નથી પણ એ ભાર કદાપી ન બનવો જોઈએ.

ઘણી વખત વિચાર આવે કે કુદરતનો કેટલો આભાર માનીએ જેણે આપણા શરીરની રચના જે રીતે કરી છે !!  આપણા શરીરની રચનાને જોઈ એ સર્જનહારને દંડવત કરવાનું મન થાય અને ઊપકાર માનતા મન થાકે નહીં.  શું રચના કરી છે!! ખોરાકને ચાવી, વાગોળી, એક રસ થાય એટલે પેટમાં જાય.  ત્યાં પાછું ઘુમે.  એવું ઘુમે કે આંતરડામાં જાય ત્યારે બારીકાઈથી લોહીમાં જતુ રહે અને આપણા શરીરને પોષણ મળે.  આ તો એક વિભાગ. એવા તો કેટલાય વિભાગ બનાવેલ છે  .મળ મુત્રને જુદા માર્ગે નિકાસ કરી શરીર શુધ્ધ રાખે છે.  લોહીને આખા શરીરમાં ભ્રમણ કરાવે છે.  બધી નળીઓ કેવી એક બીજા સાથે સઁકળાયેલી છે.  અને ક્યારેક વાગે કરે તો સંદેશો મગજ સુધી પહોંચાડી તરત તેનો રસ્તો કાઢી સંરક્ષણ માટે તૈયાર રહે છે.  મગજની સાથેનું જોડાણ અને હ્દયમાં રહેલું મન તેનું કનેક્સન કળી ન શકાય તેવું છે.  સુઃખ દુઃખ ની લાગણી, સારા નરસાની ઓળખ, અને એક બીજા માટે ન્યોછાવર થઇ જવાની ભાવના પણ એ મન જ  નક્કી કરે છે…..કેટલીયે શોધ ખોળ થઇ છે.  રોબોટ બનાવાયા છે.  ડ્રોન પ્લેન બન્યા છે.  અને હજુ ઘણી શોધ ચાલુ જ છે.  પણ

જે કુદરતે કળા કરી આપણું શરીર બનાવ્યું છે તેની તોલે તો કોઈ ટેક્નોલોજી, પૈસો કે ભાવના ન આવી શકે !  તો એ સર્જનહારનો કેવી રીતે આભાર માનવો ?  થેક્યું થેક્યું  –  આભાર આભાર નો સતત જાપ કરવો પડે.

અને છતાં એ અનિર્વાય છે કે આપણે એકબીજાની સાથે પ્રેમથી વર્તન કરીએ. આપણે માટે કોઈ કાંઈ કરે તો આપણને તરત થાય કે તેનો આભાર કઈ રીતે માનું ?   માં બાપનું ઋણ કેવી રીતે ચૂકવાય ?  જયારે ઘરડાં થાય ત્યારે તેમની લાગણીપૂર્વક સારસંભાળ રાખી આભાર વ્યક્ત કરાય.  એ પણ સહેલું નથી કારણકે ઘણાં માબાપો દુઃખી હૃદયે સંતાનોથી અલગ રહે છે કે જયારે તેમને સૌથી વધારે બાળકોનાં સાથની જરૂરીયાત હોય છે.

આભારની સાથે સંતોષની લાગણી સંકળાયેલી છે.  એવા કેટલાયે લોકોને મેં જોયા છે જેને બે ટંકનું ખાવાનું નથી મળતું, રહેવાં ઘર નથી હોતું પણ સંતોષથી જીવે છે.  આપણને સારું ઘર, સારો ખોરાક અને પોતાનો પરિવાર મળવા છતાં ઘણી જગ્યાએ અસંતોષની લાગણી નિહાળવા મળે છે.  જેને બદલે ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે જે આપ્યું છે તે પુરતું છે અને મને સંતોષ છે.  હું પ્રફુલ્લિતતાથી જીવું છું.

આભાર વ્યક્ત કરવો એટલે પર્યાવરણને જીવંત રાખવું.  આને અલગ તરીકે આભાર માનેલો કહેવાય.  આપણે સૌ એટલું તો જરૂર કરી શકીયે કે વૃક્ષોને કાપવા નહીં.  દર વર્ષે બાળકો પાસે તેમજ આપણે પોતે પણ વૃક્ષો રોપવા.   બાયોડિગ્રેડેબલ (એટલે કે જે પ્રકૃતિ સાથે મળી જાય એવી) વસ્તુ વાપરવા ઊપર ભાર રાખવો.   જેથી પ્રકૃતિ જીવંત રહે.  કદાચ તમને થશે કે આ જરા હું ફેરફાર કરું તેમાં શું વળવાનું છે પણ દરેકનો થોડો ભાગ એક મોટો હિસ્સો બની જાય છે.  પ્રકૃતિનો આપણે આભાર માનેલો ગણાશે.  જાગૃત મન અનેક સ્વરૂપે આભાર માની શકે છે અને આભારી છે.

જયવંતિ પટેલ

 

મનની મોસમ -લલિત નિબંધ (૨૧) પાનખર

અમેરિકામાં આવ્યા પછી જીવનમાં આવી એક લહેરખી અને પાનખર નો અહેસાસ કરાવ્યો. મારા  સ્વાસ્થ્ય માટે  નિરીક્ષણ થયું ડૉ,બોલ્યા કે મને  સ્ટેજ ચાર ફેફસાનું કેન્સર છે જે ગળામાં અને મગજમાં પણ પ્રસરી ગયું છે. ત્યારે મનમાં ચાલતો સંઘર્ષ, વેદના અને મૃત્યુની સામેનો પડકારે જાણે મનની મોસમ બદલી નાખી,એક અજબ પરિસ્થિતી,ખરવાની અવ્યક્ત વેદના, ત્યારે  દુઃખથી છલોછલ ભરેલું મન ક્યાંક ખાલી થવા બારી શોધે અને દેખાય માત્ર દુર બાંકડે બેઠેલું જીવન …

મારું મન કેટલાયે દાયકા પાછળ જતું રહ્યું.  બરાબર સાત દાયકા.સોળ વર્ષની યુવાન ઉંમર.. ખેતરમાં જવું, આંબાવાડીમાં આંબાને મોર આવ્યો હોય તેની એક અલગ ફોરમ લેવી, બે ત્રણ મહિનામાં નાની નાની કેરીઓ દેખાય.મનની આ યાદગાર મૌસમને  યાદ કરતાં મન ક્યારેય થાકતું નથી.નિશાળેથી આવ્યા એટલે તરત પુસ્તકો ટેબલ પર મૂક્યા, જરાતરા નાસ્તો કર્યો કે બહાર રમવાં દોડી જવું  – બીજા ભાઈબંધો રાહ જોઈ રહ્યા હોય.  એ જીવન કઈ અનેરૂ હતું.  ન કોઈ ચિંતા, ન ફિકર, ન જવાબદારી ! જીવનનો અમુલ્ય એ સમય હતો.  ગામનો કૂવો, સરકારી સ્કુલ, નાનું તળાવ, અને ગામની વચ્ચેથી પસાર થતો ધોરી રસ્તો.ત્યાં આવીને ઉભી રહેતી એસ ટી બસ, .બા બૂમ પાડી બોલાવે નહીં ત્યાં સુધી ઘરમાં ન જવાનું બસ આનંદ એક નિદોષ આનંદ .  સંધ્યાકાળ ધેનુ બધી પોતપોતાના ઘરમાં પ્રવેશ કરી નીરેલું ઘાસ અને પાણી પીતી હોય, બાની બોલાવવાની રાહ જોવાતી હોય. આંખો બંધ હતી અને છતાં આખું જીવન જાણે આંખોમાં….


એ સમયે એક ખુમારી હતી.  જુવાનીનું જોશ હતું.  ન શું થાય ! બધુંજ થશે. ચાલ, હું મદદ કરું।  આખા ગામમાં નામ જાણીતું થઇ ગયું.  સીત્તેર  વર્ષ વિતી ગયા. ગામનું દરેક વ્યક્તિ મને ઓળખતું થઇ ગયું. કોઈનું પણ કામ હોય, હું હાજર રહેતો.  કોઈના દીકરો કે દીકરી પરણે તો જાણે મારી જવાબદારી બની જતી. કોઈને આર્થિક જરૂરિયાત હોય તો તરત હાથ લાંબો કરી આપી દેતો. તેથી જ અમેરીકા આવવા નીકળ્યાં તો આંગણું આખું ભરાઈ ગયું હતું. ગામનાં દેસાઈ, પટેલ, મોચી, ઘાંચી, મુસલમાન,અને કામ કરતાં દુબરાની વસ્તી!  તે દિવસે જાણે આખું ગામ ભેગું થઇ ગયું, સૌને થતું હતું ભાઈ પાછા નહીં આવે તો અમારું કોણ ?..આજે મારું કોણ

અચાનક છાતીમાં દુઃખી આવ્યું.આ ભીંસ કેવી ?  શ્વાસ લેવામાં તકલીફ પડે છે. છતાં પેલાં વિચારો એનો પીછો ન્હોતા છોડતા. બધાએ કેટલું સમજાવ્યું હતું ! સીગરેટ ન પીઓ.  દારૂ ભલેને ફોરીન હોય પણ શરીર તો તમારુંને ?  ક્યાં સુધી સહન કરે ! વિદેશી સીગરેટ અને દારૂ ની બોટલ – દરેક ઇંગ્લેન્ડ અમેરિકાથી આવનાર ભેટમાં આપતા અને એ ખૂબ ગમતું.  પણ આજે એજ વસ્તુએ મને બરબાદ કરી દીધો.  ફેફસામાં કેન્સર થયું, ગળામાં પ્રસરી ગયું.  હવે મગજમાં આવી ગયું. આભ ફાટે તો થીંગડા ક્યાં મરાય ? કીમો થેરાપી કે રેડિએશન, કાંઈ જ કામ નથી કરતું.  હવે માત્ર ગણ્યા ગાંઠ્યા દિવસો રહ્યા છે.મન વિચારોથી ભરપૂર છે.  સ્વસ્થ શરીર હોય તો જ મન સ્વસ્થ રહી શકે.  મેં દારૂ અને સીગરેટ વર્ષો પહેલાં છોડ્યા હોત તો આજે મારી આ પરિસ્થિતિ ન હોત.  મારે મારી પરિવાર  પર બોજ નથી બનવું.  હે પરમાત્મા, મને તું વેળાસર તારી પાસે બોલાવી લેજે. મારુ મન તારા ચરણોમાં આવવા હવે તડપી રહ્યું છે

મૃત્યુ અનિવાર્ય છે મૃત્યુનો મને ડર નથી. મારી પત્ની, પુત્ર, પુત્રવધુ, દીકરી, જમાઈ, પોતા, પોતીઓ – ભરેલો સંસાર છે મારો બાગ મહેકે છે,હું સુખી છું – પણ હવે મારે જવાનો સમય થઇ ગયો છે.  મારુ મન આટલું વિચલિત કેમ છે?  મને કેમ શાંતી નથી ? અમેરિકાનું સુઘડ ઘર કે સારામાં સારી હોસ્પિટલ કોઈ મોસમથી મને જાણે વંચિત રાખતી હતી.

મેં પાછી આંખો મીંચી દીધી. પાછું એજ ગામ, લીલા ખેતરો, કૂવો, તળાવ, મંદિર, ઢોર, બહાર હિંચકા પર બેસી આવતા જતાં લોકોને નિહાળવા, ખબર અંતર પુછવી – કેવી હરિયાળી હતી એ, એની યાદ પણ  શાંતી આપતી હતી  હવે સમજાયું કે મને પોતાપણું  મારું ગામ,આપતું હતું. મનની શાંતીની  લ્હેર ત્યાંથી આવતી હતી. સમગ્ર મોસમ માણવા મન પોતાને ગામ પહોંચી ગયું.  શું ધરતીની સુગંધ છે !! એ ગુલમ્હોરી રાત અને મોઢા ઉપર આછું સ્મિત આવ્યું.  છોકરાંઓને થયું ડેડી દુઃખમાં પણ હસી શકે છે પણ તેઓને ક્યાં ખબર હતી કે એમનું મન તો આંબા વાડીમાં પહોંચી ગયું હતું અને પૂરું માણી રહ્યું હતું.  હું સુખી છું.  હવે મને મૃત્યુનો ડર નથી.  હું મારે ગામ પહોંચી ગયો છું.  મૃત્યુ મને ડરાવી નહીં શકે.  વતનના  ઝુરાપાએ મને વતનમાં, મારાં ગામમાં પહોંચાડી દીધો છે. મારા એ મનની મોસમ ખીલી ઊઠી છે. .

મને હવે અફસોસ કોઈ વાતનો નથી.  મેં જીંદગી ખૂબ માણી, વસંત જોઈ છે. એટલું જ નહિ ઘર ગુથ્થીમાં માં -બાપ પાસેથી શીખેલું કે દરેક વસંત એકલા નહિ  વહેંચીને માણજે, આજ દિન સુધી એ સૂત્રને નજર સમક્ષ રાખી જીવન જીવતો આવ્યો છું. બની એટલી જન સેવા કરી આપતો આવ્યો છું. મનુષ્ય પાસે શું નથી ? હું પણ ઘણી વસ્તુથી અજાણ રહ્યો, મારા મોહમાયા અને મારી ટૂંકી દ્રષ્ટિ એ મને આવરણો થી ઢાંકી દીધો અને હું બહાર ન આવી શક્યો.હવે અંતરચક્ષુ પર જે પડદો હતો તે ખસી ગયો.

આપણે સૌ નાની-મોટી મોસમ  જીવીએ છીએ પણ પાનખર મનની મોસમનો એક એવો અહેસાસ  એક એવી વેદના…છે કે  આપણે પોતે ઝાડ થઈને પાંદડે પાંદડે ખરીએ છીએ અને .. પીળા પડી ખરવાની વેદના ઝીલતા, આપણા આયખા આખાને આંખોમાં પથારીમાં ઝીલીએ છીએ  અને ઝીલતા ઝીલતા સત્યને જે પામીએ છીએ, હવે  નવી દ્રષ્ટિ, નવા વિચારોથી કુપણો ખીલે  છે બારી બહાર દ્દેખાતી પાનખરમાં પણ વસંતનો વૈભવ સર્જાય છે.
આજે સમજણ છે પણ હવે સમય જ ક્યાં છે એ વસંતે મણવાનો…

 

 

જયવંતિ પટેલ