મીરાંબાઈનો દર્શનાનંદ
દર્શનાનંદ એટલે દર્શન દ્વારા પ્રાપ્ત થતો આનંદ. દર્શનાનંદ માત્ર બે શબ્દોની સંધિ નથી પણ એક અલૌકિક અનુભૂતિ છે જે મીરાંબાઈ જેવો ઉચ્ચ આત્મા જ કરી શકે. આ દર્શન વિષે થોડું લખવું છે.
હિન્દૂ સંસ્કૃતિ પ્રમાણે, જયારે તમે પરમાત્માનાં કોઈપણ સ્વરૂપ કે સદગુરુ કે કોઈ પવિત્ર વસ્તુ કે સ્થળની સન્મુખ થાઓ ત્યારે તમે એનાં દર્શન કર્યા કહેવાય. પરંતુ, મારા મતે દર્શન એટલે માત્ર એકપક્ષીય દૃષ્ટિ વડે થતી પ્રક્રિયા નથી. એને તો માત્ર જોવું અથવા નિહાળવું કહેવાય. દર્શન એટલે દ્વિપક્ષીય દૃષ્ટિ વડે પરમાત્મા સાથે સંધાતું અનુસંધાન જેનાં પ્રતિબિંબો માત્ર આંખની કિકીમાં જ નહિ પણ હૃદય અને આત્મામાં પણ ઝીલાય. દર્શન તો જે તે સમયે અને જે તે સ્થળે કરી શકાય, બંધ તેમજ ખુલ્લી આંખે પણ કરી શકાય. એવું જરૂરી નથી કે દર્શન કરવા માટે કોઈ ધાર્મિક સ્થળે જવું જ પડે. દર્શન તો તમે જ્યાં બેઠા હો ત્યાંથી પણ થઈ શકે; જો એ અનોખું અંતરનું અનુસંધાન સધાય તો.
આનંદ એ તો જીવ માત્રનું પરમ લક્ષ્ય છે. આનંદ અને સુખ બંને સમાનાર્થી લગતા શબ્દો છે પણ તેના ગૂઢાર્થમાં ઘણું અંતર છે. સુખનો ક્યારેક તો અંત આવે છે એટલે કે, સુખ આવે અને જાય. સુખ જાય પછી દુઃખ આવે અને એમ ને એમ ચક્ર ચાલ્યા કરે. જયારે આનંદ એ તો અનંત છે, શાશ્વત છે ને તેની અનુભૂતિ તો કોઈ વીરલ આત્માને જ થાય છે.
મીરાંબાઈને તો દર્શન અને આનંદ બંને આત્મસાત થયેલ હતાં. મીરાંબાઈના પરમપ્રિય ઇષ્ટ ગિરિધર ગોપાલનું દર્શન તેમનાં જીવનનું પરમ લક્ષ્ય હતું. જે રીતે આપણે સતત મધ્યાન્હના સૂર્ય સમક્ષ સતત જોયા કરીએ ત્યારપછી અંધારામાં પણ આપણી નજરની સમક્ષ એ સૂર્યના તેજની ચમક છવાયેલી રહે તેવી જ રીતે મીરાંબાઈ પણ સદૈવ પોતાના પ્રિયતમ શ્રીકૃષ્ણને પોતાનાં નેત્રની આગળ નિહાળતાં, પ્રેમ અને આનંદથી વિહ્વળ બની જતાં અને પછી શ્યામસુંદરની મધુર છબીનું વર્ણન કરતાં સુંદર શૃંગાર, નેત્ર, તીરછી નજર જેવા વિલક્ષણ ગુણોના ગુણગાનના ભાવ તેમનાં દ્વારા રચાયેલાં પદોમાં વહી નીકળતા. આ સર્વ દર્શનાનંદના પદોમાં ક્યાંક મીરાંબાઈની રુપાસક્તિ છલકાય છે તો ક્યાંક તેમનો તેમના પ્રિયતમ સાથેનો ભાવાવેશનો પ્રેમાલાપ વહી નીકળે છે. તો ક્યાંક મીરાંબાઈ દર્શનમાં તલ્લીન થઈને વિનય અને સ્તુતિ પદો સ્વરૂપે રજૂ કરે છે.
જેમકે, નીચેનાં પદમાં મીરાંબાઈ પોતે શ્યામસુંદરનું દર્શન કરે છે અને અપલક નેત્રે માધવને નિહાળતાં નિહાળતાં આપણને સ્વરૂપ દર્શન કરાવે છે.
मेरे नैना निपट बंकट छबि अटके
देखत रूप मदनमोहन को,पियत पियूख न मटके.
बारिज भाव ालक टेढ़ी मनो,अति सुगंध रस अटके
टेढ़ी कटि टेढ़ी कर मुरली, टेढ़ी पाग लर लटके
मीराँ प्रभु के रूप लुभानी, गिरिधर नगर नाटके
તો વળી નીચેના પદમાં મીરાંબાઈ ગિરિધર ગોપાલના શૃંગારનું અક્ષરસઃ વર્ણન કરે છે અને પોતે કેવી રીતે ગિરિધર ગોપાલની એકેક છટા પર મોહિત થઈ ગયા છે તેનું વર્ણન કરે છે.
हो राज, तारे ललवट तिलक बिराजे
हो काने कुण्डल छाजे हो
ो राज तारे मुख पर मोरली बिराजे
मधुर सुर बाजे हो
हो राज,तारे पीला पीताम्बर शोहिये
तने हरखी नारखी मोदिये हो
हो राज, तारे चरने ते नेपुर बाजे हो,
तू नटवर थईने नाचे हो
हो राज, तारी शोभा ते कही नव जाय
हु रूपल देखि लोभनी हो
हो राज, म्हारे मंदिरे पधारो
कहे मीराँ बलिहारी हो
મીરાબાઈ તો ગિરિધર ગોપાલનું દર્શન એક પ્રિયતમા તરીકે કરતાં. આ પદમાં તેમના પ્રિયતમના ગુણગાન ગાતાં કહે છે કે, ‘મારા મહારાજ તો વૈકુંઠ છોડીને પવન વેગે મારી પાસે આવે છે. મારી દૃષ્ટિ તેમના પર પડતાં જ હું પ્રેમ-ભક્તિરસ પીને ધન્ય થઈ જાઉં છું.
आये आये जी महाराज आये
तज वैकुण्ठ तज्यो गरुड़ासन, पवन वेग उठ धाये
जब ही दृष्टि परे नंदनंदन, प्रेम भक्ति रस प्याये
मीराँ के प्रभु गिरिधर नागर, चरण कमल चित लाये
આવાં તો બીજાં ઘણાં પદો મીરાંબાઈએ રચ્યાં છે જેમાં તેમનો દર્શનાનંદ વહી રહ્યો છે. એનો રસાસ્વાદ આપણે આગળના મણકાઓમાં કરીશું. મીરાંબાઈએ આત્મસાત કર્યું હતું કે સર્વ સમર્થ ભગવાન જ એક માત્ર આનંદ સ્વરૂપ છે. પરમાનંદ તો માત્ર ભગવદ્ વિચાર, ભગવદ્ સત્સંગ, ભગવદ્ સ્મરણ અને ભગવદ્ સમર્પણથી જ પ્રાપ્ત થાય છે. જયારે આપણી ચિત્તવૃત્તિ બહારની બધી મોહમાયા છોડી આપણી અંદર રહેલ સ્વ તરફ ડગલાં માંડે ત્યારે જ સાશ્વત આનંદની અનુભૂતિ થાય છે. પોતાના સગુણ ઇષ્ટસ્વરૂપ કે નિર્ગુણ નિરાકારનું દર્શન પોતાનાં હૃદયમાં જ થવાં લાગે. મીરાંબાઈને આવાં ભગવદ્ દર્શનનો પરમ આનંદ પ્રાપ્ત થયેલ હતો. પ્રેમની પરાકાષ્ઠામાં તેમની આંખ હસતાં હસતાં પણ અશ્રુ વહાવી રહી હતી. કવયિત્રી પન્ના નાયક લખે છે:
હું તો મુખડાની માયામાં મોહી પડી,
આંખ હસતાં હસતાં વળી રોઈ પડી.
તો ચાલો આજે હું મારા ઇષ્ટદેવ ઠાકોરજીની છબીનું દર્શન-સ્મરણ કરતાં કરતાં મારી કલમને વિરામ આપું છું.
તમારાં માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે.
— અલ્પા શાહ
.દર્શન તો તમે જ્યાં બેઠા હોવ ત્યાંથી પણ થઇ શકે – જો એ અનોખું અંતરનું અનુસંધાન સધાય તો…
સરસ ઘણીવાર લખનાર આવી સુંદર અભિવ્યક્તિથી ચિત્ત પર છાંઈ જતા હોય છે.
LikeLike
Jayshreeben – Thank you so much for your kind words!
LikeLike
આવા દર્શન માટે આંતર ચક્ષુ ની જરૂર પડે. જે મીરાં પાસે હતાં.સાચી વાત છે.સરસ વાત અલ્પા.
LikeLike
Yes Kalpanaben. જેમ કવિશ્રી સુરેશ દલાલ લખે છે તેમ શ્યામ-શ્યામનો સૂરજ માથે, મીરાં સૂરજમુખી રે!!
LikeLike