રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનુંભાવભર્યું સ્વાગત છે. છેલ્લા બે અઠવાડિયાથી લેખ મુકવામાં અનિયમિતતા થઇ હતી તે બદલ ક્ષમા માંગુ છું પણ ઘણીવાર આપણા સંજોગો અને મનઃસ્થિતિ આપણી પહોંચ અને સમજની બહાર હોય છે અને તેની સીધી અસર કલમ પર થાય છે…
ખેર, રવીન્દ્રસંગીતને નજદીકથી જાણવા સમજવાની આ સફરને આગળ વધારતા, આજે આપણે પ્રેમ પારજોયની એક ખુબ જાણીતી રચનાની સંવેદનાઓને સમજવાનો પ્રયત્ન કરીશું. પ્રેમ એટલે કે love સર્વ પરિમાણોથી અને સરહદોથી ઉપર છે. તેને કોઈ તોલ-માપથી માપી ન શકાય કે ત્રાજવે તોલી ન શકાય કે કોઈ સીમાડાથી બાંધી ન શકાય. અને એટલેજ કદાચ પ્રેમમાં પ્રચંડ શક્તિ છુપાયેલી છે.
પ્રેમ શાશ્વત છે પણ પ્રિયજનની પ્રત્યક્ષ હાજરી શાશ્વત નથી. ક્યારેક પ્રિયજનની ગેરહાજરી ક્ષણિક હોય તો ક્યારેક સંજોગોવશાત એ કાયમી પણ હોઈ શકે. પ્રિયજનની કાયમી ગેરહાજરી ભલે હોય પણ તેથી તેમના પ્રત્યેનો પ્રેમ અદ્રશ્ય નથી થઇ જતો. પ્રિયપાત્ર સાથે ગાળેલી એક એક ક્ષણની યાદોમાં એ ખીલતો રહે છે મહોરતો રહે છે. ગુરુદેવ પણ પોતાના અંગત જીવનમાં પણ તેમના પ્રિયપાત્ર, તેમના પ્રેરણાસ્તોત્ર કાદમ્બરી દેવીના અકાળ મૃત્યુ પછી આવાજ કોઈ સમયમાંથી પસાર થયા અને આ ઘટના પછી તેમની સંવેદનાઓને વાચા આપતી આ સંવેદનશીલ રચનાને આપણે આજે જાણીશું અને માણીશું. 1927માં રચાયેલી આ રચનાનું શીર્ષક છે সেদিন দুজনে (Sedin Dujone) જેનું ભાવાનુવાદિત શીર્ષક છે “આપણે બે…” જેનું સ્વરાંકન કવિવરે રાગ પીલુમાં કર્યું છે અને કહેરવા તાલ પર તાલબદ્ધ કરેલ છે. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.

આ રચનામાં શબ્દે શબ્દે કવિવર પોતાના પ્રિયજનની સાથે ગાળેલી અમૂલ્ય ક્ષણોને યાદ કરીને પુનઃજીવિત કરે છે. પ્રિયજન સાથે ગાળેલી પ્રત્યેક પળમાં ફરીથી સાંગોપાંગ ભીંજાય છે. આ રચનામાં ફરી એકવાર પ્રિયજન સાથે સંવાદ કરતા કવિવર વાસ્તવિકતાને ખુબ સુપેરે જાણે છે, સમજે છે. પણ આ સોનેરી ક્ષણોની યાદ જે તેમના અંતઃ કરણ અને માનસ પટલ પર કોતરાઈ ગઈ છે તેના સહારે તેમના પ્રિયજનનો વિરહ થોડો હળવો કરવાનો પ્રયત્ન કરે છે.
યાદ એટલે કે memory – આમતો બેધારી તલવાર જેવી હોય છે. સુખદ ક્ષણોની યાદના સહારે ક્યારેક આખું જીવન જીવી જવાય, આવી સુખદ ક્ષણોની યાદ ગમે તેવા કપરા સંજોગોમાં પણ પાર ઉતારી શકે. Memories are timeless treasures of life. પણ ક્યારેક દુઃખદ ક્ષણોની યાદ જીવનની ધારાને એક અનંત વમળમાં ઓગાળી દે છે. અને કદાચ એટલે જ પ્રભુએ આપણને યાદ અથવા સ્મૃતિની સાથે વિસ્મૃતિનું પણ વરદાન આપ્યું છે.
આપણી ઇચ્છાએ કે અનિચ્છાએ અત્યારની પ્રત્યેક ક્ષણ આવતી ક્ષણે યાદમાં પરિવર્તિત થઇ જવાની છે. Today’s moments are tomorrow’s memories. માટે જ જે આ પળની કિંમત સમજી શકે તે જીવનને સમજી શકે, જાણી શકે અને માણી પણ શકે. માટે જ કહેવાયું હશે કે Enjoy every moment as if it is your last અથવા પળે પળે પરમાનંદ…
તો ચાલો, હું પણ પ્રત્યેક પળને ઉજવવાનો સંકલ્પ કરતાં કરતાં હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણઆ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોનીઅપેક્ષા સહ,
–અલ્પા શાહ
બહુ જ સરસ આપણે બે ભાવાનુવાદ સુંદર👌
જયશ્રી પટેલ
LikeLike
આભાર જયશ્રીબેન
LikeLike