મનની મોસમ – લલિત નિબંધ (11)” સુખ-સ્વાનુભૂતિ ”’

 

 

 

 

 

 

 

 

 

ખલિલ જિબ્રાને લખેલી એક સાવ નાનક્ડી વાત યાદ આવે છે-એક બાદશાહ એકવાર બિમાર પડયો એનો રોગ કોઇ રીતે મટતો નહોતો.એ વખતે એક ફકિરે આવીને કહ્યું કે,બાદશાહના રોગનો ઇલાજ એક જ છે.જો કોઇ સુખી માણસ્ નું પહેરણ લાવીને બાદશાહને પહેરાવવામાં આવે તો રોગ તરત મટી જાય.

ઇલાજ સાંભળવામાં તો સાવ સરળ લાગ્યો હતો.દેખીતી રીતે એમાં કોઇ મોટો ખર્ચ કે મોટી મુશ્કેલી નહોતી.પરંતુ બાદશાહના સેવકોએ સુખી માણસના પહેરણની શોધ કરીત્યારે ખબર પડી કે કોઇ વ્યક્તિ પોતાની જાતે સુખી માનતી જ નહોતી.આખરે બહુ  શોધખોળના અંતે એક સુખી માણસ મળી આવ્યો. એ માછીમાર હતો.મસ્તીથી જીવતો હતો અને પોતાની જાતને સુખી માનતો હતો.પણ જોવાની ખુબી એ હતી કે એની પાસે પહેરવા કોઇ પહેરણ જ નહોતું.

અનાદિ કાળથી માણસ  સુખની શોધમાં અટવાયેલો જ છે.દરેક ના મનમાં સુખનું એક કાલ્પનિક ચિત્ર  આલેખાયેલુ હોય છે જે ક્યારેય સુરેખ તો હોતું જ નથી.

ફિલસુફ બર્ટ્રાન્ડ રસેલ એકવાર ઊંડા ચિંતનમાં ડૂબેલા બેઠા હતા.એક મિત્રે આવીને પુછયું આટલા બધા તલ્લીન થઇને શા વિચારમાં પડ્યા છો? રસેલે જવાબ આપ્યો ”મેં એક વિચિત્ર શોધ કરી છે. જ્યારે જ્યારે હું કોઇ જ્ઞાની સાથે વાત કરું છું ત્યારે મને પ્રતિતિ થાય છે કે સુખની હવે ક્યાંય શક્યતા રહી જ નથી,અને જ્યારે મારા માળી સાથે વાત કરતી વેળાએથી ઉલટી જ વાતની ખાતરી મને થાય છે”.

મતલબ સુખની સતત શોધ અથવા સુખ વિશેના સતત વિચારોથી સુખ પ્રાપ્ત થવાની શક્યતા  નહિવત છે. પણ જ્યારે જે સમયે સંજોગો જે કામમાં પુરેપુરા વ્યસ્ત થઈ જવાથી અને વિચાર શૂન્યતાની સ્થિતિમાં કદાચ વધુ આનંદ રહેલો છે. જ્યારે જે મળ્યું છે તે માણી લેવાની સ્થિતિ કદાચ સુખ પ્રાપ્ત થવાનો રસ્તો તો હોઇ જ શકે. સુખની અનુભૂતિના મૂળમાં સંતોષવૃત્તિ મહત્વની  છે.

નરસીંહ મહેતાએ ગાયું છે તેમ ”ભલુ થયું ભાંગી જંજાળ,સુખે ભજશું શ્રીગોપાળ” જોકે નરસીંહ મહેતા જેવી તટસ્થતા તો કદાચ ભાગ્યેજ કોઇના મનમાં ઉદ્દભવે.પરંતુ જે આપણું છે તે જ સાચું છે તેમ માની લેવાથી સુખના સીમાડાની સરહદે તો ચોક્કસ પહોંચી શકાશે.

હજુ સુધી દુનિયામાં સુખી થવા માટે ની કોઇ પ્રિસ્ક્રીપ્શન લખાયુ કયારેક જોયું? નહીંતો આટ્લા પ્રગતિશીલ વિજ્ઞાન તેમજ મેડીકલ સાયન્સમાં સુખી થવા માટે ની પેટન્ટ તો કોઇએ ચોક્ક્સ પોતાના નામે કરી જ હોત. સુખ નામનો ગુણ માત્ર આત્મામાં જ છે.આત્માના અનંતા ગુણો છે. અને આ અનંત ગુણોમાંના પ્રત્યેક ગુણમાં સુખનો અનુભવ કરી શકાય. કોઇપણ ભાર વગર જ્યારે આત્મા નિજાનંદમાં મસ્ત બને ત્યારે સુખની શરુઆત થઇ કહેવાય.એક નાનકડું પણ સુંદર વાક્ય-”happyness is a perfume,you cannot pour on other without getting a few drops on yourself”.

માણસ જો પોતે અંદરથી ખુશ હશે સુખી હશે તો બીજાનો આનંદ-સુખ સમજી કે સહી શકે.બાકી તો કોઇના સુખે સુખી તો માત્ર ફકીરો કે સાધુ સંતો હોઇ શકે.

દુનિયાનો એક ક્રમ છે માણસ હંમેશા પોતાના જીવનમાં જો સૌથી વધુ જેની ઝંખના કરતો હોય તો તેને સુખ,સમૃધ્ધિ, સ્વતંત્રતા અને મનની શાંતિ આ તમામ જો કોઇને આપી શકતા હોઇએ તો તે આપણને પણ એટલીજ  માત્રામાં સામા મળી જ રહેતા હોય છે.

સુખ નામનું પતંગિયુ,જેટલું તેને પકડવા મથો એટલું તમારાથી દુર ઉડતું જાય.પણ જો તમે શાંતિથી મનના ઉધમાતોથી દૂર રહી શકો તો કદાચ શક્ય છે એ આવીને ગુપચુપ તમારામાં ગોઠવાઇ જાય.

સુખી થવાના સો કિમીયા હશે પણ કોને ખબર ક્યારે કોને તે અનુરુપ આવે તે જાતે નક્કી કરવાનું છે.ક્યારેક નાના નાના આયાસો પણ સુખની અનુભૂતિ કરાવી જાય. પાંચ પકવાન ખાઇને જે સંતોષ ન થઇ હોય તેના કરતા વધુ સંતોષ કયારેક કોઇ જરુરતમંદ બાળકને બ્રેડ કે બિસ્કીટ આપીને એના ચહેરા પરના આનંદને જોઇને પણ મળી જાય.

ક્યારેક કલાકો ઇશ્વર ભકિતમાં ગાળ્યા હોય પણ ધરવ ન થાય અને અચાનક થોકબંધ માણસો વચ્ચે અલપ ઝલપ થઇ જતા દર્શન પણ અવર્ણનિય સુખ આપી જાય.

સુખનો સમય  નિશ્ચિત નથી.ક્યારે કોને ક્યા સ્વરુપે પ્રાપ્ત થશે તે  નિશ્ચિત નથી પણ એટલું તો   નિશ્ચિત છે કે સુખ અંદરની સ્થિતિ છે. સુખ અંતરની અનુભૂતિ છે.

વ્યક્તિના મનની મોસમ બદલાતી રહે એ પ્રમાણે સુખની વ્યાખ્યા પણ કદાચ બદલાતી રહે. શક્ય છે જીવનના દરેક તબક્કે સુખની પરિસીમા પણ બદલાતી રહે પરંતુ એક વાત તો નિશ્ચિત છે કે જે સુખ પરમ છે એ તો ક્યાંક મનના કે હ્યદયના ખૂણે જ ધરબાયેલું છે. મનની મોસમ અદલ-બદલ થતી રહે પરંતુ સુખ અંતરની અનુભૂતિ છે , સુખ સ્વાનુભૂતિ છે એ જ સત્ય છે.

રાજુલ કૌશિક 

 

2 thoughts on “મનની મોસમ – લલિત નિબંધ (11)” સુખ-સ્વાનુભૂતિ ”’

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.