આ શબ્દ સાંભળતાં કે વાંચતાં કોઈ અલગ જ અનુભૂતિ ઉપસી આવે છે. આપણો પડછાયા સાથે બહુ આત્મીય સંબંધ હોય છે. પડછાયો એક તરફ નકારાત્મક પ્રતિકૃતિનું રૂપ છે; તો બીજી તરફ તે હમ્મેશના સાથીનું સ્વરૂપ પણ ધરાવે છે.
જ્યારે અજવાળું હોય છે ત્યારે જ પડછાયો આપણો સાથી હોય છે. તે કદી અંધકારમાં આપણને સાથ નથી આપતો! સુખ સમયનો જ તે સાથી હોય છે. જેમ પ્રકાશ આપણાથી વધારે દૂર, તેમ પડછાયો લાંબો થતો જાય છે. જ્યારે પ્રકાશ માથા ઉપર હોય છે, ત્યારે પડછાયો સાવ ટૂંકો હોય છે. આ ઘટનાને આપણે અલગ અલગ રીતે મુલવી શકીએ.
એક રીતે જોઈએ તો – જ્યારે આપણો સૂર્ય મધ્યાકાશે હોય; જ્યારે આપણી કાર્યક્ષમતા તેની સોળે કળાએ ખીલી ઊઠેલી હોય; ત્યારે અભાવનો પ્રતિનિધિ એવો પડછાયો લગભગ નગણ્ય સ્વરૂપ ધરાવતો હોય છે. જ્યારે આપણો સૂરજ અસ્ત થવાની તૈયારીમાં હોય છે; ત્યારે પડછાયો તેમજ અભાવ બન્ને બહુ મોટાં મસ બની જતાં હોય છે.
બીજી રીતે જોઈએ તો – પડછાયો આપણી મુશ્કેલ પરિસ્થિતિમાં આપણને વધારે મોટો બનીને સાથ આપે છે. જ્યારે સાથની જરુર ઓછી હોય, ત્યારે તે લગભગ અદ્રશ્ય બની રહે છે. તે યશનો નહીં દુઃખનો સાથી હોય છે.
બીજી એક વાસ્તવિકતા એ પણ છે કે જ્યારે પ્રકાશની તરફ આપણી નજર હોય છે, ત્યારે આપણે પડછાયાને જોઈ શકતા નથી. પ્રકાશથી ઊંધી દિશામાં આપણી નિગાહ હોય ત્યારે જ તેનું અસ્તિત્વ આપણે અનુભવી શકીએ છીએ. જ્ઞાનથી, જાગૃતિથી વિમુખ થઈએ કે, તરત જ અજ્ઞાન અને નિદ્રા ઊભરાઈ આવે.
આંખો મીંચી દઈએ તો? પ્રકાશ પણ ન રહે કે પડછાયો પણ નહીં! અંધ થવામાંય એક જાતની નિરાંત હોય છે! જોઈએ તો દુખ કે સુખ થાય ને? દેખવુંય નહીં અને દાઝવુંય નહીં. અંધારઘેર્યા મધ્યયુગના સમાજની જેમ – નહાવુંય નહીં ને નિચોવવુંય નહીં.
અમેરિકાની સામાન્ય રીતરસમ પ્રમાણે, અમારી બાથરૂમમાં છ દીવાની એક હાર છે. અહીં ઘરની બાથરૂમમાં ટ્યુબ લાઈટો ઓછી વપરાય છે. દીવા (lamp) વધારે. બાથરૂમમાં આ દીવાથી પડતો પડછાયો જૂદી જ જાતનો હોય છે. આપણી આકૃતિના અનેક પડછાયા એકમેકની ઉપર પડતા હોય છે. આને કારણે પડછાયો નહીં પણ, છ પડછાયાનો એક સમૂહ રોજ જોવા મળે છે! જેમ દીવાલની નજીક જઈએ તેમ આ છ યે આકૃ્તિઓ સાવ નજીક આવી જાય, પણ થોડી ભિન્નતા તો રહે જ. જેમ દીવાલથી દૂર થતા જઈએ તેમ, આ આકૃતિઓ એકમેકથી દૂર થતી જાય. પડછાયાઓ પણ વધુ ને વધુ ધૂંધળા થતા જાય. જો દીવાની સાવ નજીક જઈએ તો પડછાયા એટલા બધા વ્યાપ્ત બની જાય કે તે સાવ આછા થઈ જાય છે. અહીં પડછાયાનું સ્વરુપ સાવ જુદી જ જાતનું હોય છે.
જ્યારે વિચારો, દૃષ્ટિબિંદુઓ અનેક હોય ત્યારે પડછાયાની સ્પષ્ટતા જોખમાય છે! જેટલા આવા વિચારભેદની નજીક જઈએ તેટલા તે વધુ અસ્પષ્ટ બની જાય છે. એક જ દીવો હોય; વિચારની એકલક્ષિતા હોય તો પ્રતિબિંબ કે પડછાયો સ્પષ્ટ ઊભરી આવે છે.
રસ્તા ઉપર ચાલતા હોઈએ ત્યારે પડછાયો બહુ અલગ જ રીતની વર્તણૂંક કરે છે. જેમ જેમ આપણે પ્રકાશથી દૂર જતા જઈએ તેમ તેમ તે લાંબો ને લાંબો બનતો જાય છે. આપણા અજ્ઞાનનું તે બહુ જ વાસ્તવિક પ્રતીક છે. જ્યારે રસ્તાની બે લાઈટોની બરાબર વચ્ચે હોઈએ ત્યારે, બે વિચારધારાઓ વચ્ચે અટવાતા આપણા માનસની દ્વિધાનો તે બરાબર પડઘો પાડે છે! બબ્બે પડછાયા આપણને ભુલાવામાં નાંખતા રહે છે – એક કહે ‘ હું સાચો પડછાયો.’ બીજો કહે , ‘ના! હું.’ જેમ જેમ એક લાઈટની નજીક આવતા જઈએ તેમ તેમ તેનાથી પડતા પડછાયાની જ પ્રબળતા હોય છે. ત્યારે બીજી વિચારધારાનો પ્રભાવ ક્ષીણ થતો જાય છે. બે અંતિમ બિંદુઓ વચ્ચે ઝોલા ખાતી આપણી ચિત્તવૃત્તિને તે સાકાર કરે છે.
આપણે એક એવી વ્યવસ્થા કલ્પી શકીએ કે, જેમાં સમસ્ત પર્યાવરણ પ્રકાશના પૂંજથી વ્યાપ્ત હોય. દા.ત. એક મોટો, અનેક લાઈટોથી ઝગમગિત હોલ. ત્યાં પડછાયો ગુમ થઈ જાય છે. ગમે ત્યાં નજર ફેરવો ત્યાં પ્રકાશ જ પ્રકાશ હોય છે. જ્યાં બધેથી પ્રકાશ આવતો હોય, કેવળ સત્ય જ હોય, ત્યાં અજ્ઞાન, અભાવ , અંધકાર , સુપ્તતા સંભવી જ ન શકે. પૂર્ણ જ્ઞાનની, સત્યપ્રકાશની અનુભૂતિ કદાચ આવી હશે?
હવે પડછાયા કળાનો આ વિડિયો જુઓ …
એમાં દેખાતા પડછાયા એક સાવ નવા નક્કોર અભિગમ તરફ અંગુલિનિર્દેશ કરી જાય છે. આપણે પડછાયાને આપણી ચિત્ત વૃત્તિ મૂજબ મૂલવીએ, એ એક વાત છે. પણ એક કલાકૃતિના સર્જન માટે પણ તેનો ઉપયોગ થઈ શકે છે.
આ જણના સોળ સોળ વર્ષના નવરાધૂપ ગાળાની એક નિષ્પત્તિ ‘હોબીઓ તરફ અનુરાગ’ છે. થોડીક પર હાથ અજમાવ્યો છે; પણ આવી અનેક જાતની હોબીઓ હોઈ શકે છે; તેની આછી ઝલક આવું કાંઈક નવું જોઈએ એન પરથી મળે છે.
સામાન્ય પડછાયાના અવલોકનની ભીતર મનના વિચારોની પ્રક્રિયા જ હતી – આ ૬૯ વરસના આયખામાં એકઠા કરેલ શિક્ષણ, સંસ્કાર, અભિગમ, ગમા, અણગમા; અને એવું બધું.
પણ એ સિવાય પણ કશુંક સાવ અલગ હોઈ શકે છે – આ પડછાયા આકૃતિઓના વિડિયો જેવું. મૂળ ચીજ પર ક્યાંથી, કેવો પ્રકાશ પડે અને ક્યાં, કેવી રીતે ઝીલાય – એના આધારે પડછાયા સાવ અલગ જ આકાર ધારણ કરી શકે છે. આપણે કદીયે જોયો કે કલ્પ્યો ન હોય તેવો આકાર. પડછાયો માત્ર જ જોઈએ, તો મૂળ ચીજ કેવી હશે, એનો કોઇ અંદાજ પણ બાંધી ન શકાય.
આપણે અમૂક જ રીતે વિચારવા ટેવાયેલા હોઈએ છીએ. અવલોકનોનો અમૂક જ સિલસિલો હોય છે.
પણ એની આરપાર, સાવ નવું જ વિશ્વ હોઈ શકે છે.
સાવ નવી નક્કોર અનુભૂતિઓ થઈ શકે છે.
પડછાયાનું પણ એક શાસ્ત્ર હોય છે ! આપણી જાગૃત અવસ્થાનો આ હમ્મેશનો સાથી આપણને ઘણું બધું કહી જાય છે.
અને છેલ્લે….
ખરેખર કશુંયે સત્ય હશે ખરું?
કે બધોય માત્ર આભાસ જ?
આ બધા પડછાયાની કની !
એક રીતે જોઈએ તો – જ્યારે આપણો સૂર્ય મધ્યાકાશે હોય; જ્યારે આપણી કાર્યક્ષમતા તેની સોળે કળાએ ખીલી ઊઠેલી હોય; ત્યારે અભાવનો પ્રતિનિધિ એવો પડછાયો લગભગ નગણ્ય સ્વરૂપ ધરાવતો હોય છે. જ્યારે આપણો સૂરજ અસ્ત થવાની તૈયારીમાં હોય છે; ત્યારે પડછાયો તેમજ અભાવ બન્ને બહુ મોટાં મસ બની જતાં હોય છે.
બીજી રીતે જોઈએ તો – પડછાયો આપણી મુશ્કેલ પરિસ્થિતિમાં આપણને વધારે મોટો બનીને સાથ આપે છે. જ્યારે સાથની જરુર ઓછી હોય, ત્યારે તે લગભગ અદ્રશ્ય બની રહે છે. તે યશનો નહીં દુઃખનો સાથી હોય છે.
આજે તો સિક્કાની બંને બાજુનું સાવ નક્કર સત્ય જોવા મળ્યું જેમાં બંને બાજુ પોત-પોતાની રીતે સાચી લાગે. જેવી જેની વિચારસરણી…
LikeLiked by 1 person
બહેન
અનેક રીતે એક ચીજને અવલોકી શકાય ! પણ મજા આમ વિચારતા થવાની છે – નવા દૃષ્ટિકોણથી.
LikeLiked by 1 person
સાચી વાત
અને આપ દરેક વખતે કંઈક અલગ રીતે વિચારીને સરસ વાત મૂકો છો
LikeLike