ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણપણે સ્વીકાર
જે જડ નથી તે ચેતન છે. પ્રાણ, ચેતના, ઉર્જાથી જે સભર છે તે ચૈતન્ય છે. આપણામાં વહેતી ચેતનાનો વિસ્તાર કરી વિશ્વવ્યાપી ચેતના સાથે એટલેકે આત્માને પરમાત્મા સાથે જોડી દઇને, એની શક્તિનો વિચાર અને ભાવ દ્વારા વારંવાર અનુસંધાન કરવાથી ભગવદ્તત્વની વધારે પ્રતિતિ થશે. અને તેની કૃપા આપણા પર અવિરત વહેશે. અને જીવનમાં પરમાત્મા પ્રગટ થશે. આ માટે ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણપણે સ્વીકાર જરૂરી છે.
જગત અને જગત નિયંતા જુદા નથી. કપાસ કપડું બને, લાકડું ખુરશી બને, ઘંઉ રોટલી બને પછી કપડું, ખુરશી અને રોટલી જ દેખાય છે. કપાસ, લાકડુ અને ઘંઉ ના દેખાય. એમ પરમાત્માનું જગતમાં રૂપાંતર થયા પછી પરમાત્મા ક્યાંથી દેખાય? માટે સમસ્ત વિશ્વમાં, પ્રાણીમાત્રમાં પરમાત્માનો અનુભવ કરો.
માનવી તો અખિલ બ્રહ્માંડનો એક અંશ માત્ર છે. બધુંજ ગોઠવે છે એ ચૈતન્ય સ્વરૂપ કરતાર. જરા વિચાર્યુ છે, એ કર્તા કોણ છે? માનવીનું શરીર ચાલે છે, જીવન ચાલે છે, સૂતાં-જાગતા એના શ્વાસ ચાલ્યાજ કરે છે. અરે! શરીરમાં નખ થી શીખ સુધી લોહીનું ભ્રમણ કોઇ પણ પમ્પ વગર થાય છે! ક્યારેય વિચાર્યુ છે દિવસ-રાતનું વર્તુળ, સૂર્ય ચંદ્રનું પરિભ્રમણ, તારાઓ, ગ્રહો-નક્ષત્ર અને તમામ અવકાશી પદાર્થોની ગતિ! બધુંજ સમયસર, નિયમિત, અથડાયા વગર ચાલે છે. કોનાથી ચાલે છે? કોણ ચલાવે છે? માનવી તો ઇશ્વરે સર્જેલી સમગ્ર વ્યવસ્થાનો એક ભાગ છે. એની યોજનાથી જ માનવીનાં શરીરમાં શ્વાસની આવન-જાવન ચાલ્યા કરે છે. આમ કર્તા ઇશ્વર છે. શરીર કાંઇજ કરી શકતું નથી. શરીર શું કરી શકે? જે પળે એ જીવાદોરી, શ્વાસ ખેંચી લેશે ત્યારે શરીર એક નિષ્પ્રાણ, જડ શબ બની જશે. જ્યાં સુધી શરીરમાં ચૈતન્ય હતું, માનવ પોતે કોઇના સહારા વગર પોતાનું વજન ઉપાડીને ચાલી શકતો હતો. ચૈતન્ય વગરનાં શરીરને ઉચકવા ૪ થી ૬ વ્યક્તિઓની જરૂર પડે છે. આ એક સત્ય છે અને માટેજ ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વીકાર કરેજ છૂટકો છે.
શરીરની આટલી જ કિંમત છે. એ સાધનરૂપ જ છે. એ પોતે કઇ કરી શકવા સમર્થ નથી. અને છતાં માનવી પોતાનાં શરીરને શક્તિશાળી માને છે. એની આળપંપાળ કરે છે. અને એ દ્વારા બધુ હું કરું છું, મારા વડે જ થાય છે અને મારી ઇચ્છા મુજબ થાય છે એવો અહમ્ સેવે છે. કર્તાપણાનો ભાવ ઇશ્વરથી દૂર કરે છે. કર્તા થાય એણે ભોકતા થવું જ પડે છે. ઇશ્વર કહે છે, સારું, કર્તા તું છે તો જા, તું જે કરે છે એનાં પરિણામ પણ તું ભોગવ! પછી ઇશ્વર મદદ કરવા કયાંથી આવે? એ શાંતિથી ખેલ જોયા કરે છે. આધુનિક માનવ લોજીકથી બધુ વિચારે છે. જ્યાં લોજીક આવે ત્યાં ઇશ્વરિય શક્તિ દૂર ભાગે છે. જો માનવીનું કર્યુ જ બધુ થતું હોત તો કહેવત પ્રમાણે “વૈદોનાં કદી મરત નહીં અને જોશીઓનાં રાંડત નહીં.” તેમજ ધનવાનો પર કદી આપત્તિ આવત જ નહીં. પરંતુ એવું બનતું નથી.
ચૈતન્ય શક્તિ સામે માનવ કંગાળ છે. કર્તાપણાનો ભાવ એની પાછળ બધાં દુઃખો ખેંચી લાવે છે. જ્યાં હરિ ઇચ્છા ને બળવાન માની, જ્યાં એનું ધાર્યુ બધુ સ્વીકારવાની તૈયારી બતાવી, જ્યાં ચૈતન્ય સ્વરૂપની શરણાગતિ સ્વીકારી ત્યાં મુસીબતોનો અંત આવે છે. કર્મનાં ફળ સ્વરૂપ મુસીબતો આવે તો પણ એમાંથી હસતાં હસતાં પાર ઉતરી જવાય છે. કારણ કે તારનાર અને ડૂબાડનાર બન્ને ઇશ્વર છે. માનવી કર્તા ન બને, માત્ર દ્રષ્ટા બની જાય. પોતાનાં શરીરને એક સાધન માને, ઇશ્વર ઇચ્છાને વહન કરવાનું નિમિત્ત માત્ર માને ત્યારે જીંદગી સરળ બની જાય છે. પર્વત પરથી વહેતાં ઝરણાં જેવી. વહેવાની શક્તિ ઉપરથી આવે છે. વહેવાની દિશા પણ ઉપરવાળો જ નક્કી કરે છે. કારણકે સમગ્ર સૃષ્ટિનો અને તમામ જીવ માત્રનો કરતાર માત્ર એક જ છે.
કબીરજીએ એક ઉદાહરણ આપતાં કહ્યું છે કે દળવાંની ઘંટીમાં ઘઉં દળતાં જે ઘઉં ખીલાને વળગીને રહે છે તે દાણા આખા રહે છે. અને જે છૂટાં પડે છે તે ઘંટીનાં બે પડ વચ્ચે પીસાઇને લોટ થઇ જાય છે. માનવે આ ગહન વાતને સમજવાની જરૂર છે. અર્થ ખૂબજ ઉંડો છે. માયા અને અવિદ્યા મનુષ્યને તેના આત્માથી દૂર કરે છે. આ કળિયુગમાં ઇશ્વર તત્વ સાથે પળેપળનાં અનુસંધાન માટે નામસ્મરણનું ભાગવતજીમાં ખૂબ મહત્વ સમજાવ્યું છે.
મનને અને જ્ઞાનેન્દ્રિયોને માંજીને આજને શણગારતાં શીખો. પતાંજલીનાં યોગસૂત્ર અનુસાર અષ્ટાંગ યોગનો અભ્યાસ રોજીંદા જીવનમાં અપનાવો. અને પછી સત્સંગ, ચિંતન, મનન અને આત્મદર્શનનાં અભ્યાસથી ચરણથી ચૈતન્ય સુધીની યાત્રા સરળ બની જશે. અને ચૈતન્ય સ્વરૂપનો સ્વીકાર સહજ બની જશે. પછી હું જ ચૈતન્ય છું એવા અનુભવો થવાં માંડશે. હું હું ન રહેતાં એકોહમ્ની અનુભૂતિ થશે. પછી જણાશે, ‘બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે’ જે ભકત નરસિંહને દેખાતું હતું.
આ માટે સિધ્ધ સદ્ગુરૂની જરૂર હોય છે. જે આ યાત્રામાં અંતરનું તિમિર દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવીને હાથ પકડીને ચૈતન્ય સ્વરૂપનું અનુસંધાન કરાવી આપે છે. સદ્ગુરૂની શરણાગતિનાં સથવારે ચૈતન્ય સ્વરૂપની શરણાગતિ સરળ બને છે. આ માર્ગ જેટલો દેખીતો કઠીન છે તેટલોજ આસાન છે. સિધ્ધ બનવું સંસારી માટે શક્ય નથી હોતું પરંતુ સિધ્ધતાનો કયારેક કયારેક અનુભવ યોગીક જીવનમાં શક્ય બને છે. અને તેના માટે કરવો પડે છે ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણપણે સ્વીકાર.
કલ્પના રઘુ
Excellent Presentation. Thought Provoking and Inspiring, too…….Kudos.
LikeLike
આભાર ,રાજેશભાઈ.
LikeLike
“જગત અને જગત નિયંતા જુદા નથી. કપાસ કપડું બને, લાકડું ખુરશી બને, ઘંઉ રોટલી બને પછી કપડું, ખુરશી અને રોટલી જ દેખાય છે. કપાસ, લાકડુ અને ઘંઉ ના દેખાય. એમ પરમાત્માનું જગતમાં રૂપાંતર થયા પછી પરમાત્મા ક્યાંથી દેખાય? માટે સમસ્ત વિશ્વમાં, પ્રાણીમાત્રમાં પરમાત્માનો અનુભવ કરો.(“સરળ શબ્દોમાં સરળ ભાષામાં કેટલી મોટી વાત કહી દીધી ,બોલચાલની ભાષામાં સમજાવ્યું છે)
LikeLike
Very nice explanation of atma and parmatma chaitanya ,in simple language.
LikeLike
Thanks to all
LikeLike