૧૬ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

પ્રેમ દેવો ભવ

પ્રેમ પરમાત્માનું સ્વરૂપ છે. રામચરિતમાનસમાં પ્રેમ અને પ્રેમના પર્યાયવાચક શબ્દનો ઉપયોગ તુલસીદાસજીએ લગભગ 300થી વધારે વાર કર્યો છે. તેનો આરંભ, મધ્ય અને સમાપન પણ પ્રેમ છે. તુલસીદાસજી કહે છે, શાસ્ત્રના આદિ, મધ્ય અને અંતમાં પ્રેમદેવતાની સ્થાપના થઈ છે. જેમ નારદજીએ પ્રેમસૂત્રો આપ્યાં તેમ શાડિલ્ય મહર્ષિ, અંગિરા ઋષિ તેમજ ઘણાં મહાનુભાવોએ પ્રેમ ઉપર પ્રકાશ પાડ્યો છે.

વિશ્વનો સૌથી પ્રથમ પ્રેમપત્ર રૂકમણિએ શ્રીકૃષ્ણને લખ્યો હતો. આદિ કવિ નરસિંહ મહેતાએ ૬૦૦વર્ષ પૂર્વે પ્રેમનો મહિમા ગાયેલો. ભગવાન કૃષ્ણએ નરસિંહનો વેલેન્ટાઇન તરીકે સ્વીકાર કરેલો. ગોપીઓ, રાધા અને મીરા માટે શ્રીકૃષ્ણ વેલેન્ટાઇન હતાં. સંત વેલેન્ટાઇને પ્રેમનું મહિમાગાન કર્યું હતું. પ્રકૃતિનાં પ્રેમની ઉત્કૃષ્ટ અભિવ્યક્તિ અંગ્રેજ કવિ શેલીએ લખી છે. પર્વત આકાશને, સાગરનાં મોજાં એકબીજાને, સૂર્યપ્રકાશ ધરતીને અને ચંદ્રકિરણ દરિયાને ચૂમે છે, આલિંગે છે. પ્રકૃતિમાં મૂંગા પ્રેમની પરાકાષ્ટા જોવા મળે છે. વૃક્ષને પૂછી જુઓ વેલી વિષે. પ્રેમનું ઉપનિષદ પ્રકૃતિથી વિશેષ ભલાં કોણ સમજાવે? જે ઈશ્વરનો અંશ છે.

તમામ દુઃખોની એક જ દવા તે પ્રેમ. જેમાં તરી જવાય, ઉપર ઉઠી જવાય. તેમાં ડૂબવાનો કોઈ અવકાશ જ હોતો નથી. પ્રેમ કેટલાં પ્રકારનાં હોય છે? માતૃપ્રેમ, પિતૃપ્રેમ, બંધુપ્રેમ, સખાપ્રેમ, દેશપ્રેમ, ગુરુપ્રેમ, પ્રકૃતિપ્રેમ, પશુ-પંખી સાથેનો પ્રેમ, જાત સાથેનો પ્રેમ, વગેરે.

વેલેન્ટાઈનનો અર્થ માત્ર પ્રેમી કે લાઈફ પાર્ટનર જ નથી. વેલેન્ટાઇન ડે એ પ્રેમનો દિવસ છે. તમે કોઈપણ તમારા હ્રદયની નજીક હોય તેવી વ્યક્તિ સાથે આ દિવસ ઉજવી શકો. અનાથઆશ્રમ કે વૃધ્ધાશ્રમ જઈને કે તમારાં પાળેલાં પ્રાણી સાથે પણ આનંદથી સમય પસાર કરી શકો. તેમને ગિફ્ટ કે સમય આપીને, તેમની આંખોમાં દેખાતી ખુશીની ઝલક, એ સાચા અર્થમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી ગણાશે.

પતિ-પત્નીમાં માલિકીપણાનો ભાવ, આસક્તિ અને વાસનાને, બંધનને પ્રાધાન્ય હોય છે. સંબંધોથી બંધન ઊભું થાય છે. અધિકાર હોય ત્યાં પ્રીતિ ના હોય. ઉષ્મા સૂકાય છે. અપેક્ષા અને ઉપેક્ષા, સંવાદ ના બદલે વિવાદ, ગેરસમજણ, અહંકાર, આ બધાથી પ્રેમ દૂષિત બને છે. મુન્શી પ્રેમચંદે સુંદર વાત કરી છે, “પ્રેમ એ આગિયાનો ઝબકારો નથી પણ દિપકનો સ્થાયી પ્રકાશ છે”. મરનારની ચિતા પર ચાહનાર કોઇ ચડતું નથી, કહે છે હું મરી જઈશ પણ સળગતી લાશને કોઈ અડતું નથી”. એકને વાગે અને બીજાને દર્દ થાય. તેનું નામ પ્રેમ. લાગણીઓ કે પ્રેમને પુરાવાની ક્યાં જરૂર હોય છે? આકર્ષણ અને પ્રેમ વચ્ચેની ભેદરેખા સમજવી રહી. “ઢાઈ અક્ષર પ્રેમકે પઢે સો પંડિત હોય”.

પ્રેમમાં બલિદાનની જરૂર પડે છે. પ્રેમમાં ઐક્ય અનુભવાય છે. હીર-રાંઝા, લૈલા-મજનુ, રોમિયો-જુલીયેટ કે પછી વિજાણંદની કહાણી મશહૂર છે. અહીં વાસના-રહિત કે વિકૃત પ્રેમની વાત નથી. ભક્ત કવિ પ્રીતમદાસે કહ્યું છે, પ્રેમનો પંથ પાવકની જ્વાળા છે. પવિત્ર અગ્નિની જ્વાળાથી લપેટાયેલો છે. પ્રેમ તો આગ છે. પ્રેમ એક એવું તત્વ છે કે આગમાં ઉતરવાની જેમની તૈયારી હોય એવી વ્યક્તિઓ જ પ્રેમની રાહ ઉપર જાય છે. આવો પ્રેમ માત્ર ઇશ્વર સાથેનો જ હોઈ શકે.

સૂફી કવિ રૂમીની એક રૂબાઇ છે, “પ્રેમ એક એવી જ્વાળા છે કે જ્યારે એ પ્રગટે છે ત્યારે બધુંજ બાળી નાંખે છે. કેવળ રહે છે ઇશ્વર. સુરેશ દલાલે, “હું તો તમને પ્રેમ કરું છું” નામના પુસ્તકમાં એમની રૂબાઇઓનો અનુવાદ કરેલો છે. જેમાં પ્રેમ, પ્રિયતમ, પ્રણય તેમજ ઇશ્વરીય પ્રેમની ઉત્કટતાની ચરમસીમાનું વર્ણન કર્યું છે. ઈશ્વરીય પ્રેમનો અખૂટ ખજાનો એમાં ભાસે છે.

સાચું પૂછો તો પ્રેમની કોઇ વ્યાખ્યા નથી. ઇશ્વરની જેમ પ્રેમ પણ એક અનુભૂતિનો વિષય છે. શ્રી શ્રી રવિશંકર કહે છે, પ્રેમ અસીમ હોય છે. પ્રેમ નાશવંત નથી. આ શાશ્વત પ્રેમ શાશ્વત સાથે જ થઈ શકે. જેનો જન્મોજનમનો સાથ છે તે ઇશ્વર શાશ્વત છે. આપણાં આતમને જગાડીને અહમ્‍ બ્રહ્માસ્મિ અને શિવોહમ્‍નો અનુભવ કરીને ઇશ્વર સાથે તાદાત્મ્ય સાધીને એકરૂપ થવાથી રોમેરોમ બોલી ઉઠશે, “હું જ મારો વેલેન્ટાઇન”!

9 thoughts on “૧૬ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

  1. કલ્પનાબેન,ચિદાનંદરુપમ્ શિવોહમ્ શિવોહમ્ -અસીમ સાથે ઐક્ય સાધીને તેનેજ સાચો વેલેનટાઈન ગણવાની વાત ગમી ગઈ….ખરેખર જે શાશ્વત છે તે જ સત્ય છે

    Liked by 1 person

  2. Prem Shashvat che. It is difficult to define love. It touches you deep when it is true and whole hearted love. Then it becomes the truth. Khub sunder lekh Kalpanaben!

    Liked by 1 person

  3. Prem Shashvat che. You can’t define love. It touches you when it is true and whole hearted love. Love is the truth.
    Khub sunder lekh, Kalpanaben

    Liked by 1 person

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.