કામધેનુ
કામધેનુ એટલે ઇચ્છા પૂરી કરનારી ગાયમાતા. કામ એટલે ઇચ્છા અને ધેનુ એટલે ગાય. કામધેનુ એ સમુદ્રમંથન વખતે નિકળેલા ચૌદ રત્નોમાંનુ એક રત્ન છે. જેનામાં કલ્પવૃક્ષની જેમ યાચકની સર્વ ઇચ્છા પૂરી કરવાની શક્તિ હતી. જેમ દેવોમાં વિષ્ણુ, નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે તેમ ગાયોમાં કામધેનુ શ્રેષ્ઠ છે. કામધેનુ ગાયની પુત્રી નંદિની પણ તેની માફક વરદાયિની છે. પુરાણો અનુસાર, કામધેનુ એ દિવ્ય ગાય છે, જેનું દૂધ અમૃત સમાન મનાય છે. તેના વિષે એમ કહેવાય છે કે આ ગાય બ્રહ્મચારી હોવા છતાં તે દૂધ આપે છે અને જ્યારે ઇચ્છા થાય ત્યારે તેને દોહી શકાય તેવી વિશિષ્ટતા છે.
કામધેનુ સાથે ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે. પરશુરામના પિતા, જમદગ્નિના આશ્રમમાં કામધેનુ હતી જેના પ્રતાપે તેમની પાસે પ્રતાપી શક્તિ હતી. આ કામધેનુનું અપહરણ કરનાર હજાર હાથવાળા સહસ્ત્રાર્જુનનો પરશુરામે સંહાર કરી, કામધેનુને આઝાદ કરી હતી. મહર્ષિ વશિષ્ઠના આશ્રમમાં ‘શબલા’ નામની કામધેનુ હતી. વિશ્વામિત્રએ કામધેનુની શક્તિ જોઇને તેની માંગણી કરી. વશિષ્ઠે ના પાડતા યુધ્ધ થયું જેમાં વિશ્વામિત્ર હાર્યા. રઘુવંશની પ્રગતિના મૂળમાં રહેલ દિલીપરાજા પાસે ‘નંદિની’ નામની કામધેનુ હતી.
સૃષ્ટિના નિર્માણમાં સૌ પ્રથમ ગાય ઉત્પન થઇ હતી એટલે વેદ તેને ‘અજાગ્ર’ કહે છે. ગાય એ તો સનાતન ધર્મની કવિતા છે. ગાયના રોમેરોમમાં તેત્રીસ કરોડ દેવી-દેવતાઓનો વાસ હોય છે. ગાયના શરીરમાં સર્વ દેવોની સ્થિતિ દર્શાવતું જે ચિત્ર જોવામાં આવે છે તે કલ્પિત નથી પરંતુ અથર્વવેદ અનુસાર છે.
ગાયોમાં હું કામધેનુ છું એવું શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે. શ્રીકૃષ્ણલીલામાં ગૌચરણનું મહત્વ બતાવ્યું છે. શ્રીકૃષ્ણ ભગવાને જાતે ગૌ-પૂજા કરી, ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ધારણ કર્યો હતો ત્યારે કામધેનુએ પોતાના દૂધથી ભગવાનનો અભિષેક કર્યો હતો.
ચાર પ્રકારની ગાય છે. કામધેનુ, કપિલા, સુરભિ અને કવલી. ગીરગાય, બ્રાઝીલની કામધેનુ સિધ્ધ થઇ છે. વિદેશી જર્સી ગાયો કરતાં ભારતીય ગાયો વધુ સાત્વિક હોય છે. આજના યુગમાં કામધેનુ ના હોય પરંતુ ગાય માત્રને કામધેનુ ગણવી જોઇએ. સોલા ભાગવત વિદ્યાપીઠની ગૌશાળામાં રોજ સાંજે ગાયની આરતી થાય છે. દિવાળી અને મકરસંક્રાંતિમાં ગાયને ઘાસ ખવડાવવાનુ, તેનુ પૂજન કરવાનું અને ગૌસેવાનું મહાત્મ્ય છે. વ્યક્તિગત અને સામૂહિક રીતે ધાર્મિક, સામાજીક સંસ્થાઓ દ્વારા ગાયોનું સંવર્ધન થાય તે ખૂબ જરૂરી છે.
વૈદિક ભારતીય સંસ્કૃતિની પરંપરા પ્રમાણે ગાયોનું મુખ્ય સ્થાન લોકોનું આંગણું છે અને ત્યાંજ ગાય કામધેનુ છે. ‘જેને ઘેર તુલસી ને ગાય તેને ઘેર વૈદ્ય ન જાય’. તેના દૂધ દ્વારા પોષક તત્વો મળે છે. તે આરોગ્યનું રક્ષણ કરે છે અને ખેતી માટે બળદ પણ આપે છે. ચરકે સુશ્રુતના ગ્રંથોમાં તેમજ વાગ્ભટ્ટસંહિતા મુજબ ઔષધીઓ બનાવવા માટે પંચગવ્યને મહત્વ આપ્યું છે. તેના છાણમાં લક્ષ્મીજીનો વાસ હોય છે જ્યારે ગૌમૂત્રમાં ભગીરથી ગંગા વહે છે. ગાયનાં છાણાને બાળવાથી વાતાવરણ શુધ્ધ થાય છે માટે અગ્નિહોત્રમાં ગાયના છાણાનો ઉપયોગ થાય છે. મહાભારતમાં કહ્યુ છે કે કોઇપણ વ્યક્તિ કોઇપણ વિષયનું વાંચન ગાયની પાસે બેસીને કરે તેને તે વિષય આત્મસાત થઇ જાય છે કારણકે ગાય હંમેશા ભાવતરંગો છોડતી રહે છે. એને લીધે આપણું મન સ્થિર, સંયમમાં રહે છે. ગાય સામે મળે તે શુકન કહેવાય. ગાયની આંખમાંથી નિકળતા આસું અપશુકન કહેવાય. મૃતક પાછળ ગાયનુ દાન સર્વશ્રેષ્ઠ ગણાય છે જે મૃતકને વૈતરણી નદી પાર કરવામાં સહાયક બને છે. તેવું માનવામાં આવે છે. ગાયના પૂંછડાની પૂજા કરવામાં આવે છે. મૃત્યુ બાદ શબને ગાયના છાણનું લીંપણ કરી, તેની ઉપર સૂવડાવવામાં આવે છે જેથી વ્યક્તિ અનેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મેળવી દેવલોકને પ્રાપ્ત કરે છે.
કામધેનુ એટલે મનોકામના પૂરી કરનારી એક કલ્પિત ગાય. યથાર્થગીતામાં કહ્યું છે, કામધેનુ કોઇ એવી ગાય નથી જે દૂધની જગ્યાએ મનપસંદ વાનગી પીરસતી હોય. વસ્તુતઃ ‘ગો’ ઇન્દ્રિયોને કહેવામાં આવે છે. ઇન્દ્રિયો પરનુ નિયંત્રણ ઇષ્ટને વશમાં રાખનારમાં હોય છે. જેની ઇન્દ્રિયો ઇશ્વરમાં સ્થિર થઇ જાય છે તેને કશાની જરૂર રહેતી નથી. તેજ સાચા અર્થમાં કામધેનુ છે. પ્રાર્થના કામધેનુ છે. જેનાથી નિર્ભયતા અને આત્મશુધ્ધિ થાય છે. ભક્તિ, વિદ્યા અને કર્મ કામધેનુ સમાન છે. એને દોહતા આવડે તો આનંદરૂપી દૂધ મળે છે. ગીતાને કામધેનુ કહે છે. ગીતાનું દોહન કરનારને તમામ સમસ્યાનું સમાધાન થઇને ઇશ્વર પ્રાપ્તિ થાય છે.
આપણી ગાયમાતા એ આપણી પરંપરા છે. એંઠવાડો ઉલેચતી અને કચરો કે પ્લાસ્ટિક ખાતી, રઝળતી અને કપાતી ગાયોનું રક્ષણ કરવું એ દરેક ભારતીય નાગરિકની ફરજ છે. ગૌસેવાનાં દિવડાં પ્રગટી, અજવાળા રેલાય તે જ જરૂરી છે. કામધેનુ સ્વરૂપ ગૌમાતાને આપણાં વંદન. ‘વંદે ગૌ માતરમ્’
આપણે તો ઋષિકેશમાં ય કામધેનુ દીઠી નથી !
અમેરિકન ગાયો દેશી ગાયમાતાઓ કરતાં વધારે રૂષ્ટ પુષ્ટ કેમ હોય છે?
LikeLike
સાચી વાત છે.અમેરિકન ગાયો રુષ્ટ પુષ્ટ હોય છે માટે તેને માત્ર ગાયો કહીએ છીએ,જયારે દેશી ગાયો સાત્વિક હોય છે,માટે તેને ગાયમાતા કહીએ છીએ .
LikeLike
ગુરૂમાતા કલ્પનાદેવીનો જય હો !!
LikeLike
પ્રણામ દાવડા સાહેબ.આભાર.
LikeLike
આયુર્વેદમાં ગાયના દૂધ, દહીં, માખણથી માંડીને ગોમૂત્ર અને છાણની પણ મહત્તા જોવામાં આવે છે. પૌરાણિક કથાઓમાં કામધેનુની વાતો આવતી પરંતુ અહીં તમે કામધેનુનો આ જે સૂક્ષ્મ અર્થ મુક્યો છે કે………
“પ્રાર્થના કામધેનુ છે. જેનાથી નિર્ભયતા અને આત્મશુધ્ધિ થાય છે. ભક્તિ, વિદ્યા અને કર્મ કામધેનુ સમાન છે. એને દોહતા આવડે તો આનંદરૂપી દૂધ મળે છે. ગીતાને કામધેનુ કહે છે. ગીતાનું દોહન કરનારને તમામ સમસ્યાનું સમાધાન થઇને ઇશ્વર પ્રાપ્તિ થાય છે.”
એ વર્તમાન સમયમાં વધુ ઉચિત લાગે છે….
LikeLike
Thanks રાજુલબેન.
LikeLike
dharmik.poranik ullekho sathe sudr lekh che.
LikeLike
Thanks Tarulataben
LikeLike