આજે કોરોનની મહામારીમાં ઘણાં અઘટિત સમાચારો સાંભળીએ છીએ , નહીં?
હાલતો ચાલતો માણસ ઘડીમાં ઉકલી જાય ! અરે કોરોના પોઝિટિવ આવે અને એમ્યુલન્સ લેવા આવે ત્યારે એ જમનાં દૂત છે કે દેવદૂત એ તો જો તમે જીવતાં પાછાં આવો તો જ ખબર પડે ! એ જ રીતે જમદૂત સાથે યુદ્ધ કરીને છેક મૃત્યુંના મુખેથી પાછા ફરેલ એક સબંધી સાથે વાત થઇ કે કેવાં કેવાં વિચારોમાંથી એ પસાર થયેલ !
એમણે કહ્યું કે ; “ હોસ્પિટલના ખાટલે પડ્યાં પડ્યાં વિચારો આવ્યા જ કરે કે આ કરવાનું રહી ગયું , પેલું કરવાનું બાકી જ રહ્યું .. નાની નાની વાતોનો અફસોસ અને જીવનમાં થયેલી ભૂલો યાદ આવ્યા કરે ..” એમણે પ્રામાણિકતાથી એ વાતો કરી .
સારા નસીબે ભગવાને એમને બીજી તક આપી . પણ આપણે તો વાત કરી રહ્યાં છીએ મેઘાણીની !
આજે આપણે છેલ્લા એક વર્ષથી ઝવેરચંદ મેઘાણી વિષે , તેમના સાહિત્ય પ્રદાન વિષે , તેમના જીવન અને કવન વિષે ચર્ચા કરી રહ્યાં છીએ . આપણને ખબર છે કે તેઓ બહુ નાની ઉંમરે – માત્ર પચ્ચાસ જ વર્ષની ઉંમરે અવસાન પામ્યા . હૃદયરોગનો હુમલો હતો એટલે એમની છેલ્લી ઈચ્છાઓ તો કેવી રીતે જાણી શકાય ? એ અચાનક જ અવસાન પામ્યા હતા , ઊંઘમાં જ .
પણ એમણે અવાર નવાર પોતાની ઈચ્છાઓ અને આકાંક્ષાઓ વિષે જણાવ્યું હતું ! અરે , એ ઈચ્છાઓ પુરી કરવા સમગ્ર જીવન ખર્ચી નાખ્યું હતું ! શી હતી એમની ઈચ્છાઓ ?
એમનાં સહકાર્યકરોએ એમનાં વિષે એમનાં અવસાન બાદ ઘણું લખ્યું છે . મેઘાણીનું સ્વપ્ન સાકાર કરવા એમનાં સંતાનો અને મિત્ર વર્તુળ સાથે સાહ્ત્યિક સંસ્થાઓએ પણ કામ કર્યું છે . રાષ્ટ્રીય કવિ જેવું ઉચ્ચ આસન પ્રાપ્ત કરનાર ઝવેરચંદ મેઘાણી નાં સ્વપ્નાં સાકાર થઇ રહ્યાં છે .
એમની સાથે ફૂલછાબ માં કાર્ય કરતા , અને મેઘાણીનાં અવસાન બાદ તંત્રી પદ નિભાવેલ સ્વ. જયમલ્લ પરમાર પોતાનાં સ્પર્શક્ષમ સંસ્મરણો જણાવે છે , જેમાં મેઘાણીની આશા , આકાંક્ષા અને અરમાનોની ઝાંખી થાય છે .
એમને લોકસાહિત્યનું ઘેલું લાગેલું હતું . એમને સામાન્ય લોક પ્રત્યે પ્રીતિ- અપ્રતિમ પ્રીતિનો -પક્ષપાત હતો ! ગ્રામ્ય સમાજને આગળ કરવાની તમન્ના હતી . એમની પાસે ફૂલછાબ જેવું છાપું હતું જેના દ્વારા એમણે ઘણાં મહત્વનાં કામ કર્યાં હતાં.
જયમલ્લ ભાઈ લખે છે ; ‘ એક વાર અમારી નાનપણની વાતો કરતા મેં ડુંગરો અને એની બે ત્રણ ધારોની વાત કહી. એના નામ અને એની પાછળ છુપાયેલ વાતોથી મેઘાણી પ્રભાવિત થયા . રસથી કહ્યું , આ બધું ખુબ મહત્વનું છે ; આપણે એ બધું પ્રકાશમાં લાવવું જોઈએ .” અને ત્યારથી ફૂલછાબમાં “સંશોધન વિભાગ” શરૂ થયો .
એક વાર ભાવનગર રાજ્યમાંથી અમુક ‘ ઉતરતી ‘ જાતિને અમુક સમય માટે ગામ બહાર કરેલી . એ લોકો હવે વરસો બાદ પાછાં વસવાટ કરવા આવી રહ્યાં હશે .. જયમલ્લભાઈ લખે છે કે એમણે ( જયમલ્લભાઈએ ) એ લોકોની મજાક કરી ને કાંઈક ઉતરતું બોલ્યા . પણ ઝવેરચંદ મેઘાણીને દિલે તો એલોકો માટેની હમદર્દી અને પ્રેમ હતાં . એમણે તો રસ લઈને કહ્યું ,” આપણાં ઉજળિયાત સમાજમાં આ લોકોનાં જીવન વિષે લખવા જેવું છે , હોં! “ અને પછી એ આડોડિયા જાતિ સાથે નટ , સાધુ , બજાણીયા , વણઝારા , અને એમ ઘણી બધી જાતિની વાતો , તેમની સંસ્કૃતિ – રીત રિવાજ , તેમનો ઇતિહાસ વગેરે ઉપર સંશોધન ચાલું કર્યાં! અને આ રીતે ફુલછાબમાં શરુ થયો : સંશોધન વિભાગ !
એક વાર ફુલછાબના કાર્યાલયમાં કનૈયાલાલ મુનશીની ‘જય સોમનાથ’ નવલકથાની ચર્ચા ચાલતી હતી . એમાં રણભૂમિની ભયાનક્તાનું વર્ણન , જેમાં ગીધડાં મડદાંઓ ઉપર જે કલશોર મચાવે છે તેનથી દૂર દૂર એનો અવાજ સંભળાય છે એમ વાત હતી . જયમલ્લભાઇને પંખી શાસ્ત્રનું ઊંડું જ્ઞાન હતું એટલે એમને ખબર હતી કે ગીધના ગળામાં એમુક ગ્રંથિઓ ના હોવાથી ગીધ અવાજ ના કરી શકે . એમણે મેઘાણીને એ વાત જણાવી . તો વાચક વર્ગને પ્રકૃતિમાં રસ પડે , પ્રાણી સૃષ્ટિમાં જિજ્ઞાસા જન્મે તે માટે ફુલછાબમાં શરૂ થયું “આપણે આંગણે ઉડનારાં!” પંખીઓનું વિજ્ઞાન !
અને પાછળથી એનું પુસ્તક બન્યું .
એજ રીતે કોઈ લેખકે આકાશમાં ચાંદા વિષે કોઈ ખોટું ડિંડક હલાવેલું . મેઘાણીએ કહ્યું કે ચાલો આપણે આકાશની અવનવી વાતો આપણાં વાચકો સુધી પહોંચાડીએ .
પણ એમાં લોકોને શું રસ પડશે ? પ્રશ્ન થયો .
“જુઓ , આપણે એ વાતો રસથી લખીએ તો સાચી હકીકતથી વાચક માહિતગાર થાય !” એમણે કહ્યું અને એમણે થોડાં ઉદાહરણો પણ આપ્યાં અને એ રીતે ફુલછાબમાં શરૂ થયો એક વિભાગ ; “ ગગનને ગોખે !” પાછળથી એનુંયે પુસ્તક બન્યું અને લોકોને એમાં એટલો રસ પડ્યો કે સૌ ખુલ્લા આકાશમાં તારાઓ નીરખવા નીકળતાં!
એ પુસ્તકની આવૃત્તિઓ હૂજુએ થતી રહી છે !
ઝવેરચં મેઘાણી લોકોનાં માણસ હતાં. ઘરમાં કાંઈક સારું બનાવ્યું હોય તો મા જે પ્રેમથી કુટુંબમાં સૌને વહેંચે એમ મેઘાણી લોકોને અધિક – અધિકતમ આપવા , વહેંચવા , પીરસવા તતપર રહેતા ! આ એમનો સ્વભાવ હતો . અને આવો લાગણીશીલ સ્વભાવ હોય તે પોતાની ભૂલો પણ એટલી જ સહજતાથી સ્વીકારે ને ?
એ આટલા મોટા પ્રસિદ્ધિ પામેલા સાહિત્યકાર હતા , છતાં પોતાના ફુલછાબના તંત્રી લેખ સહકાર્યકરોને અચૂક વંચાવે . રખેને એમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો ? ક્યાંક પોતાના વિચારે એટલા સબળ ના પણ હોય ! એ કહે .
કેટલીક વાર તંત્રી મટીને માણસ વ્યક્તિ બનીને કાંઈક અજુગતું લખી નાંખે તો સમગ્ર વાચક વર્ગ પર એની અસર થાયને ? એક વાર એવી જ રીતે ગાંધીજીના વ્યક્તિગત ઉપવાસની વાત બની . ૧૯૪૧માં ગાંધીજીએ સત્યાગ્રહ કરેલો . મેઘાણી એની વિરુદ્ધમાં હતા એટલે એમણે પોતાનો રોષ તંત્રી લેખમાં દર્શાવ્યો પણ સહકાર્યકરોના સૂચન બાદ એમણે પોતાનું મંતવ્ય બદલ્યું .
જયમલભાઈએ લખ્યું છે કે મેઘાણી એટલાં કોમળ હૈયાના હતા કે આવી નજીવી વાતોથી પણ એમની આંખમાં ઝળઝળિયાં આવી જતાં. એક વાર કાર્યાલયના એક છોકરા પર એમને ગુસ્સો ચડ્યો . પાણિયારા પાસેના આળિયામાં ( નાનકડી કેબિનેટમાં ) એમનો કાંસકો નહોતો . મેઘાણીને લાગ્યું કે પેલા છોકરાએ જ ગુમ કરી દીધો હશે . એ પેલા છોકરા પર ખુબ ગુસ્સે થયા . પેલો છોકરો , મહિને નવ રૂપિયાનો પગારદાર જઈને બજારમાંથી નવો કાંસકો લઇ આવ્યો ! હવે મેઘાણીને ખુબ જ ખરાબ લાગ્યું . ગરીબ છોકરા પર એટલો બધો ગુસ્સો થઇ ગયો ?
‘ ચાલો , એને ઘેર જઈને મારાં પાપનું પ્રાશ્ચિત કરી આવીએ !” એમણે ટપ ટપ પડતાં આંસુડાં માંડ ખાળતા કહ્યું .’ વિધવા મા અને ચાર ભાઈબેનનો બોજ ઉપાડતો અને સાંજે દૂધ વેચવાનું કામ કરતા ગરીબ પર કરેલ વર્તનની માફી માંગવા એ અધીરા થઇ ગયા . અને પછી એ સ્વમાની છોકરાને તહેવાર નિમિત્તે ત્રણ રૂપિયા આપ્યા , સાથે બીજા છોકરાને પણ ત્રણ રૂપિયા આપ્યા બાદ જ એના જીવને શાંતિ થઇ .
એમની કરુણા અને લોકો પ્રત્યેના પ્રેમના અનેક પ્રસંગો છે , જેમાં અનહદ પ્રેમ અને તેના પરિણામ રૂપે રુદન સ્વાભાવિક રીતે ઉતરતું દેખાય છે .. કોઈને માટે કરી છૂટવાની ઉદાત્ત ભાવના અને ઋજુ હ્ર્દય મેઘાણીના વ્યક્તિત્વમાં અવિભાજ્ય અંગ બની ને વણાઈ ગયાં હતાં!
પણ વાચક મિત્રો ; શું આટલાં લાગણીશીલ , ઋજુ હ્ર્દયના હોવું તે યોગ્ય કહેવાય ખરું ?
એમના જીવનનાં કેટલાક પ્રસંગો અને જેને કારણે તેઓ હ્રદયરોગના હુમલામાં અટવાઈ ગયા તેની ગાથા આવતે અંકે !
46 મેઘાણીની આકાંક્ષા અનેકોઇના માટે કસુક કરી છૂટવાની
ભાવના આપણને ઘણું જ શીખવાડે છે ગીતાબેન તમે લખેલ લેખ ખુબજ સુંદર રીતે સમજી શકીએ તેમજ જીવનમાંઆચરી
શંકીયે તેવી સરળ રીતે લખેલ છે
ખુબ ખુબ આભાર
LikeLiked by 1 person
Thank you Vasuben !સાહિત્યનું કામ જ એ છે : સૌને આનંદ કરાવવાનો ! પણ આપણને કોઈના જીવનમાંથી કાંઈ શીખવા મળે એનાથી વધારે રૂડું શું ? રસ લઈને તમે સૌ વાંચો છો એટલે આનંદ થાય છે
LikeLike