ભીડભાડ માં થી મારા ચાર વર્ષના દીકરા વ્રજેશને લઈને દર્શન કરી હું બહાર નીકળી , આસ્થા મુજબ દર્શન કર્યાનો સંતોષ હતો , મન આનંદિત હતું અને એકાગ્રતાથી પ્રસાદ અને દીકરાએ પકડેલી આંગળી સાચવતી , ભીડ ચીરતી હું બહાર આવી ….મારું ધ્યાનભંગ થયું ; વ્રજેશ મારી સાડી જોરથી ખેંચી રહ્યો હતો….” ગિરદીમાં હેરાન ન કર બેટા , ચાલ બહાર નીકળી જઈએ ” .” મા , મા ” એના સ્વભાવ પ્રમાણે જીદ ના છોડી … “આ દાદા કોણ છે ?” રઘવાટમાં પણ એની જીજ્ઞાસા સંતોષવા મેં ધીરેથી કહ્યું કે ; “બેટા, ભિખારી કહેવાય, અહી ઓટલે બેસે માંગે અને ખાય “.” રાત પડી ગઈ છે તો ઘરે કેમ જતા નથી ?” પ્રતિપ્રશ્ન તૈયાર હતો .”ના બેટા,એમને ઘર ન હોય!”.”મા , અંદર ભગવાન સરસ ઘરમાં બેઠા છે !”…”એને મંદિર કહેવાય!””ત્યાં તો એની પાસે એ.સી. ….””હા,એ તો ભગવાનને ભક્તો સાચવે ને ?” “એ તો પથ્થરના છે , શરીર તો આ દાદાને છે ,એમને કેટલું દુઃખ થતું હશે ?” …….
મારા હાથમાંથી પ્રસાદ પડતા પડતા રહી ગયો ….!!!
અર્ચિતા દીપક