
પ્રજ્ઞાબેન કુશળ હશો. આજે બુદ્ધપૂર્ણિમા છે, તેનાં સંદર્ભમાં મારી એક પ્રકાશિત વાર્તા મોકલું છું.
સુખ – એક મૃગજળ
—————————
સિદ્ધાર્થ આજે ઉદાસ હતો, નિરાશ હતો,ચિંતિત હતો. આજે રવિવારની રજા હતી. ટ્રેનમાં ઘેંટા-બકરાની જેમ પીસાવાનું ન હતું. તો પણ વગર વાંકે ગઈ કાલે શેઠે આપેલો ઠપકો અને પત્નીએ મારેલું મહેણું એને અકળાવતાં હતાં. બહારની તાજગીભરી હવામાં એણે ફરી આવવાનું નક્કી કર્યું. હજુ તો બહાર પગ મૂકે તે પહેલાં જ પત્નીએ સૂચન કર્યું ” માસા કેન્સરના આખરી તબક્કામાં છે,બને તો એમની ખબર કાઢતાં આવજો.” જવાબ આપ્યા વગર એ નીચે ઉતરી ગયો. ગજવામાં પચાસની નોટ અને પરચુરણ હતું તો યે પાંચ રૂપિયા બચાવવા એણે ચાલીને હોસ્પિટલ જવાનું નક્કી કર્યું. ચાલતાં ચાલતાં એ વિચારોની દુનિયામાં ખોવાય ગયો.
‘ જિંદગી….શું આ જ જિંદગી છે ? પૈસા કમાવવાની લાયમાં દિવસો,મહિનાઓ અને વર્ષો વિતી જાય.અચાનક જ એ દોડમાં શ્વાસ બંધ થઈ જાય કે પછી કોઈ જીવલેણ બીમારી ધીરે ધીરે શ્વાસ બંધ કરી દે. બધું જ અહીં રહી જાય. ગરીબ સુખી નથી તો પૈસાદાર પણ ક્યાં સુખી છે ?લાગણી,પ્રેમ અને સંવેદના શું માત્ર શબ્દકોષના જ શબ્દ બની ગયાં છે ? પૈસો જરૂરી છે પણ શું એની આગળ બધું જ નકામું છે ?શું આ ચક્ર ક્યારે ય નહીં તૂટે ? ‘ પણ એની વિચારધારા અવશ્ય તૂટી. મરવાનાં વાંકે જીવતાં એ વૃદ્ધ ભિખારીની ટહેલ “ભગવાનના નામે કંઈક આલો શેઠજી ” સાંભળીને એ અટક્યો. શેઠજી શબ્દને વાગોળતાં ગજવામાં હાથ નાખી પાંચનો સિક્કો કાઢીને ભિખારીના પાત્રમાં મૂકી દીધો. ફરી એ વૃદ્ધ ભિખારીએ કંપતા અવાજે કહ્યું “ભગવાન તમને સદા સુખી રાખે. “સિદ્ધાર્થે હસતાં હસતાં વિચાર્યું ‘સુખ એક મૃગજળ અને મૃગજળ ક્યારે યે તરસ ન છીપાવી શકે.’
એ વૃદ્ધ ભિખારીના કરચલીઓથી ભરેલાં ચહેરાને,લબડી ગયેલાં હાથ-પગને અને ઊંડી ઉતરી ગયેલી લાચાર આંખોને ભૂલાવવા એણે ઝડપથી ચાલવા માંડ્યું. હોસ્પિટલના પગથિયાં ચઢતાં ચઢતાં એક અજીબ પ્રકારની વાસને અનુભવતો રહ્યો. માસા ઇન્ટેન્સિવ કેર યુનીટમાં હતાં.અંદર જવાની મનાઈ હતી. કાચના એ ગોળાર્ધમાંથી એણે અંદર નજર નાખી. મોઢા પર શ્વાસ લેવા માટે માસ્ક હતું. ગળામાં ખોરાક લેવા માટે નળી હતી.હાથમાં ઇન્જેક્શન આપવાં માટે નળી હતી. પેશાબ આપોઆપ નીકળી જાય તે માટે નળી હતી.એવી તો બીજી કંઈક કેટલીયે નળી એનાં શરીર પરથી કોઈ યંત્ર સાથે જોડાયેલી હતી. એક ક્ષણ માટે તો તેણે થયું કે આ માણસ છે કે યંત્ર છે. યંત્ર ચાલતું રહે તેને જીવન કહેવાય ખરું ? ત્યાં જ મુલાકાતનો સમય પૂરો થવાની ઘટડી વાગી અને એ યંત્રવત બહાર આવી ગયો. એક મિનિટ માટે માસીને ખોટો દિલાસો આપી એ ઝડપભેર દાદર ઉતરી ગયો.
હોસ્પિટલથી નીકળીને રસ્તા પર ઉતાવળે ચાલવા લાગ્યો. તેની ઝડપ હજુ વધે તે પહેલાં સામેથી આવતાં અવાજો ‘રામ બોલો ભાઈ રામ’ સાંભળીને અટકી ગઈ. કોઈ પચ્ચીસેક વર્ષની આસપાસના યુવાનની નનામી જઈ રહી હતી. સિદ્ધાર્થને તેની સાથે કોઈ સંબંધ ન હતો તો પણ તેણે બે હાથ જોડીને વંદન કર્યા અને મનોમન વિચાર્યું ‘ચાલો, શુકન થયાં’.પણ પછી પોતાના જ વિચારોથી એને જાત પર નફરત થઈ આવી અને તે બાજુની હોટલમાં ઘૂસી ગયો. સિગારેટનો ઊંડો કશ લેતા તેણે વિચાર્યું ‘બધે દુઃખ ને દુઃખ જ છે. બધાં જ દુઃખી છે ‘ને પછી હાથમાં રહેલાં બીયરના ગ્લાસને ઉંચો કરી બોલ્યો’ Three cheers for the life’ અને એક જ શ્વાસે એ બીયર પી ગયો. તે જ વખતે કાઉન્ટર પર રહેલી બુદ્ધની પ્રતિમાએ ભીતરને ભીતર રડી લીધું.
રોહિત કાપડિયા
સરસ લેખ. વાંચકને પકડી રાખવાની કુશળતા માટે કહેવું પડે! વાર્તાનો અંત એકદમ આક્રર્ષક! લેખકને અને આપને અભિનંદન.
LikeLike
You should listen to Haribanshrai Bachchan ji’s poem on this recited by Amitabh Bachchan ji.
That’s what has happened to Bhagwan Buddha’s realization!
Nikhil
LikeLike
રોહિતભાઈ.. આપણાં જેવા અનેક સિદ્ધાર્થ સ્મશાનવૈરાગ્ય અનુભવીને ભૂલી જઈએ છીએ. વાર્તા સરસ રહી. પણ આજના સંદર્ભે જોઈએ તો પચાસ રૂપિયામાં બીયર મળવી અસંભવ છે.
LikeLike