
નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ -12 એની 11મી ગઝલ અને રસાસ્વાદ.
આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર. સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા.
ગઝલ
ઘર તો તારાથી ખરેખર ઘર થયું,
જે કશું ખૂટતું હતું સરભર થયું.
તેં મને ઓઢી લીધો લોહીલુહાણ,
તારું કોરું વસ્ત્ર પાનેતર થયું.
જિંદગીભર જાતને તડકે મૂકી,
એ પછી અજવાળું મુઠ્ઠીભર થયું.
શ્વાસ પર પહેરો બની બેઠી છે ક્ષણ,
જીવવું શ્વાસો ઉપર નિર્ભર થયું.
એકધારું ક્યાં જિવાયું છે ખલીલ,
કટકે કટકે પૂરું આ જીવતર થયું.
– ખલીલ ધનતેજવી
રસાસ્વાદ :
આપણે કેટલીક વાર જોતાં હોઈએ છીએ કે, ઘરની ગૃહિણી થોડાક દિવસ માટે કોઈ કારણસર ઘરથી દુર જાય તો ઘરમાં જાણે અવ્યવસ્થા ફેલાઈ જાય છે. કોઈ વસ્તુ તેનાં સ્થાને ના મળે. અરે ખાવાપીવાનાં ય ઠેકાણા ન રહે એવું બને. અને આવા સંજોગોમાં જ ગૃહિણીની ખરી કિંમત થાય. એવું લાગે કે મકાન તો છે પણ કશુંક જાણે ખૂટે છે. અને ફરીથી જ્યારે ઘરની સામ્રાજ્ઞીનું આગમન થાય ત્યારે બધું સરભર થઈ જાય અને ઘર ખરા અર્થમાં ઘર બની રહે. દરેક ઘરની ગૃહિણી પોતાના પતિની સઘળી તકલીફોમાં ખભેખભા મિલાવીને સાથ આપે છે. સુખદુઃખમાં ભાગીદાર બને છે. આંતરિક અને બાહ્ય ઘા ઝેલવામાં હારોહાર ઉભી રહે છે. આ સંબંધનું ઐક્ય એવું હોય છે કે, વાગે એકને તો દર્દ બીજાને થાય છે. ઘા એકને પડે અને લોહી બીજાને નિકળે છે. આવા તાદાત્મ્યને કારણે બન્નેને લાગે છે કે પોતે અધુરાં છે. પૂર્ણતા માટે જીવનસાથીનો સાથ જરૂરી છે. આ આખી ય વાત ખલીલ સાહેબ શેર દ્વારા ટુંકમાં પણ સચોટ રીતે કહી દે છે.
ઘર તો તારાથી ખરેખર ઘર થયું,
જે કશું ખૂટતું હતું સરભર થયું.
મકનને ઘર બનવા માટે જે કંઈ ખૂટતું હતું તે તો સાથીના આવવાથી સરભર થયું અને ઘર ત્યારે જ ખરા અર્થમાં ઘર થયું.
આમ સાથે રહીને જિંદગીની શરુઆત કરવી પણ ક્યાં સહેલી હોય છે? કેટલી વીસે સો થાય તેનું ભાન પણ ધીમે ધીમે જ થાય છે. અનેક અગવડો, ઢગલાબંધ આફતો અને ડગલે ને પગલે મુશ્કેલીઓનો સામનો કરવો પડે ત્યારે જઈને ક્યાંક સુખનો સૂરજ ઉગે છે! કવિ આ વાતને એવા ચોટદાર શેરથી સમજાવે છે કે વાત સીધી સમજાય છે. શેર જુઓ.
જિંદગીભર જાતને તડકે મૂકી,
એ પછી અજવાળું મુઠ્ઠીભર થયું.
જીવન એ શ્વાસોની આવન જાવન જ છે. એ ચાલુ તો જીવતર અને નહીં તો પછી મરણ. અને હા આ શ્વાસની ગતિ પર એક ક્ષણનો જ પહેરો હોય છે ને? એ પળ જ નક્કી કરશે આપણી જિંદગીનું માપ! અને આ જિંદગી ક્યાં એમ સરળતાથી જીવાય છે. કદિ રાહત, કદિ આફત એમ કટકે કટકે માંડ જીવતર જીવાય છે.
મિત્રો, આ ફાની દુનિયામાં જન્મ લઈ જીવન જીવવાની ઘટના કેવી અકળ અને ક્ષણભંગુર છે, તેના તરફ અંગુલિનિર્દેશ કરતી આ ગઝલ માણવાની મઝા આવી ને? ખલીલ સાહેબની આવી જ તેજદાર ગઝલ લઈને મળીશું આવતા અંકે, ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર.
રશ્મિ જાગીરદાર
સરસ બેન👌👍
LikeLike
ખૂબ સરસ આલેખન
LikeLike