હું એવું માનું છું કે કવિતાનું ભાવવિશ્વ મોટું હોય છે, તે સહજપણે જ આનંદ અપાવે છે. આસ્વાદ એ કળા છે. આસ્વાદ થી કવિતા શીરાની જેમ હૃદયમાં ઉતરી જાય છે.આસ્વાદ કરાવનાર વ્યક્તિ આપણા ભીતરમાં કવિના શબ્દો રળિયાત કરતા હોય છે જે તેમને સ્પર્શી ગયું તે આપણી સમક્ષ મુકે છે અને તેમના શબ્દોને અજવાળવાતા હોય છે.કવિની સાથે હું આસ્વાદ કરવાનાર વ્યક્તિનો આભાર માનું છું.કારણ એ આપણી ભીતર ક્યાંય કશું નવું કે લીલું ઉગાડે છે. -આભાર જયશ્રીબેન.
અનિલભાઈ માટે એટલું જ કહીશ કે કવિ બળે છે તો પણ દુનિયાને અજવાળવા…
સોરી!
by Anil Chavda
(પ્રકૃતિકાવ્ય નહીં લખી શકવા બાબત એક ખેતમજૂરી કરતા કવિની ઉક્તિ)
વહેલી પરોઢે સૂર્યએ પોતાનો ચૂલો સળગાવ્યો
ત્યારે અમે અમારા ટાઢાબોળ ચૂલાની બાજુમાં બેઠા હતા જાગતાં…
એવું નથી કે મને સ્પર્શતું નથી આ મૃદુ ઝાકળ
ગમે છે,
પણ પરોઢના ગર્ભમાં પાંગરેલું આ ઓસ
સુંવાળા ઘાસ પર બેસીને તેની મહાન ગાથા સંભળાવે તે પહેલાં
મારી માના હાથમાં ઊપસી આવેલા ફોલ્લા
એની કથા કહેવા માંડે છે
ઝાકળ પોતાને મોતી સિદ્ધ કરે તે પહેલાં
પગમાં પડેલા ઢીમડાં
પોતાને કોહિનૂર સાબિત કરી ચૂક્યા હોય છે
‘પરોઢે કમલ સરોવરે અંગ જબોળાય’ની કલ્પનાને ટાણે તો
અમે ધૂળમાટીથી રગદોળાઈને થઈ ગયા હોઈએ છીએ પરસેવે રેબઝેબ…
વંદન! વરસતા વરસાદની દોમદોમ સાહ્યબીને બે હાથે વંદન!
પણ મને તો ધોધમાર વરસાદમાં
માથું ઢાંકતા છાપરાની કલ્પના વધારે વહાલી લાગે છે
મને યાદ છે,
એક દી કોલસાની ભઠ્ઠીમાં કામ કરતાં મા દાઝી ગયેલી
એક મોટા અર્ધ વર્તુળાકાર ફરફોલા સાથે ઊપસી આવેલા અનેક ફોલ્લા હાથ પર
મને તેમાં દાઝી ગયેલો ચંદ્ર ને સેંકડો બુઝાતા સિતારા દેખાયેલા
બસ આટલું નાનું (પ્રકૃતિ?) કાવ્ય રચાયું હતું ચિત્તમાં….
મારું કલ્પનાશીલ મો જોઈ માએ પૂછેલું
‘ધરાએલો લાગે છે, કંઈ ખાઈને આવ્યો કે શું?
હું કશું બોલ્યો નહીં,
કયા મોઢે કહેવું કે ભરપેટ ગાળો ખાધી છે શેઠની…
તમે જ્યારે ‘સીમ દોમદોમ તડકામાં નહાય’નું અદ્ભુત કલ્પનાચિત્ર રજૂ કરો છો,
ત્યારે મારી હોજરીમાં તપતું હોય છે એક ગીતનું મુખડું, કે-
‘આખું આકાશ એક ધગધગતો ચૂલો ને સૂરજ એક શેકાતી રોટલી…’
તમે કહો છો,
‘સમી સાંજે સૂરજ કેવા અદ્ભુત રંગો પૂરે છે ક્ષિતિજ પર, નહી?’
આઈ એગ્રી,
લાખલાખ સલામ એના કેસરિયાપણાને!
કિરણોની ફરતી પીંછીને!
પણ અમારા જીવનમાંથી બુઝાઈ ગયેલો સૂર્ય
મને ક્ષિતિજના રંગોની કલ્પના નથી કરવા દેતો…
મને તો તેમાં મારી માના સેંથીના આકાશમાંથી આથમી ગયેલા સૂર્યને કારણે
ભૂંસાયેલા સિંદૂરના લાલપીળા ડાઘા દેખાય છે,
જેને હું કોઈ જ પોતાથી સાફ નથી કરી શકતો…
પ્રકૃતિએ સર્જેલી મસમોટી ઊંડી ખીણ કરતાં
મને પેટનો ખાડો વધારે ઊંડો લાગે છે.
પ્લીઝ! એવું ન સમજતા કે હું પ્રકૃતિનો ચાહક નથી
પણ હાલ પૂરતું
હું તેનું કાવ્ય સર્જી શકું તેમ નથી, સોરી!
– અનિલ ચાવડા
“સોરી” કાવ્ય વાંચતાં જ મારા રોમરોમમાંથી લખલખું પસાર થઈ ગયું….! આ કાવ્યની યુ.એસ.પી. (Universal Selling Proposition) એના દરેક શબ્દોમાં ધબકતી જીવંતતા છે. આ જીવંતતામાં કવિતાની નાડીના ધબકારા છે.કવિતાની પ્રતીતિ તો કવિના નામની નીચે જ, કૌંસમાં લખેલી નીચેની પંક્તિમાં જ કવિ અદભૂત રીતે કરાવી દે છેઃ
“(પ્રકૃતિકાવ્ય નહીં લખી શકવા બાબત એક ખેતમજૂરી કરતા કવિની ઉક્તિ)” – બસ, આખી કવિતાનું કાવ્યત્ત્વ અને કૌવત આ એક પંક્તિમાં સમાઈ જાય છે. આ સાચા અર્થમાં એક માત્ર પંક્તિ કે લાઈન નથી પણ કવિના અંતરમનમાંથી નીકળેલી એક ચીસ છે. કવિને કુદરત સાથે તાદત્મ્ય માણવાનું વણમાગ્યું વરદાન છે, ઈશ્વરના આશિષ છે, એવો કવિ જ્યારે કહે કે “સોરી” પ્રકૃતિકાવ્ય નહીં લખી શકવા માટે – ત્યારે એના હ્રદયમાંથી જે લોહીના આંસુ વહ્યા હશે એનો હિસાબ આખીયે પ્રકૃતિ ભેગી થઈને આપી શકવા સમર્થ નથી.
આમ તો સવાર પડતાં જ મા ચૂલો સળગાવે અને નિત્યક્રમ શરૂ થાય પણ અહીં ખેતમજૂરી કરતાં, સળગતો ચૂલો નસીબ નથી જ થવાનો, એ સમજાતાં જ કવિ સવારના ઊગતા સૂર્ય અને કિરણોના તણખાઓમાં સળગતા ચૂલાની કલ્પના કરે છે. કવિ હ્રદયની માર્દવતાને, ઘાસ પર સુંવાળપની રેશમી રજાઈ પાથરતા ઝાકળની નાજુક ભીનાશ ભીંજવે તે ઈચ્છવા છતાંયે શક્ય નથી. એ પહેલાં જ, માના હાથમાં મજૂરી કરતાં અને બૂઝાયેલો ચૂલો પેટાવવા, હાથથી કોલસા ફંફોસવામાં પડેલા ફોલ્લા પર કવિહ્રદયની સ્નિગ્ધતા અને ભીનાશ પથરાય જાય છે અને તેમાં જ અંતરમનની સઘળી જ શાતા ખર્ચ થઈ જાય છે! આખીયે કવિતા, Paradoxical Environment – વિરોધાભાસી વાતાવરણના આવરણ મહીંથી ડોકિયું કરે છે. નીચેની આ પંક્તિઓમાં એક ટીસ છે જે આ વિરોધાભાસને અત્યંત ખૂબીથી, છતાં, સાવ સહજતાથી કવિતા બનાવે છે.
“પરોઢે કમલ સરોવરે અંગ જબોળાય’ની કલ્પનાને ટાણે તો
અમે ધૂળમાટીથી રગદોળાઈને થઈ ગયા હોઈએ છીએ પરસેવે રેબઝેબ…
વંદન! વરસતા વરસાદની દોમદોમ સાહ્યબીને બે હાથે વંદન!
પણ મને તો ધોધમાર વરસાદમાં
માથું ઢાંકતા છાપરાની કલ્પના વધારે વહાલી લાગે છે!”
કોલસાની ભઠ્ઠીમાં કામ કરતાં માના હાથ ઉપર અર્ધવર્તુળાકારે ઉપસી આવેલા ફોલ્લામાં કવિને “દાઝી ગયેલો ચંદ્ર ને સેંકડો બુઝાતા સિતારા દેખાયેલા” અને કવિ કહે છે કે “બસ આટલું નાનું (પ્રકૃતિ?) કાવ્ય રચાયું હતું ચિત્તમાં…!”.કવિના ચિત્તમાં પ્રકૃતિને માણ્યા વગર જ ઉપસી આવેલા નાનકડા આ “પ્રકૃતિકાવ્ય”ની કલ્પનામાત્રથી આપણી આંખો વરસી પડે છે! રોજમરાના જીવનની વિકરાળ વિષમતા જ્યારે વાઘમુખી બનીને મોઢું ફાડીને ઊભી હોય ત્યારે, એક લાચાર મા, પોતાના બાળકના દર્દને અનુભવીને, એના સરરિયલપણાના પડકારને હકારાત્મકતામાં ફેરવે તોયે કઈ રીતે? આ લાચારીની છબી, નીચેની પંક્તિઓમાં વાંચતાં જ, એ માતાને શતશત પ્રણામ કરતાં મારું મસ્તક ઝૂકી જાય છે.
“મારું કલ્પનાશીલ મો જોઈ માએ પૂછેલું
‘ધરાએલો લાગે છે, કંઈ ખાઈને આવ્યો કે શું?
હું કશું બોલ્યો નહીં,
કયા મોઢે કહેવું કે ભરપેટ ગાળો ખાધી છે શેઠની…!”
અહીં માનો સવાલ કરતાં, શબ્દો વેદનાનું આખુંયે વૈકુંઠ ધરતી પર ઊતારે છે.
કવિને કુદરતને મનભરીને માણવી છે અને કુદરતના સૌંદર્યને સો સો સલામો પણ કવિ કરે છે. તે છતાં પ્રકૃતિને કવિ માણે તોયે કેવી રીતે? અહીં કવિ, કાવ્યમયતામાં ઝબોળેલો એક એવો વિરોધાભાસ સર્જે છે, જેના પર કવિતા ખુદ કુરબાન થઈ જાય! કવિ કહે છે કે, એને સમી સાંજના, ક્ષિતિજો પર રંગોનો બજાર માંડતાં સૂર્યના કિરણો અને રંગોમાં “માના સેંથીના આકાશમાંથી આથમી ગયેલા સૂર્યનેકારણે ભૂંસાયેલા સિંદૂરના લાલપીળા ડાઘા દેખાય છે, જેને કવિ કોઈ જ પોતાથીસાફ નથી કરી શકતો…!” આ કેવી વેદના છે કે કેટલુંયે ઈચ્છવા છતાં, મથવા છતાં, જીવનના પાછલા વર્ષોના ઉંમગો અને અરમાનોના રંગોના લીસોટા મૂકીને ભૂંસાઈ ગયેલા એ રંગોને કોઈ પણ જાતના પોતાથી સાફ કરાતાં નથી, પછી ભલે આ પોતું પ્રેમનું હોય કે સંવેદનાનું હોય!
જ્યારે કવિ કહે છે કેઃ
“પ્રકૃતિએ સર્જેલી મસમોટી ઊંડી ખીણ કરતાં
મને પેટનો ખાડો વધારે ઊંડો લાગે છે.”,
આ વાંચતાં જ મન એકદમ જ સૂન થઈ જાય છે, કદાચ એકવીસમી સદીમાં પણ આ સંભવી શકે છે, એના વિચારમાત્રથી મારું મસ્તક, એક યુગમાં, સાથે જીવતાં, એક “ફેલો” માણસ તરીકે, શરમથી ઝૂકી જાય છે. આ વાંચ્યાં પછી, મારી પાસે કઈં પણ કહેવા, કોઈ પણ ભાષામાં, શબ્દો બચતાં નથી.
છેલ્લી પંક્તિઓ સાચા અર્થમાં કૌંસની લખેલી એ પ્રથમ પંક્તિના કાવ્ય પ્રમેયને જાણે સિદ્ધ કરે છે કેઃ
“પ્લીઝ! એવું ન સમજતા કે હું પ્રકૃતિનો ચાહક નથી
પણ હાલ પૂરતું
હું તેનું કાવ્ય સર્જી શકું તેમ નથી, સોરી!”
જીવનના અંતિમ કિનારા સુધી પોતાના દ્વેષ, ઈર્ષા, ક્રોધ, મોહ, લોભ અને હુંપદને પકડી રાખનારા સહુ માણસોને, ભાઈશ્રી અનિલ ચાવડાની આ કવિતા પડકાર આપે છે કે, “મને વાંચીને તમે, વિચાર્યાં વિના જ જેમ જીવતાં હતાં એમ જ શું જીવી શકશો?”
આ પડકારનો જવાબ દરેક સહ્રદયી વાચકોએ પોતાની અંદર શોધીને, પોતે જ, પોતાને આપવાનો છે.
જ્યારે કવિતા વાંચીને, અંતરમનમાં સત્ય માટેનો એક ખળભળાટ ઊઠે છે તે સમયે કવિકર્મ તીર્થની ચરમ સીમા પર પહોંચે છે. ભાઈશ્રી અનિલ ચાવડાની આ કવિતા સાચા અર્થમાં કવિકર્મની પરમ તીર્થયાત્રા છે.
આ કવિતા વાંચ્યા પછી ઓચિંતી જ અને અનાયસે યાદ આવી ગઈ, અમેરિકન કવિ ડબલ્યુ. એચ. ઓડૅનની “સ્ટોપ ઓલ ધ ક્લોક્સ” કવિતા.
Stop all the clocks – by W. H. Auden**
The stars are not wanted now: put out every one;
Pack up the moon and dismantle the sun;
Pour away the ocean and sweep up the wood.
For nothing now can ever come to any good.
ગુજરાતી ભાવાનુવાદઃ
“સિતારાઓની હવે કોઈ જરૂર નથી, બુઝાવી દો બધા સિતારા!
ચાંદાને એક કોથળીમાં સાચવીને મૂકી દો, સૂર્યના સહુ કળ-પૂર્જા છૂટા પાડી નાખો.
સમંદરને હવે ક્યાંક ઢોળી નાખો અને અરણ્યોને વાળીઝૂડીને સાફ કરી દો!
કારણ, હવે મારા માટે આ બધાંનો કોઈ ઉપયોગ બાકી રહ્યો નથી…!”
(** W. H. Auden- Wystan Hugh Auden – February 1907 to September 1973 – was an English-American Poet.)
કવિશ્રી અનિલભાઈ ચાવડાની આ “સોરી” કવિતાએ ગુજરાતી કવિતાને વિશ્વકવિતાની હરૉળમાં ગૌરવપૂર્ણતાથિ ઊભી રાખી દીધી છે.
Reblogged this on વિજયનુ ચિંતન જગત.
LikeLiked by 1 person
ત્રાજવાનાં એક પડલામાં કવિની કવિતાનાં શબ્દો અને બીજા પડલામાં તેનો જયશ્રીબેને કરાવેલો આસ્વાદ…એક નિ:સ્તબ્ધતા,હૈયુ થંભી જાય છે.પાંપણે સરજાય છે આંસુનાં તોરણ. માના ગર્ભમાંથી નિકળેલું કવિના હૃદયનાં તળીએથી ઉભરાયેલું પરોઢના ગર્ભનું વર્ણન જાણે સૂરજનો ગર્ભપાત થઈને રહી જાય છે,પેટનો ખાડો! અને….સિન્દુરના લાલ પીળા ડાઘા…અને છતાય કવિ કહે છે સોરી! સલામ છે,અનિલચાવડાની કલમને અને તેને ન્યાય આપનાર જયશ્રી બેનને! બસ …વાંચ્યા જ કરીએ!
LikeLiked by 1 person
Jyshriben, kavynu ane aasvadnu aakthpan kryu.abhinndn.
LikeLike
જયશ્રીબેન,
અનિલ ચાવડાની કવિતા જ એક તો એટલી હ્રદયદ્રાવી છે.
આસ્વાદનો એક સીધો સાદો અર્થ છે સ્વાદ લેવો, માણવું, મઝા લેવી રસનો અનુભવ કરવો પરંતુ જ્યારે આવી કારમી પરિસ્થિતિ વિશે વાંચતા જ જો હ્રદયમાં કારમી ટીસ ઉઠે ત્યારે એ પરિસ્થિતિને જીરવતા માનવીની વાતને આપણે કેવી રીતે માણી શકીએ? જેના પેટનો ખાડો પ્રકૃતિએ સર્જેલી ખીણ કરતાં ય ઊંડો હોય, જેને ધોધમાર વરસાદ માણવા કરતાં માથુ ઢાંકે એવું છાપરું વહાલું લાગતું હોય એવા શબ્દો પણ જીરવાતા નથી ત્યારે મનમાં એનું કંપન જ શમતું નથી…… એનો સ્વાદ કે આસ્વાદ કેવો ?
પણ કવિના શબ્દોની વ્યથા તમે હુબહુ વર્ણવી છે એ વાત ખરી….
LikeLike
સોરી……
LikeLike