૪૬- વાર્તા અલકમલકની – રાજુલ કૌશિક
‘બસ બીજું કંઈ જ કહેવાની જરૂર નથી’
અજબ છે ને આ દુનિયા? ખાસ કરીને કાનૂન.. કાનૂન સાથે જે રીતે ચેડા કરાય છે, જે રીતે એની સાથેય રમત રમાય છે એ જોઈને તો કાનૂન પરથી પણ વિશ્વાસ ઊઠી જાય.
ગુનો કોઈ કરે અને સજા કોઈ ભોગવે, એ તો હવે સામાન્ય વાત થઈ ગઈ છે. સરકારની રહેમ નજર હોય તો માલિક પૈસા ખવડાવીને છૂટ્ટો અને સજા ચાકરને આપી દેવાની, બસ કેસ અને વાત બંને ખતમ. ગેરકાયદેસર શરાબ વેચવાવાળા પકડાય તો પોલીસને પૈસા પહોંચાડી દે. બે-ચાર એવા ભાડૂતી માણસો હોય જે એમના બદલે થોડા સમયની જેલ ભોગવી આવે. પૈસા તો એમને પણ મળી જાય.
અમીન પહેલવાન પણ આવો જ એક કેટલીય વાર જેલ જઈ આવેલો ભાડૂતી માણસ હતો. નામ અમીન પહેલવાબ હતું પણ અખાડામાં ક્યારેય એણે પગ મૂક્યો નહોતો. કોઈના ગોરખધંધાનું આળ પોતાના માથે લઈને એના બદલે જેલ ભોગવવાના કામને એ પોતાનો કારોબાર કહેતો. જેલમાં જવાની વાતને એ પસંદગી કે નાપસંદગીના ત્રાજવે તોળતો નહીં.
એ કહેતો કે સૌ એક પોતાની ઑફિસે જાય છે જ ને? એને દૃષ્ટિએ તો ઑફિસ એક જાતની જેલ જ હતી.
“વાત તારી સાચી છે પણ ઑફિસ જવાવાળાની વાત જુદી છે. એમને લોકો ખોટી દૃષ્ટિથી નથી જોતા.” ક્યારેક હું એને કહેતો.
“કેમ, જિલ્લા કચેરીના દરેક મુનશી, ક્લાર્ક માટે કોને માન છે? એ લોકો લાંચ લે છે, ખોટું બોલે છે, એક નંબરના ખોટા અને ખટપટીયા હોય છે. હું મારું કામ ખરેખરી ઈમાનદારીથી કરું છું.”
એનું માનવું હતું કે કોઈના બદલે જેલ ભોગવવાનું એનું કામ છે. જેલમાં જઈને એ મહેનત કરે છે, જેના માટે સજા ભોગવી છે એ એને પૈસા આપે છે. મહેનતની કમાણી ખાય છે. લોકો એને ગુંડો સમજે છે પણ ખરેખર તો એણે આજ સુધી કોઈને એક પણ તમાચો માર્યો નહોતો.
સાચે જ એની વાત સૌથી અલગ હતી અને જોવાની ખૂબી એ હતી કે આટલી વાર જેલ ભોગવ્યા પછી પણ એની પ્રકૃતિમાં કોઈ પરિવર્તન નહોતું આવ્યું. એ ગમાર હતો પણ શાંત અને સમજુય હતો. જેલમાં જઈને આવ્યા પછી એનું વજન તો વધતું જ રહેતું.
જેલનું ખાવાનું ગમે તેવું હોય પણ એ એને ગમતું કરીને ખાતો. પહેલી વાર કાંકરાવાળી દાળ અને રેતવાળી રોટી મળી ત્યારેય એને ઈશ્વર કૃપા સમજીને હોટલમાં ખાતો હોય એવી મઝાથી ખાઈ લીધી હતી. અને પછી તો એને આદત પડી ગઈ.
એક દિવસ મેં એને પૂછ્યું, “ તેં ક્યારેય કોઈને પ્રેમ કર્યો છે ખરો?”
“ખુદા એવા પ્રેમથી મને બચાવે. બસ મને માત્ર મારી મા માટે પ્રેમ છે.”
એની મા હયાત હતી. એને વિશ્વાસ હતો કે એની મા ના આશીર્વાદથી જ એ સલામત છે.
આજ સુધી અમીન પહેલવાનને કોઈ ઓરત સાથે પ્રેમ ન થયો હોય એ મારા માનવામાં આવતી નહોતી. સાથે એવી ખબર હતી કે એ ક્યારેય ખોટું નહોતો બોલતો. હકીકત એ હતી કે એને આજ સુધી કોઈ ઓરત પ્રત્યે દિલચશ્પી જાગી નહોતી.
સમાચાર એવા હતા કે અમીન પહેલવાનની મા લકવાના લીધે મૃત્યુ પામી ત્યારે એની પાસે ફૂટી કોડી પણ નહોતી. એ શોકાતુર થઈને બેઠો હતો અને શહેરની એક ધનાઢ્ય વ્યક્તિ તરફથી કોઈ ખાસ કામ માટે એને તેડું આવ્યું. મા ની મૈયત છોડીને એ ગયો પણ ખરો. એ જ તો એની રોજીરોટીનું માધ્યમ હતું ને!
કાળા બજારનો કિસ્સો હતો. શહેરમા ધનાઢ્ય એવા મિયાં દીન સાહેબના ગોદામ પર છાપો મારવામાં આવશે એવા અંદરના ખબર એમને મળ્યા હતા. હવે જ્યારે છાપો મારવામાં આવે તે સમયે અમીન પહેલવાન એ ગોદામનો માલિક છે એવું દર્શાવવાનું હતું. છાપો મારે તો પાંચ હજાર રૂપિયા દંડ અને એકાદ-બે વર્ષની કેદ આવશે એવી ગણતરી હતી. દંડ એ ધનાઢ્ય મિયાં સાહેબ ભરી દે અને એમના બદલે જેલમાં અમીન પહેલવાને જવાનું, અને વળી ગયા વખતની જેમ જેલમાં અમીન પહેલવાવનની સગવડનું પૂરતું ધ્યાન આપવામાં આવશે એવી ખાતરી આપતા હતા. ક્યારેય કોઈ સોદામાં ના ન પાડતો અમીન મા ની દફનક્રિયા કર્યા વગર આજે બીજું કશું કરવા તૈયાર નહોતો.
જો એ સમયે અમીન ગોદામ પર જાય તો મિયાં સાહેબ અમીનની મા ની દફનક્રિયાની જવાબદારી લેવા તૈયાર હતા. અમીન માટે આ સૌથી કપરી કસોટી હતી. અત્યંત વહાલી એવી મા ને રૂખસદ માટે પોતાનો ખભો પણ નસીબ ન હોય એ અમીન માટે અસહ્ય વાત હતી.
એક તત્વચિંતકની જેમ મિંયા એને સમજાવતા હતા કે આ બધી દુનિયાદારીની વાતો છે. મરી ગયા પછી કોને ફરક પડે છે કે એ કોની કાંધે ચઢીને અવ્વલ મંઝીલે જઈ રહ્યું છે, કે કોણ એની મૈયતમાં સાથ આપી રહ્યું છે. માણસ મરી ગયું પછી એને બાળો, દાટો અથવા ગીધ કે સમડીના હવાલે કરી દો, એને ક્યાં કોઈ ફરક પડવાનો છે?
થોડી રકઝક પછી સોદાના હજાર રૂપિયા નક્કી થયા. જેલમાંથી આવીને એની મા માટે સંગેમરમરની કબર બનાવી શકશે એવા આશ્વાસન સાથે અમીન ગોદામે જવાની તૈયાર દર્શાવી.
અમીને એ સમયે રોકડા રૂપિયા માંગ્યા જેથી એ તત્કાળ એની મા ના કફનની સગવડ કરી શકે. મિયા સાહેબને ભરોસો નહોતો કે રૂપિયા લઈને અમીન એમનું કામ કરશે કે નહીં અને અમીનને ભરોસો નહોતો કે જેલમાં એ જશે તો એ પછી મિયાં દીન એની મા ની અંતિમક્રિયા કરશે. અમીન પહેલવાન માટે તો કોઈ એની ઈમાનદારી પર ઘા કરે એ જ અસહ્ય વાત હતી. કોઈ બેઈમાનીનો ધંધો કરતું હોય એનું આળ પોતાના માથે લેવા તૈયાર હતો પણ પણ એમાં એણે ક્યારેય પૈસા ચૂકવનાર સાથે બેઈમાની નહોતી કરી.
બસ આ એક વાત પર મિયાં દીન અને અમીન પહેલવાન અડી પડ્યા અને વાત ત્યાં જ અટકી ગઈ.
અમીન જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે એની મા ને આખરી સ્નાન કરાવીને તૈયાર કરવામાં આવી હતી. કફન પણ તૈયાર હતું. એ જોઈને અમીન પહેલવાન દંગ રહી ગયો કારણકે મિયાં દિન તો એની સાથે સોદો કરવાની જીદ પર હતા તો પછી આ બધી મહેરબાની ક્યાંથી?
આશ્ચર્ય મિશ્રિત અવાજમાં એણે પૂછપરછ આદરી. તો જવાબ મળ્યો કે આ બધો પ્રબંધ એની બીબીએ કરાવ્યો છે.
“હેં??” ફરી એક વાર આશ્ચર્ય મિશ્રિત અવાજ નીકળ્યો.
“હા જનાબ. અને એ અંદર આપની રાહ જુવે છે. “ ફરી જવાબ મળ્યો.
અમીને અંદર જઈને જોયું તો એક નવયુવાન ખૂબસૂરત યુવતી નજરે પડી.
“અરે, તમે કોણ છો, અહીંયા કેમ અને ક્યાંથી આવ્યા છો?” અમીન પહેલવાને એ યુવતીને પૂછ્યું.
“હું તમારી બીબી છું તો અહીં કેમ છું એવો આ તે કેવો આજીબો ગરીબ સવાલ?”
“બીબી? મારે વળી બીબી ક્યાંથી? સાચે સાચું કહી દો કે તમે છો કોણ?”
“હું મિયાં દીનની દીકરી છું. એ સમયે તમારી સાથે જે વાતચીત થતી હતી એ બધી મેં સાંભળી છે અને…….”
“બસ, હવે બીજું વધારે કંઈ કહેવાની જરૂર નથી….”
અને એક અર્થપૂર્ણ વ્યવસ્થા પર અમીને વ્યર્થ ચર્ચા કરવાનું ટાળ્યું. પર આધારિત
સાદત હસન મંટોની વાર્તા ‘अब और कहने कि ज़रुरत नहीं’ પર આધારિત ભાવાનુવાદ
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com