“કવિતા શબ્દોની સરિતા”-રાજુલ કૌશિક

મિત્રો,
રાજુલબેનની કોલમ કવિતા શબ્દોની સરિતા ના ૫૧ લેખ પુરા થાય છે.
તો ચાલો રાજુલબેનને વધાવીએ.
રાજુલબેનની કલમ વધુ ગદ્ય લખતી અને તેને મેં જયારે કવિતા પર લખવા કહ્યું ત્યારે થોડા અચકાયા મને કહે હું કદાચ ૫૧ લેખ પુરા નહિ કરી શકું તો ? એ એમની અવઢવ માત્ર હતી. કવિ અને કવિતા તરફનો આદરભાવ અને એ વણખેડ્યા ક્ષેત્રને પુરતો ન્યાય આપી શકશે કે કેમ એની અવઢવ હતી.  
એ પલાયનવાદી પણ નથી અને નથી એ નિરાશાવાદી. નથી કર્યું એ કામ એમણે સ્વીકાર્યું ત્યારે આદરભાવ થયો અને મારી નજરે માન પણ વધ્યું. શરૂઆતમાં  ભલે અચકાયા પણ પછી સરિતાના વ્હેણમાં એક પછી એક લેખ લખાયા, કવિતાની પંક્તિ મળી એના કરતા કહીશ પંક્તિઓ જાણે ફૂટી.
દરેક વ્યક્તિમાં અંદરની લખવાની ઉત્સુકતા,  જીજ્ઞાસા હોય છે. રાજુલબેનમાં પણ લખવાની ધગશ હતી અને માટે જ કવિતા જાણતા અજાણતા એના જીવનમાં પ્રવેશી ગઈ પાન લીલું જોયું અને હરીન્દ્ર દવે યાદ આવી ગયા ડુંગરો જોયા અને ઉમાશંકર જીવિત થયા અને એમની કલમે કવિતાનો લય જાણે વહેતો કર્યો. તમે હું આપણે સૌ જાણે ખેચાંતા ગયા આપણે સૌ માણતા ગયા કવિતાને, ભાષાની એક પરિપક્વ અભિવ્યક્તિને વાંચતા ત્યારે દરેક કવિ પણ જાણે જીવંત થયા, કવિતામાં જે આનંદ, જે રસ છૂપાયેલો હોય છે તેને શોધી અનુભવી એક ભાવકની જેમ પ્રગટ કર્યા અને એમ કરતા રાજુલબેને કવિની સર્જકતાને ગરવી ઊંચાઈ આપી.
એટલું અહી ચોક્કસ કહીશ કે આજની તારીખે કવિતાના પ્રકારો હેતુઓ ભલે બદલાયા હોય પણ કવિતાના તત્વ આજે પણ આપણને સૌને જોડી રહ્યા છે. જેનો અહેસાસ રાજુલબેને કરાવ્યો અને એના એમના લેખમાંથી કવિતાનો કલરવ પ્રગટ થયો, ક્યારેક એમણે રણમાં વાદળી પણ વરસાવી તો ક્યારેક પાંપણના બંધ તોડી આપણને લાગણીના પૂરમાં ખેચી લઇ ગયા. કવિની કવિતાને પૂરી પ્રમાણિકતાથી ન્યાય આપ્યો પોતાના શબ્દોમાં કવિનો અવાજ શબ્દ અને કવિતાનું સત્વ અને તત્વ દટાઈ ન જાય તેવી જાગૃતા સાથે બધા લેખ લખ્યા પોતે કવિના શબ્દને માણ્યો અને કવિના મિજાજને ભાવને ઓળખી જીવંત કર્યા.
કેટલીક પંક્તિઓ એવી હોય છે કે સમગ્ર કાવ્યના સંદર્ભ વિના પણ માણી શકાય છે એની ખાત્રી અને અહેસાસ રાજુલબેને કરાવ્યો તો ક્યારેક ફૂલો તો ક્યારેક સુંગધની હવા,સાથે વેદના અને સંવેદનાની ભૂમિકા રાજુલબેને પ્રગટ કરી. કવિ તો પ્રકૃતિના સૌન્દર્યને અને પ્રેમીની વેદનાને અનેક પ્રકારે વર્ણવે પણ કવિ અને તેની કવિતા વિશે ચાલતી કલમે વાત કરવી એ પવન પર જાજમ પાથરવા જેવી વાત છે. પણ રાજુલ બેને તેમના ૫૧ લેખો પુરા કરી આપણને “કવિતા શબ્દોની સરિતા”માં સાહિત્યનો આનંદ કરાવ્યો. બેઠક અને તેના દરેક સર્જકો અને વાંચકો તરફથી રાજુલબેનને ‘અભિનંદન’.
હું એમને ફરી આમંત્રણ આપું છું કે જાન્યુઆરી મહિનાથી આપ “શબ્દોના સર્જન” પર એક નવા વિષય સાથે આપની કલમ રજુ કરો. તે દરમ્યાન આ લેખ લખતા થયેલા આનંદ અને અનુભવને આપ દર સોમવારે લખી ચાલુ રાખો જેથી બીજાને લખવાની પ્રેરણા મળે.
આપણી ભાષા સમૃદ્ધ છે માટે વાંચન અને સર્જન સાથે ગતિમય રહેવી જોઈએ. આપણી માતૃભાષાને સાચવવાની જવાબદારી સૌની છે. રાજુલબેન તમારા યોગદાનની ‘બેઠક’ કદર કરે છે અને અમે તમારા માટે ગૌરવ અનુભવીએ છીએ.
         – પ્રજ્ઞા દાદભાવાલા

20 thoughts on ““કવિતા શબ્દોની સરિતા”-રાજુલ કૌશિક

  1. પ્રજ્ઞાબેન,
    તમને મારા અને મારી અભિવ્યક્તિ પર જે વિશ્વાસ હતો એની પર ખરા ઉતર્યાનો આનંદ……

    Like

  2. રાજુ બેનની નવું કરવાની ધગશ માટે ખૂબ અભિનંદન…એ માટે હિંમત જોઈએ . અભિનંદન
    # વૈશાલી

    Liked by 1 person

  3. સરિતા તો નિર્મળ રીતે સતત વહેતી જ રહે છે. હાં, વળાંક જરૂર આવે. એકાવન સુંદર લેખ બાદ આવા જ વળાંક સાથે આ પ્રવાહ આગળ વધશે તો ગમશે.

    Liked by 1 person

    • સાચી વાત રોહિતભાઈ,
      વહેતા પ્રવાહની સાથે વહેતા રહેવામાં મઝા તો છે જ. હવે એક નવો વળાંક, નવો પ્રવાહ અને એની સાથે એક નવો અનુભવ….
      આભાર આ પ્રવાહમાં સતત સાથ માટે.

      Like

  4. મને તોલખતા આવડતું નથી પણ આપે કરેલ સાહસ અને માં સરસ્વતી ની કૃપા અદ્ભુત છે. ઇચ્છા રાખે તો પરમ સહાય કરે જ છે . આપની કલામ ખૂબ ખીલે , લોકપ્રિય બને એવી પ્રાર્થના. ખૂબ લખો અને નામ રોશન કરો એવી શુભેછા

    Liked by 1 person

  5. રાજુ,આપણી દોસ્તીનાં પચાસ વર્ષની જેમ તારી કવિતાની સરિતાની સાથે વહેતા વહેતા ૫૧ અઠવાડિયા કયાં વહી ગયા તેની સમજ જ ન પડી ! તું અને તારું લેખન છે જ એવું ને કે અમને તું ક્યારેક લાગણી ની સરિતામાં તો કયારેક કુદરતની કવિતામાં એવા ઝબોળે કે અમને તારા લખાણમાં ડૂબકાં ખાવાની મઝા પડી ગઈ….સદાય તારી કલમ આવીજ રીતે ચાલતી રહે તેવી અત:કરણથી શુભેચ્છા અને અભિનંદન….

    મારી સહેલીને સરસરીતે પોંખવા બદલ આપણને સૌને નિત નવું લખવાની પ્રેરણા આપવા બદલ પ્રજ્ઞાબેનનો પણ ખૂબ આભાર

    Liked by 1 person

    • જીગીષા,

      પ્રજ્ઞાબેનની એ જ ખુબી છે ને? પ્રેરણા ય આપે અને પોંખે પણ ખરા. એ ખુબી જ તો એમના સફળ સંચાલનની સાબિતી છે ને?

      લાગણી વ્યક્ત કરવાના અનેક માધ્યમ તો છે જ.. ગીત-સંગીત- નૃત્ય-શિલ્પ-ચિત્ર…સાહિત્ય. બસ કોઈપણ રીતની અભિવ્યક્તિ અન્યને સ્પર્શવી જોઈએ. આજે એનો આનંદ છે કે મારા શબ્દો સૌને સ્પર્શ્યા..
      શુભેચ્છા અને અભિનંદન માટે તારો આભાર માનું તો તને ગમશે?

      Like

  6. રાજુલાબેનના ૫૧ લેખ શબ્દોની સરિતા ઉપરનાં જાણે કે વહેતી સરિતાની જેમ સરી ગયાં! ખુબ ખુબ અભિનંદન ! પણ પ્રજ્ઞાબેન તમને તો ધન્યવાદના શબ્દો ઓછા જ પડે ! તમે ભેખ પહેરીને સૌને લખતાં કરી રહ્યાં છો ! દર અઠવાડિયે એક લેખ ગુણવત્તા સાથેનો લખવો એ સરળ વાત નથી જ નથી! પણ તમે સૌને ઉત્સાહ અને માર્ગદર્શન આપીને ઊભાં કરો છો એ વાત દાદ માંગી લે તેવી છે ! રાજુલાબેનના અનુભવો જાણવા ઉત્સુક રહીશું !….

    Liked by 1 person

    • ગીતાબેન,
      બેઠક એક પરિવાર છે અને એમાં સૌને સાથે સાંકળીને,પ્રોત્સાહન આપીને ખરેખર ખુબ સુંદર કામ કરી રહ્યા છે.
      તમારી વાત સાથે સંમત છુ. દર સપ્તાહે ગુણવત્તા સાથે લેખ આપવો એ સરળ તો નથી જ. આ માટે આપણા વિચારો સાથે શબ્દોની ક્ષમતા તો જોઈએ જ.
      મારા માટે પણ આ ખરેખર રસપ્રદ અનુભવ હતો. આગળ એની ય વાત તો કરવી જ છે.

      Like

  7. એક પીઢ લેખિકાને વધાવવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી.પણ હા, કવિતાની સરિતામાં ડૂબકી મારીને વાચકો જરૂર કંઇક પામ્યા છે તેમાં કોઈ શંકા નથી.તમારા જેવાથી આ બ્લોગ સમૃદ્ધ છે. અને રહે તે માટે આપનું યોગદાન ચાલુ રહે તેવી મનોકામના.
    પ્રજ્ઞાબેન ચોક્કસ અભિનંદન. રાજુલ બેનને શબ્દો થકી સરસ અને યોગ્ય ન્યાય આપ્યો છે.વાંચવાની મજા આવી.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.