“કારણ”
આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
પાંદડે ભેગું કરેલું તેજ છે.
આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
આંખને ખૂણે હજીયે ભેજ છે.
આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
શબ્દ પોતે ક્યાં સુંવાળી સેજ છે ?
આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
એક ખુરશી છે ને સામે મેજ છે.
વાયુંમાં વિશ્વાસનું કારણ હતું –
વણહલેસે વ્હાણ તો ચાલે જ છે.
ખ્યાલ કર પુષ્પો ભરેલી ડાળનો,
એ તને શણગાર તો આપે જ છે.
બેય આંખો સાવ કોરી રાખજે,
રોજ ઝાકળ રાતના આવે જ છે.
હું ય દેખાતો હતો આ દર્પણે,
ઓરડો આ વાત ક્યાં માને જ છે ?
જ્યાં સુધી ‘ઇર્શાદ’ નામે જણ જીવે,
લાગણી પૃથ્વી ઉપર તો છે જ છે.
– ચિનુ મોદી ‘ઇર્શાદ’
ચિનુ મોદી જેવા ગઝલ સમરાટ્રની ગઝલનો આસ્વાદ કરાવવો, એ કોઇ દિવસ દરમ્યાન ચાલુ રહી ગયેલ શેરીની બત્તી,સૂર્યનો પ્રકાશ સમજાવી રહી હોય તેવી વાત થઇ..ચીનુભાઇ અંતરમાં ભંડારેલ .સંવેદનાને પોતાની આગવી શૈલી અને મિનાકારીથી શણગારી અર્થસભર ગઝલની રચના આપણને આપે છે. એમાની એક રચના” કારણ” નો આસ્વાદ મારી સમજણ પ્રમાણે રજુ કરવાનો પ્રયત્ન કરું છું
પહેલા ચાર શેરમાં પ્રથમ પંક્તિના કાફિયા રદીફ સરખા છે.
પહેલા શેરની બીજી પંક્તિ
“પાંદડે ભેગું કરેલું તેજ છે.”
ગઝલ લખવાનું કારણ બતાવ્યું.
જેમ વૃક્ષ તેના લીલા છમ પાંદડાથી શોભાયમાન છે. આ પાંદડા સૂર્યના તેજ કિરણોથી લીલાશ મેળવે છૅ. પાનખર ઋતુમાં લીલા પાન રંગ બદલે જ્યાં સુધી તેની અંદર ભેગું કરેલ તેજ હોય, થોડા સમય માટે જ, છેવટૅ સુક્કા ભટ્ટ ખરી જ પડે વૃક્ષ પાન વગરનું નિર્જીવ ઠુંઠુ.
તેમ મનુષ્યના ભીતર રહેલ આત્માનું તેજ, પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય માં એકત્ર થયેલ છે,તેનાથી જ આપણે સહુ દરેક જાતનું કાર્ય કરી શકીએ છીએ ,નિશ્ચેતન દેહ સાવ નકામો બની જતો હોય છે, જેને અંતિમ અગ્નિ સંસ્કાર આપી વિદાય કરાય છે.
કવિશ્રીની હ્રદય ગુહાની સંવેદનાઓ જે બીજા શેરની બીજી પંક્તિ,
“આંખને ખૂણે હજીએ ભેજ છે” માં જણાઇ છે
તે કાગળ પર કવિશ્રીની કર્મેન્દ્રિયથી વહેતી થાય છે.
ત્રીજા શેરની બીજી પંક્તિ્,
શબ્દ પોતે ક્યાં સુંવાળી સેજ છે.
બીજા કામોમાં વ્યસ્ત રહેવાથી, પોતાની અંદર વલોવાતી લાગણી, સંવેદનાઓ ભીતર શાંત રહે છે, જે રાત્રીએ પથારીમાં કાયા લંબાવે છે ત્યારે માનસ પટ પર આવે છે, સંવેદનાઓના શબ્દો જાણે સેજ બની જાય છે, જે કવિશ્રીની નિદ્રા હરી લે છે જાણે ખુંચવા લાગે છે,,હવે તો બસ એક જ ઉપાય સંવેદનાના શબ્દો કાગળ પર વહેતા મુકવા.કવિશ્રી પાસે ખુરશી અને મેજ તૈયાર જ છે, કાર્ય કરવાનું કારણ!
હવે પાંચમો શેર જોઇએ
વાયુમાં વિશ્વાસનું કારણ હતું –
વણ હલેસે વહાણ તો ચાલે જ છે
અનુકુળ પવન સાથે પરમ કૃપાળુ પરમાત્મા પર વિશ્વાસ હોય તો વહાણને હલેસાની જરૂર નથી.
જ્યાં સુધી અનુકુળ વાયુ જીવનની ગતિ ચાલુ રાખવા મળતો રહે છે જીનન નૈયા સરળતાથી આગળ ગતિ કરે છે,કવિશ્રી અહી પોતાનો ઇશ્વર પરના અટલ વિશ્વાસની વાત કરી રહ્યા છે.
“ખ્યાલ કર પુષ્પો ભરેલી ડાળનો
ઍ તને શણગાર તો આપે જ છે”
કવિશ્રી અહીં વૃક્ષને તેની પુષ્પોથી લચી પડેલી શાખાનો ખ્યાલ, રાખ્વાનું કહે છે, જે વૃક્ષનો શણગાર છે.
આ કાયા રૂપી વૃક્ષનો શણગાર તેની વિવિધતાના પુષ્પો ભરેલ યુવાની છે, તેનો ખ્યાલ કર, તે તને તારી જીંદગીની કોઇ પણ અવસ્થામાં શણગાર આપે જ છે મોટી ઉમરમાં એકલા થઇ ગયા હોઇએ ,મન કોઇવાર ઉદાસી અનુભવે ત્યારે આ વિવિધતા જે તમે કવિતા, સંગીત, ચિત્રકલા નૃત્યકલા કે બીજા કોઇ પણ ક્ષેત્રમાં હાસલ કરેલ છે, તેને યાદ કરો તેને જીવંત રાખશૉ તો તેજ તમારો શણગાર છે.
“બેય આંખો સાવ કોરી રાખજે
રોજ ઝાક્ળ રાતના આવે જ છે”
દિવસ દરમ્યાન જવાબદારી નિભાવતા જવાની કદી આંખોમાં થાક કે અશ્રુ નહીં.સાવ કોરી આંખો.
શાંત રાત્રીના છુપાયેલ, સંવેદનાઓ ઝાકળ બિંદુની જેમ ટપકે છે કાગળ પર!!
તેમન પત્ની હંસાબેનની સંવેદનાઓ ઝાકળ બની ઓશીકુ ભીંજવતી હશે!!!
“હું ય દેખાતો હતો આ દર્પણે
ઓરડો આ વાત ક્યાં માને જ છે?”
ઑરડામાં પોતાની હાજરી હતી, તેના પુરાવો દર્પણમાં પોતાની તસ્વીરના પ્રતિબિંબને હાજર કરે છે,જુઓ હું જ છું, પણ ઓરડો તસ્વીરના પ્રતિબિંબને સાચુ નથી માનતો, ઓરડો આવું જુઠાણું માને ખરો? ઍતો પોતાની એકલતા જ રજુ કરે છે.
હવે છેલ્લા શેરમાં પોતે લાગણીથી ભરપુર છે, લાગણી સંવેદના વગરના કોઇ કવિ હોય જ નહી.
“જ્યાં સુધી ઇર્શાદ નામે જણ જીવે
લાગણી પૃથ્વી ઉપર તો છે જ છે”
દરેક માનવમાં લાગણી છે, કોઇમાં સર્જનાત્મક લાગણી, જે નવીન સર્જન જગતને અર્પે.આવી લાગણીઓ કવિ લેખક ચિત્રકાર સંગિતકાર વૈજ્ઞાનિક પાસે હોય જેને પોતાની બુધ્ધિથી વિકસાવે અને નવી નવી કૃતિઓ જગતને આપે.આવા માનવ પૃથ્વી પર હંમેશ જીવંત રહે અને તેઓની લાગણી.એ શુભેચ્છા સાથે વિરમુ.
અસ્તુ
ડૉ.ઇન્દુબેન શાહ.
આ મારો બીજો પ્રયત્ન છે, પ્રથમ પ્ર્યત્નમાં કવિ કલાપીના “એક ઇચ્છા” કાવ્યનો આસ્વાદ કરેલો.
મારી સમજણ અને થોડુંક ચીનુભાઇ વિષે જાણું છું તેના આધારે આ આસ્વાદ કરેલ છે,ભૂલચૂક માફ કરશો.