‘કેનોપનિષદ’ની પ્રસ્તાવનામાં શ્રી.વિરેન્દ્ર આસ્તિક કહે છે કે ઓશોએ ભાષાના માધ્યમથી ધ્યાન, બ્રહ્મ અને આધ્યાત્મિકતા જેવા ગૂઢ વિષયોને સરળ અને રોચક બનાવ્યા છે. ઓશો જેટલા ભૌતિક છે તેટલા પ્રયોગાત્મક પણ છે. ક્યાંય પણ અતિશયોક્તિ હોય ત્યાં એનું ખંડન કરવાનું પણ ચૂકતા નથી. યથાર્થના પ્રત્યે ભાષાનું આ અતિ સંવેદન આપણને બીજે ક્યાંય જોવા નહીં મળે. ઓશો કહે છે કે “તમે શું કહો છો, તમે શું બોલો છો, તમે શું લખો છો, તે અર્થહીન છે. તમે શું છો એ મહત્વપૂર્ણ છે. તમારો માર્ગ તમારી રીતે તૈયાર કરવો પડશે. તમારા નિષ્કર્ષો, પ્રમાણો અને સર્જન તમારા ખુદના અનુભવમાંથી આવવા જોઈએ. માટે પ્રામાણિક બનો.”
આજે ઓશો દર્શન અંતર્ગત આપણે વાત કરવી છે ‘હૃદયસૂત્ર’ની, જે બુદ્ધની દેશનાઓમાં સર્વોચ્ચ સ્થાને છે. આ સૂત્રો બૌદ્ધ સંદેશનું હાર્દ- હૃદય છે. જો તર્ક અને બુદ્ધિથી આ સૂત્રોને સમજવા પ્રયત્ન કરશો તો તમે તેના સારને ખતમ કરી નાખશો. જો તમારી બુદ્ધિ ચલાવ્યા વિના અવલોકી શકશો તો તમને મહાન સમજ પ્રાપ્ત થશે. બુદ્ધનો માર્ગ બુદ્ધિનો છે. આ જગત માયા કે ભ્રમણા નથી, પરંતુ સત્ય છે. બુદ્ધના ચરણ ધરતી સાથે જોડાયેલા હોવા છતાં તેમના હાથ અનંત ઊંચાઈને આંબે છે. બુદ્ધ આપણને આ દુઃખ, સંસારમાંથી મુક્તિ માટેનો અષ્ટાંગિક માર્ગ સારિપુત્ર સાથેના અંગત સંવાદમાં દર્શાવે છે. અસ્તિત્વ પૂર્ણ શૂન્યતા છે. તમામ સ્વરૂપો શૂન્યતા છે. પરંતુ આ શૂન્યતા અસાર નથી, સારસભરતાથી પરિપૂર્ણ છે.
બુદ્ધની આંતરદ્રષ્ટિ અત્યંત વેધક અને માર્મિક છે. વાસ્તવિકતાના આ ક્ષેત્રમાં તેઓ ખૂબ ઊંડાઈ સુધી પહોંચ્યા છે. તમારા હૃદયમાં એ પૂર્વધારણા કરો કે તમે બુદ્ધ છો. તેને એક બીજ સ્વરૂપે રહેવા દેશો તો તેની આસપાસ ઘણી ચીજો બનવાની શરૂ થશે. તમે અંકુરિત થઈ રહેલા બુદ્ધ છો. તમે એકાકાર બનવા સમર્થ છો. થોડી જાગૃતિ અને થોડી વિશેષ ચેતનાની જરૂર છે. એ ખજાનાને લાવવા તમારા ઘરમાં એક નાનો દીવો લાવવાનો છે.
સૂફીઓ સાત ખીણોની વાત કરે છે. હિન્દુઓ સાત ચક્રની વાત કરે છે. પ્રાચીન બૌદ્ધ ગ્રંથો સાત મંદિરો અંગે કહે છે. પ્રથમ મંદિર શારીરિક છે બીજું મનો – શામક, ત્રીજું માનસિક, ચોથું મનો -આધ્યાત્મિક, પાંચમું આધ્યાત્મિક, છઠ્ઠું આધ્યાત્મિક- અલૌકિક અને સાતમું મંદિર -મંદિરોનું મંદિર -અલૌકિક છે. હૃદયસૂત્ર સાતમા અલૌકિક મંદિરમાં પ્રવેશેલી વ્યક્તિની ઘોષણાઓ છે.
કોઈપણ વ્યક્તિના મનમાં ઉઠી શકે તેવો સૌથી અગત્યનો સવાલ છે કે સત્ય શું છે? સત્ય એ કોઈ પરિકલ્પના નથી, કોઈ જડ સિદ્ધાંત નથી, કોઈ ધર્મ સાથે સંકળાયેલ નથી. જેમ અંધકાર અને પ્રકાશ સાથે રહી શકતા નથી તેમ સત્ય અને અસત્ય એક સાથે રહી શકે નહીં. અસત્ય બીજું કશું નથી પણ સત્યની અનુપસ્થિતિ છે. સત્ય એ અસ્તિત્વનો અનુભવ છે. જે રીતે શાંત સરોવર આઈનો બની જાય છે અને તમારું પ્રતિબિંબ તમે જોઈ શકો છો. પરંતુ જો સરોવરમાં લહેરો ઉઠતી હોય, પવન ફુંકાતો હોય, તરંગ ઉઠતા હોય, તો તમારું પ્રતિબિંબ ધ્રુજતું રહેશે. એ જ રીતે તમારી ચેતનામાં વિચારોનો ટ્રાફિક ચાલતો જ રહે છે. વિચારોનુ ટોળું તમારી આસપાસ નાસભાગ કરતું રહે છે, ત્યારે તમે શી રીતે જાણી શકો કે સત્ય શું છે? આ ટોળામાંથી બહાર નીકળવા જરૂરી છે ધ્યાન, વિચારો વિનાની ચેતના, તરંગહીન ચેતના. પછી ત્યાં પ્રગટ થાય છે – સત્ય, જેને તમે ગમે તે નામ આપી શકો.
ઓશો કહે છે કે તમે જ્યારે ગુલાબનું ફૂલ જુઓ છો, સૂર્યોદય જુઓ છો કે રાત્રે ચંદ્ર જુઓ છો ત્યારે તમે તેને જુઓ કે ના જુઓ તેમાં કોઈ સંમતિ કે અસંમતિનો સવાલ નથી. એ જ રીતે ઓશોને જીવંતતા સાથે, મુક્ત મને, તુલના કર્યા વિના, કોઈ નિષ્કર્ષ કાઢ્યા વિના સાંભળો, આંતરદ્રષ્ટિ, ધ્યાન અને સંપૂર્ણતા સાથે સાંભળો. મૌન એ શૂન્યતા છે અને કેવળ શૂન્યતા જ સત્યના વિશ્વમાં કામ કરી શકે છે. બુદ્ધ એ શાંતિ અને મૌનને સન્યાસ કહે છે. આંતરદ્રષ્ટિ એ શૂન્યમનસ્કતાની અવસ્થા છે. જે રીતે અંદરથી ખાલી ડ્રમને વગાડી શકાય છે, એ જ રીતે શૂન્યતામાંથી સુંદર અવાજ પ્રગટે છે. ત્યારે તે માત્ર સાંભળેલો શબ્દ ન રહેતાં સ્ફુરણા કે આંતરદૃષ્ટિ બની જાય છે. એકવાર જે આ આંતરિક ખાલીપણા અને શૂન્યતાને જાણી લે છે તેના તમામ ભય અદ્રશ્ય થઈ જાય છે. આ તમામ અદ્રશ્ય થવાની ઘટનામાં જે શેષ રહે છે તે નિર્મળ આકાશ છે, જેના વિશે બુદ્ધ વાત કરે છે. એ જ સમાધિ છે, નિર્વાણ છે.
બુદ્ધના મહાન શિષ્યોમાંના એક પ્રમુખ શિષ્ય સારિપુત્રને સંબોધીને આ સૂત્ર કહેવાયા છે. તેના સાત સ્તરો છે. સાતમું પગથિયું પારલૌકિક છે: ઝેન, તંત્ર, તાઓ. છ પગથિયાં સુધી પદ્ધતિ અગત્યની રહે છે, શિસ્ત અગત્યની રહે છે, અનુષ્ઠાન અગત્યના રહે છે. પણ સાતમા પગથિયે જ્યારે તમે પહોંચો છો ત્યારે કેવળ શૂન્ય બનવું જરૂરી છે. સારિપુત્ર ચર્ચામાં બુદ્ધને પરાજિત કરવાના ઇરાદા સાથે દેશભરમાં સફર કરીને આવ્યો હતો. બુદ્ધ તેને એક વર્ષ મૌન રહેવા કહે છે અને એક વર્ષ બાદ સારિપુત્ર તેના પાંચ હજાર શિષ્ય સાથે બુદ્ધના શિષ્ય બની જાય છે.
બુદ્ધ તાર્કિક નથી પરંતુ દ્વંદ્વાત્મક છે. સમગ્ર બૌદ્ધ અભિગમ આ સૂત્ર પર આધારિત છે. જે વ્યક્ત છે એ અવ્યક્ત છે. સ્વરૂપ એ કશું નથી પણ સ્વયં શૂન્યતાનું જ સ્વરૂપ છે અને શૂન્યતા કશું નથી પરંતુ સ્વરૂપ છે, સ્વરૂપની સંભાવના છે. જીવન અને મૃત્યુ એ વિરોધી તત્વો નથી, તેઓ આંતરવ્યાપ્ત છે, તેઓ પરસ્પર દ્વારા અસ્તિત્વ ધરાવે છે. આ પાયાની આંતરદ્રષ્ટિ બતાવવા બુદ્ધ કહે છે કે સ્વરૂપ એ સ્વરૂપવિહીનતા છે અને સ્વરૂપ વિહીનતા એ સ્વરૂપ છે. દ્વૈત માત્ર દેખાવ પૂરતું છે, અંદર ઊંડે તે બધું જ એક છે. આ જ સંવેદન, સમજ અનુભૂતિ અને ચેતના માટે પણ સાચું છે. સમગ્ર જીવન અને સમગ્ર અસ્તિત્વ ધ્રુવીય વિરોધોનું બનેલું છે. પરંતુ કેવળ સપાટી ઉપર તેઓ ભિન્ન છે, મારી અંદર તેઓ એક છે. આ આંતરદ્રષ્ટિ સાથે એક મહાન સ્વીકૃતિ ઉદ્ભવે છે.
બ્લેક હોલનો ખ્યાલ બુદ્ધના શૂન્યતાના ખ્યાલ સાથે ખૂબ સામ્ય ધરાવે છે. તમામ સ્વરૂપો શ્યામલતામાં તૂટીને અદ્રશ્ય થઈ જાય છે અને લાંબા સમય પછી ફરી ઉભરાય છે. એ જ રીતે જીવન અને મૃત્યુ, મૃત્યુ અને જીવન -ચાલતું જ રહે છે. અસ્તિત્વ આ રીતે ગતિ કરે છે. મનુષ્ય સમગ્ર અસ્તિત્વનું લઘુચિત્ર છે. મનુષ્ય સાથે જે બને છે, તે બૃહદ સ્તર પર સમગ્ર અસ્તિત્વની સાથે બને છે. બુદ્ધ કહે છે કશું કરવાનું નથી, કેવળ સમજની જરૂર છે. જો તમે તેને એક આંતરદ્રષ્ટિ તરીકે જોઈ શકો તો તે તમારું સમગ્ર જીવન બદલી શકે છે.,…
બુદ્ધ કહે છે: તમે જેવા છો તેવા છો, કોઈ સુધારો કરવાની જરૂર નથી, ક્યાંય જવાની જરૂર નથી. તમે જેટલા હોઈ શકો એટલા શ્રેષ્ઠ છો, વધુ સંભવ નથી. વધુ તમારા માટે સમસ્યા ઊભી કરશે. પ્રકૃતિનો સ્વીકાર કરો, પ્રાકૃતિક રીતે સરળ, સ્વયંસ્ફૂર્ત, ક્ષણે ક્ષણે જીવો. તેમાં પવિત્રતા છે. કશું પૂર્ણ નથી કે કશું અપૂર્ણ નથી. મારું જ્યાં અસ્તિત્વ છે, ત્યાં કંઈ સારું નથી કે ખરાબ નથી, ત્યાં સંસાર અને નિર્વાણ બંને સમાન છે, ત્યાં તમામ ભેદો અદ્રશ્ય થઈ જાય છે. બુદ્ધ બનો અને તમે બુદ્ધ છો. તમે હંમેશા બુદ્ધ રહ્યા છો.
ઓશો પોતાની આગવી ખૂબીથી ‘હૃદયસૂત્ર’નો પરિચય કોઈ પરંપરાવાદીની માફક નહીં, પરંતુ આધુનિક વિજ્ઞાન, મનોવિજ્ઞાન અને દર્શનશાસ્ત્રની સિદ્ધિઓને ધ્યાનમાં રાખી વર્તમાન યુગના મનુષ્યની જરૂરિયાતના સંદર્ભમાં કરાવે છે. આ વિષય પર વધુ આવતા અંકે….
રીટા જાની
04/11/2022
સરસ આલેખન 👌
LikeLike
આભાર
LikeLike