વિષ્ણુ પ્રસાદજીની આવારા મસીહામાંથી અને અનુવાદક શ્રી.હસમુખ દવે દ્વારા મળેલી શ્રી શરદચંદ્રના જીવનની અવનવી વાતો આપની સમક્ષ સંક્ષેપમાં રજૂ કરતા આનંદ અનુભવું છું .
મિત્રો, શરદબાબુના ભટકન પછી શાંતિનાં મૃત્યું પછી તેમના જીવનમાં બીજી કોઈ સ્ત્રી પ્રવેશી શકી નહોતી. હા ,સમાજ અને સમાજના લોકો તેને માટે ખૂબ જાતજાતની વાયકાઓ કરતાં કોઈકે કહ્યું હતું કે તે કોઈ નીચ જાતિની સ્ત્રી સાથે રહે છે ,તો કોઈ કહેતું તેનું નામ વિરાજ વહુ છે ,તો કોઈ કહેતું ના ના એનું નામ નયનતારા છે , તો વળી કોઈ કહેતું ના ભાઈ ના એનું નામ તો શશી તારા છે .કેટલાય ભદ્રલોક પોતાની જાતને એને અભદ્ર કહીને એ બાજુ જતા નહીં ,તો કેટલાક જતા તેના ઘરની બેઠકમાં જ બેસી નીકળી જતાં, ઘણાંને તો લાગતું કે ઘરની સજાવટ તો સ્ત્રીનાં હાથની જ છે ,પણ કોઈ ઘરમાં ડોકાવાની હિંમત કરતું નહીં. માઘોત્સવનો પર્વ આવતા ભજન કીર્તન માટે મૃદંગની જરૂર પડી એક ભજન ગાનારે કહ્યું કે શરદને ત્યાં મૃદંગ છે ત્યાંથી લઈ આવીશ .
જે લેવા આવ્યો હતો તે પણ પહેલીવાર આવ્યો હતો .તેણે શરદને પૂછ્યું કે મૃદંગ કોઈ આપી જશે કે ઉચકશે ?એવો પ્રશ્ન કર્યો ત્યારે રસોડામાંથી કોઈ સ્ત્રીનો કટાક્ષયુક્ત અવાજ સંભળાયો ,”જે લેવા આવ્યો છે તેને મૃદંગ ઉપાડવા માટે અન્ય કોઈની સહાયતાની શી જરૂર પડી ભલા ? આમ તો અવાજ સાંભળી અવાચક જ રહી ગયો . ના ,હા કર્યા વગર મૃદંગ લઈને ચાલ્યો ગયો .આ સ્ત્રી એટલે મોક્ષદા અને શરદચંદ્રની બીજીવારના પત્ની જેને તેવો હિરણ્યમયી કહેતા .
શાંતિ પછી બર્મામાં તેમના જીવનમાં ત્રણ વ્યક્તિ પ્રવેશી .જેમાની પહેલી વ્યક્તિ આ હિરણ્યમયી હતાં. નિર્દોષ સુખ આપનારા શુદ્ધ કંચન જેવા અંતરથી ઉજવળ . હિરણ્યમયીના પિતા કૃષ્ણદાસ અધિકારી બંગાળથી કમાવા જ પુત્રી સાથે રંગૂન આવ્યા હતા. ધીરે ધીરે શરદના પરિચયમાં આવ્યા .દીકરી મોક્ષદા માટે મુરતિયો શોધવાનું કામ શરદ પર આવી પડ્યું .આ કામ સફળ ન જ થયું. પત્તો ન જ ખાધો કોઈ મુરતિયાનો!આખરે તેમણે શરદને લગ્ન કરી લેવા કહ્યું ,પણ શરદનું અંતર મન શાંતિ પછી ક્યાંય લાગતું નહોતું જ .
તે અરસામાં શરદબાબુ ખૂબ બીમાર પડ્યા અને મોક્ષદાએ દિવસ રાત્ર તેમની સેવા કરી તેના પિતાએ તેને કહ્યું કે જો તમે મોક્ષદા સાથે નથી પરણવા માંગતા. તો થોડા રૂપિયા ઉધાર આપો. હું તેને દેશમાં લઈ જઈ પરણાવી દઉં મને ત્યાં એક જણ ઓળખે છે અને તૈયાર પણ છે .બે દિવસમાં તો શરદે મોક્ષદા સાથે લગ્ન કરી લેવાની તૈયારી બતાવી. ખૂબ જ સાદાયથી બંને પરણી ગયા કાયદાથી નહીં પણ અંતર મનથી બંને એકબીજાના થઈ ગયા.
શરદબાબુના જીવન મૂલ્યો ફરીથી બદલવા લાગ્યા. ફરી તેના મનમાં સૌંદર્ય ભાવના જાગી ,પ્રેમના ફૂલોથી ઘર મહેક્યું .એને પુસ્તક પર પ્રેમ હતો , તો પશુ પક્ષી પર પણ પ્રેમ હતો એ પ્રેમ ફરી જાગૃત થયો. આંગણામાં હિરણ્ય મયીએ તુલસી વાવી અને પાઠ પૂજા શરૂ થઈ .
સૌપ્રથમ એક મૈના પાળી હતી .તેને પ્યારથી ભૌના કહેતા હતા .શરદબાબુને તે મૃત્યુ પામી અને જાણે દિકરી મૃત્યુ પામી હોય તેવું દુઃખ થયું .ત્યારબાદ એક સિંગાપુરી કાકા- કૌવા પાળ્યો એનું નામ પાડ્યું બાટૂ બાબા .શરદ એ તેને બોલતા શીખવ્યું . રાત્રે વારંવાર ઊઠી તેને જમાડતો .એને માટે તો એણે ચાંદીનો સ્તંભ અને સોનાની સાંકળ, સ્પ્રિંગ વાળું ગોદડુ આ બધું તૈયાર કરાવ્યું ,રેશમી તકિયા અને ઓઢવાનું અને મચ્છરદાની ની વ્યવસ્થા કરી રાત્રે સાંકળ છોડી દેતો તો તે સ્તંભ પરથી નીચે ઉતરી મચ્છરદાનીની અંદર જઈ તકિયા પર માથું મૂકી સુઈ જતો. આ બાટૂ બાબા જેટલો સુંદર વ્હાલો હતો તેટલો બદમાશ પણ હતો. શરદબાબુ તેની ચાંચ ચૂમતા તો તે ગળગળો થઈ તેના ગાલ ઉપર પોતાનું મોઢું રગડતો .તે કંઈ નવા માણસને ઘરમાં ન પ્રવેશ કરાવા દેતો .એકવાર નોકરાણી ઘી ચોરી લઈ જતી હતી તો તેને સાંકળ તોડી તેની પર હુમલો કર્યો હતો તેને બચકાભરી ઘાયલ કરી દીધી હતી . એટલી વારમાં કામવાળી બાઈ પકડાઈ પણ ગઈ શરદના હાથે.
મૃત્યુ તો નક્કી જ હોય છે તેમ બાટૂ બાબા પણ મરી ગયો અને શરદની જિંદગીમાં ફરી અંધકાર છવાયો બહુ સમય ઘરમાં પુરાઈ રહ્યો તેની સોનાની સાંકળ જ તેને ગળામાં ફાંસો દઈ ગઈ હતી .તેના શોકમાં તો તે શોકાકૂળ ને નિરાશ બની ગયો .બાળક ગુજરી ગયો હોય તેટલો તેને શોક લાગ્યો હતો.
એકવાર કૂતરો પણ પાળ્યો તે દેશી ખુંખાર અને બિહામણો હતો અને અસભ્ય પણ .કોઈ ફકીરે હિરણ્ય દેવીને કહ્યું હતું કે આ કૂતરો ઘરે લઈ જાવ અને પાળો તમારું નસીબ ખીલી ઉઠશે ખરેખર નસીબ ખીલી ઉઠ્યું તે પણ કૂતરાને લીધે ! હિરણ્યમયીએ તેનું નામ “બંસી વદન” પાડ્યું હતું પરંતુ શરદે તેનું નામ રાખ્યું હતું. “ભેલી” આ કૂતરાને પણ શરદ ખૂબ પ્રેમ કરતો હતો.
મિત્રો ,આમ શરદ બાબુની જિંદગીમાં હિરણ્યમયી સાથે સાથે પશુ પંખીઓએ આનંદ અને પ્રેમની લહેરખી પ્રસરાવી .પોતાના વ્હાલા પશુ પંખીનાં મૃત્યુનો ખેદ પણ એમને એટલો જ રહ્યો.
મિત્રો,આવતા અંકમાં કંઈક આવી જ નવીન વાતો કરીશું અને જાણીશું શરદબાબુ વિશે.
અસ્તુ,
જયશ્રી પટેલ.
૧૩/૧૧/૨૨